26/11 ના ઘાતકી મુંબઈ આતંકવાદી હુમલાઓને હિંદુ આતંકવાદમાં ખપાવી દેવાની મોટી યોજનાનો ખુલાસો ભૂતપૂર્વ કમિશનર રાકેશ મારિયાએ કર્યો છે.
મુંબઈ: મુંબઈ શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાના પુસ્તક ‘Let Me Say It Now’ માં અસંખ્ય સનસનાટીભર્યા ખુલાસા કરવામાં આવ્યા છે જેમાં એક ખુલાસો એવો પણ છે કે મુંબઈ શહેર પર થયેલા 26/11ના આતંકવાદી હુમલાને હિંદુ આતંકવાદ તરીકે ખપાવી દેવાનું કાવતરું હતું.
આટલુંજ નહીં મારિયાના કહેવા અનુસાર આ યોજના જો સફળ થઇ હોત તો આ હુમલા દરમ્યાન પકડાયેલા એકમાત્ર આતંકવાદી અજમલ આમિર કસાબને બેંગલુરુના સમીર ચૌધરી તરીકે મરવાનું કહેવામાં આવ્યું હતું. આમ કરવાથી ભારતીય મિડિયામાં હિંદુ આતંકવાદ છવાઈ જાય તેવી યોજના લશ્કર-એ-તૈયબા અને ISIની યોજના હતી.
આ માટે કસાબને ભારતીય સરનામાંના ફેક ID કાર્ડ્ઝ પણ આપવામાં આવ્યા હતા.
મારિયાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે,
અખબારોમાં મુંબઈ પર હિંદુ આતંકવાદીઓએ હુમલો કર્યો તેવી ચીસો પાડતી હેડલાઈન્સ છપાઈ જાત. ટીવીના જાણીતા પત્રકારોએ બેંગલુરુના તેના પડોશીઓ અને પરિવારના સભ્યોના ઇન્ટરવ્યુ લઇ લીધા હોત. પરંતુ છેવટે એમ ન થયું, કારણકે તે પાકિસ્તાનના ફરીદકોટનો અજમલ આમિર કસાબ નીકળ્યો.
અગાઉ પણ એ પ્રકારના રીપોર્ટસ જાહેરમાં આવ્યા હતા કે કસાબે તેના જમણા હાથના કાંડામાં ‘કલવા’ તરીકે ઓળખાતા પવિત્ર હિંદુ દોરાને એટલા માટે જ બાંધ્યો હતો જેથી હિંદુ આતંકવાદની થીયરી સ્થાપિત થઇ શકે અને 26/11નો હુમલો હિંદુઓએ કરાવ્યો હોય એવી છબી ઉપસ્થિત થઇ શકે.
હિંદુ આતંકવાદના ભ્રામક વિષય પર એક પુસ્તક પણ પ્રકાશિત થયું હતું જેનું અનાવરણ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ અને ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટે કર્યું હતું. મારિયાના કહેવા અનુસાર કસાબનો ફોટો ‘કેન્દ્રીય એજન્સીઓ’ એ શેર કર્યો હતો પરંતુ મુંબઈ પોલીસ એ જ સમયે એક પણ માહિતી બહાર ન જાય તેની ભરપૂર કોશિશ કરી રહી હતી.
રાકેશ મારિયા આ પુસ્તકમાં આગળ જણાવે છે કે કસાબના પકડાયા બાદ ISI અને લશ્કર-એ-તૈયબાની યોજના તેને જેલમાં જ ખતમ કરી દેવાની હતી જેથી તેમના વિરુદ્ધ કોઈ પુરાવા ન મળે અને કસાબને ખતમ કરવાની જવાબદારી દાઉદની ગેંગને આપવામાં આવી હતી.
કસાબને 26/11ના દિવસે મુંબઈ પોલીસના બહાદુર કોન્સ્ટેબલ શહીદ તુકારામ ઓમ્બલેએ પકડી પાડ્યો હતો.
eછાપું