દેશના આવકવેરા ખાતા દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી માહિતી અનુસાર દેશના કરદાતાઓને આ નાણાંકીય વર્ષમાં અત્યારસુધીમાં કરોડો રૂપિયા ટેક્સ રિટર્ન તરીકે પરત આપવામાં આવ્યા છે.

નવી દિલ્હી: છેલ્લા ચારથી પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ તેમજ નિયમોમાં આવેલા બદલાવને કારણે ભારતમાં કરદાતાઓની સંખ્યા તેમજ તેમનો વ્યાપ અગાઉ કરતા અનેક ગણો વધી ગયો છે. આને કારણે આવકવેરા વિભાગે પણ આ વર્ષે ભારતીય કરદાતાઓને ઇન્કમ ટેક્સ રિટર્ન તરીકે કરોડો રૂપિયા પરત આપ્યા છે.
હાલના નાણાંકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં આવકવેરા વિભાગે લગભગ 1.57 લાખ કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ રિટર્ન તરીકે કરદાતાઓને ચૂકવી દીધા છે. આ રકમ 2018-19ના સંપૂર્ણ નાણાંકીય વર્ષ દરમ્યાન રૂ. 1.23 લાખ કરોડ રહી હતી.
ગત શુક્રવારે આવકવેરા વિભાગ દ્વારા સરકાર દ્વારા અર્થતંત્રને ગતિ આપવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાંઓની રૂપરેખા આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી જેમાં રેવન્યુ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ ઉપરોક્ત માહિતી આપી હતી. પાંડેએ જણાવ્યું હતું કે આ નાણાંકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં જ ટેક્સ રિફંડની કુલ સંખ્યા 2.16 કરોડ જેટલી વધી છે જે ગત નાણાંકીય વર્ષ કરતા 17 ટકા વધુ છે.
જો ઇન્કમ ટેક્સ રિટર્ન તરીકે પરત આપવામાં આવેલી રકમની વાત કરવામાં આવે તો તે 27.2 ટકા જેટલી વૃદ્ધિ દર્શાવે છે. અજય ભૂષણ પાંડેએ વધારાની માહિતી આપતા જણાવ્યું હતું કે Integrated-GST રિફંડની રકમ 2018-19ના સંપૂર્ણ નાણાંકીય વર્ષ દરમ્યાન રૂ. 56,057 કરોડ રૂપિયા હતી જે આ નાણાંકીય વર્ષમાં અત્યારસુધી રૂ. 38,998 કરોડ થઇ છે.
eછાપું