સાલ – 1985
સ્થળ – માહિતી પ્રસારણ મંત્રાલયની મિટીંગ
મિટીંગમાં થયેલો આદેશઃ આપણા પ્રાચીન મૂલ્યો, તત્ત્વજ્ઞાન, રામાયણ, મહાભારત જેવા ગ્રંથોની વાતો પીરસતી શ્રેણીઓ પ્રસારિત કરો.
આદેશ આપનારઃ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી
મિટીંગના મહત્ત્વના સભ્યોઃ કેન્દ્રીય મંત્રી વી.એન.ગાડગીલ અને Ministry of Information and Broadcasting ના સેક્રેટરી એસ. એસ. ગીલ.
મિટીંગનું પરિણામઃ ‘રામાયણ‘ અને ‘મહાભારત‘ને ટી.વી.ના ટચૂકડા પડદે શ્રેણી રૂપે રજૂઆત અને ભવ્ય સફળતા!
જી હાં! સન 1985માં બિનસાંપ્રદાયિકતાને પ્રાધાન્ય આપતું માધ્યમ ‘દૂરદર્શન‘ અને સામ્યવાદી વિચારસરણી ધરાવતા ગીલ અને ગાડગીલ. ગીલની રામ–કૃષ્ણમાં શ્રધ્ધા લગભગ નહીંવત્ અને એ સમયે કોઈ એક ધર્મગ્રંથનું પ્રક્ષેપણ કરતાં કાર્યક્રમો પ્રસારિત થાય એ એક અજીબ વાત લેખાતી. પરંતુ ‘બૉસ‘ રાજીવ ગાંધીના આદેશનું અર્થઘટન જુદી રીતે થયું અને તે વખતના બે મોટા બેનરના માલિક – રામાનંદ સાગર અને બી.આર.ચોપડાનો સંપર્ક કરવામાં આવ્યો. બંને બેનરે આ ઑફર સ્વીકારી એન્ડ રેસ્ટ ઈઝ હીસ્ટ્રી!
***
આજ સુધીમાં રામાયણ, મહાભારત અને ગીતાના વિષયો પર કેટકેટલાંય પુસ્તકો લખાયા છે અને ભવિષ્યમાં પણ લખાતાં રહેશે પરંતુ (ખાસ કરીને ભારતની જનતાના) જનમાનસ પર ‘રામાયણ‘ અને ‘મહાભારત‘ આ બંને સિરીયલોની જે એક અનૂઠી છાપ ઊપસી છે. સુંદર અને સચોટ રજૂઆત દ્વારા આ મહાકાવ્યોમાંથી સામાન્ય જનતાના ઘર અને મન સુધી પહોંચવાનું ભગીરથ કામ સન 1986 થી 1988માં કરી બતાવ્યું.
78 એપિસોડની ‘રામાયણ’ શ્રેણી દૂરદર્શન પર 25 જાન્યુઆરી 1987 થી 31 જુલાઈ 1988 સુધી પ્રસારિત થયેલી અને ૯૪ હપ્તામાં વહેંચાયેલી ‘મહાભારત’ શ્રેણી 2 ઓક્ટોબર 1988થી 24 જૂન 1990 સુધી પ્રસારિત થઈ. રામાયણ તો ૫૨ એપિસોડ માટે જ પ્રસારિત થવાની હતી પણ લોકોની ડિમાન્ડને કારણે તેને ત્રણ વાર લંબાવીને 78 એપિસોડ સુધી ખેંચવામાં આવી. આ બંને સિરીયલો એ સમયે પ્રત્યેક હપ્તાના સરેરાશ 25 કરોડ દર્શકોને ખેંચીને એક અલગ રેકોર્ડ સ્થાપિત કરવામાં સફળ રહ્યાં. યુ.કે.માં બી.બી.સી. પર તો ‘મહાભારત’ એ પ્રસારિત થનારી એકમેવ શ્રેણી તરીકે પ્રસિદ્ધ થઈ હતી. દર રવિવારે પ્રસારિત થતી આ શ્રેણીઓ માટે લોકો ઘરે જ રહેતા. જો ઘરે ટી.વી. ન હોય તો પાડોશીને ત્યાં ધામા નાખતાં. આ સમયે લગ્ન કે કોઈપણ પ્રસંગો માટેના મુહુર્તો નીકાળતા નહોતા. જાહેર રસ્તાઓ પર કરફ્યુ જેવો માહોલ સર્જવામાં રામાયણ અને મહાભારત ખૂબ જ સફળ નીવડી. એક વાર તો દિલ્હી સરકારની કોઈ અર્જન્ટ મિટીંગ હતી પરંતુ મિટીંગના સભ્યો સિરીયલ જોવાની હોવાથી ન આવ્યા અને મિટીંગનો સમય બદલવો પડ્યો.
