ગઈકાલે ત્રણ પક્ષોની સંયુક્ત બેઠકમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને આજે મહારાષ્ટ્રની નવી વિધાનસભાની પ્રથમ બેઠક થોડીવારમાં મળશે.

મુંબઈ: લગભગ એક મહિનાની ઉથલપાથલ બાદ છેવટે મહારાષ્ટ્રને તેનો મુખ્યમંત્રી મળશે. ગઈકાલે મોડી સાંજે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.
અગાઉ, શિવસેના, NCP અને કોંગ્રેસની યુતિની સંયુક્ત બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને મહા વિકાસ આઘાડીના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ગઈકાલે શરદ પવારે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે 30 નવેમ્બરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
પરંતુ તાજા સમાચાર અનુસાર ઉદ્ધવ ઠાકરે આવતીકાલે મુંબઈના શિવાજી પાર્કમાં સાંજે 6.40 કલાકે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને તેમણે એક અઠવાડિયામાં વિશ્વાસનો મત હાંસલ કરવાનો રહેશે. આજે થોડા જ સમય બાદ વિધાનસભાનું સત્ર શરુ થશે જ્યાં નવનિર્વાચિત વિધાનસભ્યો શપથ લેશે.
NCP નેતા નવાબ મલિકે જણાવ્યું હતું કે કોંગ્રેસના બાળાસાહેબ થોરાટ અને NCPના જયંત પાટીલ ઉપમુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરે સાથે જ શપથ લેશે.
ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય કાલીદાસ કોલંબકરને ગઈ રાત્રે રાજ્યપાલે પ્રોટેમ સ્પિકર તરીકે શપથ લેવડાવ્યા હતા. અગાઉ ગઈકાલે બપોરે એક નાટકીય ઘટનાક્રમમાં પહેલા ઉપમુખ્યમંત્રી અજીત પવારે અને બાદમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતપોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા હતા.
eછાપું