દેશની સર્વપ્રથમ સ્વદેશી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને એક વર્ષ પૂરું થયું છે. આ એક વર્ષમાં આ ટ્રેને ભારતીય રેલવેને કરોડો રૂપિયાની કમાણી કરી આપી છે.
નવી દિલ્હી: ગયા વર્ષે 15 ફેબ્રુઆરીએ વંદે ભારત એક્સપ્રેસ જે દિલ્હી અને વારાણસી વચ્ચે દોડે છે તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ એક વર્ષમાં આ ટ્રેને કુલ 3.8 લાખ કિલોમીટરની સફર ખેડી છે અને તેણે ભારતીય રેલવે માટે રૂ. 92.29 કરોડની આવક પણ કરી છે.
આ ઉપરાંત આ એક વર્ષમાં વંદે ભારત એક્સપ્રેસની દરેક સફરે પેસેન્જર્સની 100% હાજરી પણ નોંધાવી છે. વંદે ભારત એક્સપ્રેસ જે સંપૂર્ણપણે ભારતમાં બનાવેલી પ્રથમ ટ્રેન છે તેણે પોતાની સર્વપ્રથમ વ્યવસાયિક સફર 17 ફેબ્રુઆરી 2019ના રોજ કરી હતી.
આ ટ્રેન દિલ્હી અને વારાણસી વચ્ચેની સફર આઠ કલાકમાં પૂરી કરે છે અને તે આ બંને શહેરો વચ્ચે સોમવાર અને ગુરુવાર સીવાય દરરોજ દોડે છે. ટ્રેનમાં સંપૂર્ણ વાતાનુકૂલિત એવા 16 કોચ છે અને ટ્રેનનું નિયંત્રણ તેમજ અન્ય નિયંત્રણો કમ્પ્યુટરથી થાય છે.
વંદે ભારત એક્સપ્રેસના દરેક કોચ સ્ટેનલેસ સ્ટીલ કાર બોડીના બન્યા છે, જેમાં GPS આધારિત ઓડિયો વિઝ્યુઅલ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ છે જે વાઈફાઈથી ચાલે છે. ટ્રેનમાં બેસવાની આરામદાયક વ્યવસ્થા પણ છે.
વંદે ભારત એક્સપ્રેસને ઓક્ટોબર 2018માં ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી ચેન્નાઈ દ્વારા ઉત્પાદિત કરવામાં આવી હતી અને તેનું મેઈન્ટેનન્સ ઉત્તર રેલવેના દિલ્હી ડિવીઝન દ્વારા કરવામાં આવે છે. દિલ્હી-વારાણસી ઉપરાંત હવે વંદે ભારત એક્સપ્રેસ નવી દિલ્હી- શ્રી માતા વૈષ્ણવદેવી કટરા રૂટ પર પણ દોડે છે.
eછાપું