વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશયાત્રાઓ દરમ્યાન તેમણે જાતે બનાવેલા કેટલાક નિયમોનું તેમના દ્વારા અચૂક પાલન કરવામાં આવતા દેશની તિજોરીના કરોડો રૂપિયા બચી ગયા હોવાનું ગૃહમંત્રી અમિત શાહે લોકસભાને જણાવ્યું હતું.
નવી દિલ્હી: લોકસભામાં SPG કાયદામાં સુધારો લાવનાર બીલ પર ચર્ચા કરતા ગૃહમંત્રી અમિત શાહે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માટે કેટલાક કડક નિયમો બનાવ્યા છે અને તેઓ કાયમ તેનું પાલન કરે છે. પોતાની દલીલને સમર્થન આપતા અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એમણે પોતે નક્કી કરેલા એક ખાસ નિયમ પર પ્રકાશ પાડ્યો હતો.
અમિત શાહના કહેવા અનુસાર અગાઉ જ્યારે કોઈ વડાપ્રધાન લાંબા અંતરની વિદેશયાત્રાએ જતા ત્યારે તેઓ વચ્ચે કોઈ દેશમાં તેમનું વિમાન ઇંધણ ભરવા માટે રોકાય ત્યારે કોઈ મોંઘી હોટલમાં રાત્રીરોકાણ કરતા. જ્યારે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી આ આખો સમય એરપોર્ટ ટર્મિનલ પર જ વિતાવે છે, એટલુંજ નહીં પરંતુ તેઓ એરપોર્ટ ટર્મિનલના બાથરૂમમાં જ નહાય છે અને પોતાની યાત્રા આગળ ધપાવે છે.
આ ઉપરાંત નરેન્દ્ર મોદી અગાઉના વડાપ્રધાનો કરતા નગણ્ય એટલેકે 20% કરતા પણ ઓછો સ્ટાફ વિદેશયાત્રામાં પોતાની સાથે રાખતા હોય છે. અગાઉ વિદેશ યાત્રા દરમ્યાન વિવિધ સ્ટાફ મેમ્બર્સ માટે અલગ અલગ વાહનોની વ્યવસ્થા કરવામાં આવતી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચના આપી છે કે તેમની વિદેશયાત્રા દરમ્યાન સ્ટાફની સંખ્યા અનુસાર એક જ કાર અથવાતો બસનો પ્રબંધ કરવામાં આવે.
અમિત શાહના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ આદતને કારણે ભારતના નાગરિકોની મહેનતની કમાણીમાંથી ભરેલા ટેક્સના કરોડો રૂપિયાનો બચાવ થયો છે.
eછાપું