ગઈકાલે કેરળમાં રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન જ્યારે સંબોધન કરી રહ્યા હતા ત્યારે વયોવૃદ્ધ ઇતિહાસકાર ઈરફાન હબીબે તેમના પર હુમલો કરવાની કોશિશ કરી હતી તેના પર રાજ્યપાલે પોતાની આપવીતી જણાવી છે.
કન્નુર: ગઈકાલે કેરળના કન્નુરમાં ઇન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસનું સંમેલન ભરાયું હતું. આ સંમેલનમાં સંબોધન કરતી વખતે કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન પર ઇતિહાસકાર ઈરફાન હબીબે હુમલો કરવાની કોશિશ કરી હતી.
આરીફ મોહમ્મદ ખાનના કહેવા અનુસાર તેમની અગાઉ જે પણ વક્તાઓએ પોતાના સંબોધન કર્યા તેમાં CAA અને NRC વિરુદ્ધ ખોટી હકીકતો ફેલાવવાની કોશિશ કરી હતી જેની આ સંમેલન સાથે કોઈજ સીધો સંબંધ ન હતો. ભારતના એક રાજ્યના રાજ્યપાલ હોવાને લીધે આ તેમની ફરજ હતી કે તેઓ બંધારણના રક્ષક હોવાથી આ ખોટી વાતોને રદિયો આપે.
Hon’ble Governor said that he had responded to points raised by previous speakers,as a person duty bound to defend &protect the Constitution.But trying to disrupt speech from stage&audience due to intolerance towards different opinion is undemocratic #IndianHistoryCongress pic.twitter.com/UDCElnui7I
— Kerala Governor (@KeralaGovernor) December 28, 2019
આરીફ મોહમ્મદ ખાને પોતાના ભાષણમાં CAA અને NRCનો ઉલ્લેખ કરતા તેમજ મૌલાના અબુલ કલામ આઝાદના અવતરણને ટાંકતા માત્ર પ્રેક્ષકોમાં જ નહીં પરંતુ સ્ટેજ પર ઉપસ્થિત ઈરફાન હબીબ જેવા વામપંથી ઈતિહાસકારો ગુસ્સે થઇ ગયા હતા.
દર્શકોમાં બેસેલા વામપંથીઓએ શોરબકોર કરીને અને હાથ હલાવીને રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાનના સંબોધનમાં વિક્ષેપ પાડવાની કોશિશ કરી હતી. આ કોશિશો સફળ ન થતા ગુસ્સે ભરાયેલા ઈરફાન હબીબ જેઓ એ સમયે સ્ટેજ પર જ હતા તેઓ રાજ્યપાલ તરફ ધસી ગયા હતા અને તેમનો કોલર પકડવાની કોશિશ કરી હતી.
રાજ્યપાલના સિક્યોરીટી ગાર્ડ તરતજ હરકતમાં આવતા તેમને રોકવામાં આવ્યા હતા તો ઈરફાન હબીબે આ ગાર્ડનો બેજ ખેંચી નાખ્યો હતો. ઈરફાન હબીબે રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને આઝાદને નહીં પરંતુ ગોડસેને ટાંકવાનું કહ્યું હતું કારણકે તેઓ ફાંસીવાદી છે.
આ તમામ ઘટનાઓ પર ગઈકાલે એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલને જણાવતા આરીફ મોહમ્મદ ખાને જણાવ્યું હતું કે,
રાજ્યપાલ હોવાને કારણે બંધારણ અને કાયદાનું રક્ષણ કરવું એ મારી ફરજ છે. જો હું સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કોઈ કાયદા સાથે સહમત નથી તો મારે રાજીનામું આપીને ઘેર જતું રહેવું જોઈએ. પરંતુ જો હું સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કોઇપણ કાયદા સાથે સહમત છું તો મારે તેનો બચાવ કરવો જોઈએ. જો કોઈને એવું લાગતું હોય કે મારી હાજરીમાં તે સંસદમાંથી પસાર થયેલા કાયદા પર હુમલો કરશે અને હું ચુપચાપ તેને સાંભળી લઈશ અને જવાબ નહીં આપું તો તે સાચું નથી. બંધારણીય પદો પર બેસેલા તમામ વ્યક્તિની આ જવાબદારી છે કે તે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદાનું રક્ષણ કરે.
આરીફ મોહમ્મદ ખાને જણાવ્યું હતું કે અજ્ઞાનીઓને એ વાતની જાણકારી નથી હોતી કે સંસદથી પસાર કરવામાં આવેલો કાયદો કોઇપણ રાજકીય પક્ષનો એજંડા નથી રહેતો, પરંતુ દેશનો કાયદો બની જાય છે. તેમણે કહ્યું હતું કે લોકશાહીમાં સહમતી-અસહમતી બરોબર છે પરંતુ જેમની પાસે ન તો કાયદાનું જ્ઞાન છે જે જેમણે ક્યારેય બંધારણ વાંચ્યું નથી તેમની અજ્ઞાનતાનું કોઈજ સમાધાન નથી.
eછાપું