દેશભરમાં CAA, NPR અને NRC વિરુદ્ધ ચાલી રહેલા હિંસક પ્રદર્શનો અંગે ચિંતા કરતા દેશના 154 પ્રબુદ્ધ નાગરીકોને રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે.
નવી દિલ્હી: દેશભરના 154 પ્રબુદ્ધ નાગરીકો જેમાં પૂર્વ ન્યાયાધીશો, અધિકારીઓ, સેનાના પૂર્વ અધિકારીઓ તેમજ શિક્ષકો સામેલ છે તેમણે સોમવારે જણાવ્યું હતું કે તેઓ નાગરિકતા સંશોધન કાયદો (CAA) તેમજ NPR અને NRCના વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને વખોડી નાખે છે અને તેમણે આ આંદોલનને અસત્ય અને સ્વાર્થી ગણાવ્યું હતું.
તેમણે ઉપરોક્ત આંદોલનને દેશને તોડવાનું કાવતરું ગણાવીને સરકારને આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ તમામે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓ સરકારને કહે કે આ પ્રદર્શનો પર ધ્યાન આપીને દેશની લોકતાંત્રિક સંસ્થાઓનું રક્ષણ કરે.
તેમણે આ પ્રકારના ભાગલાવાદી તત્વોને ઓળખીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ પત્રમાં દેશભરની વિભિન્ન હાઈકોર્ટના 11 નિવૃત્ત જસ્ટિસ, 24 નિવૃત્ત IAS અધિકારીઓ, ભારતીય વિદેશ સેવાના 11 નિવૃત્ત અધિકારીઓ, ભારતીય પોલીસ સેવાના 16 નિવૃત્ત અધિકારીઓ તેમજ 18 નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ પણ સામેલ છે.
આ તમામનું કહેવું છે કે દેશભરમાં કેટલાક તત્વો દ્વારા દેશમાં ઘૃણા ફેલાવવામાં આવી રહી છે અને સરકારી સંપત્તિને નુકશાન પણ પહોંચાડવામાં આવી રહ્યું છે. આ તમામ પ્રબુદ્ધ નાગરીકોનું કહેવું છે કે આ પ્રદર્શનો એ આપણી માતૃભૂમિ માટે શુભ સંકેત નથી.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રદર્શનોમાં સરકારની નીતિઓનો વિરોધ કરવાના બહાને દેશની એકતા અને અખંડિતતાને તોડવાનું નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે.
eછાપું