‘રામાયણ’ની વાત કરીએ તો ભારતીય ટેલિવિઝનમાં દર્શકોના દરેક રેકોર્ડ તોડવામાં સફળ રહી અને ‘લિમકા બૂક ઓફ રેકોર્ડ્સ’માં પ્રવેશ મળ્યો. લગભગ 55 દેશોમાં 65 કરોડ લોકો એકસાથે આ સિરીયલને જોતા. ડી.કે. બોઝ નામના મિડિયા ડિરેક્ટરે કહેલું – રામાયણની સૌથી મોટી ખાસિયત હતી કે તેને જનતા એકધારી દરેક એપિસોડ જોતી. ‘બુનિયાદ’ અને ‘હમ લોગ’ જેવી પારિવારીક શ્રેણીઓ પણ 70-80૦% જ સફળ રહી. હિન્દી ભાષા ન બોલતા રાજ્યો (તામિલનાડુ, કેરળ અને કર્ણાટક)માં પણ ૫૦% જનતા રામાયણ જોતી. આ સિવાય દરેક ધર્મના લોકો આ સિરીયલ જોતા. રામ, સીતા, હનુમાન, લક્ષ્મણ અને રાવણના રોલમાં અનુક્રમે અરુણ ગોવિલ, દિપીકા ચીખલીયા, દારા સિંઘ, સુનિલ લહેરી અને અરવિંદ ત્રિવેદી – દરેકની પ્રસિદ્ધી પણ ગગનચૂંબી બની. લોકો આ કલાકારોને તેમના સાચા નામને બદલે આ પાત્રોના નામથી ઓળખવા લાગ્યા.
‘મહાભારત’ શ્રેણીએ લોકોમાં વધુ ઉત્સુકતા જગાડી કારણકે એનો સૂત્રધાર ખુદ સમય હતો. ‘મૈં સમય હું’ના ધ્રુવવાક્યથી હરીશ ભિમાણીની ઓળખ અને કમાણી વધ્યાં. આ વાક્ય બોલાતું ત્યારે ટી.વી. સ્ક્રીન પર બ્રહ્માંડ, ગ્રહો અને એક ચક્ર દેખાડવામાં આવતું, જે આજ સુધી લોકોના સ્મૃતિપટલ પર અંકિત થયેલું છે. ‘અથ શ્રી મહાભારત કથા….’ આ શબ્દોથી મહેન્દ્ર કપૂરે ગાયેલું શિર્ષકગીત એક સાથે તમામ ઘરો, સોસાયટીઓ અને શેરીઓમાં ગુંજવા લાગ્યું અને કોરસ બન્યું. ભગવાન શ્રીકૃષ્ણ તરીકે નીતિશ ભારદ્વાજની વાંસળીના સૂર એ હદે લોકોના મનમાં વસી ગયા કે એમને બીજા કોઈ રોલમાં લોકોએ સ્વીકાર્યા જ નહીં. અર્જુન તરીકે ફિરોઝ ખાન, ભીમ તરીકે પ્રવીણકુમાર, યુધિષ્ઠિર તરીકે ગજેન્દ્ર ચૌહાણ, દ્રોપદી તરીકે રૂપા ગાંગુલી, દુર્યોધન તરીકે પુનિત ઇસ્સાર, કર્ણ તરીકે પંકજ ધીર, શકુની તરીકે ગુફી પેઈન્ટલ, ભીષ્મ તરીકે મુકેશ ખન્ના વગેરે તમામ કલાકારોએ ઉત્કૃષ્ટ અભિનય કરીને આ પાત્રોને લોકોના માનસપટ પર અમીટ છાપ ઉપસાવી.
‘ધ હિન્દુ‘ અખબારના પ્રસિદ્ધ લેખિકા સેવંતી નિનાન પોતાના એક પુસ્તક ‘થ્રુ ધ મેજીક વિન્ડો‘ દ્વારા એક અલગ તારણ રજૂ કરે છે. એ વખતે ‘રામાયણ‘ અને ‘મહાભારત‘ આ બે ધાર્મિક શ્રેણીઓને કારણે ભારતભરના નાગરિકો અને તેમના માનસ પર હકારાત્મક અસર થઈ. કમોડીટી પ્રોડક્ટ માટે જે જાહેરાતો આ શ્રેણીઓ દ્વારા લોકો સમક્ષ રજૂ થઈ એમને એક નવી દ્રષ્ટિ અને નવું બજાર મળ્યું. 10 સેકંડની જાહેરાતનો ભાવ અંદાજે 1 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો. દરેક પ્રોડક્ટના વેચાણને વેગ મળ્યો. એ સિવાય ટી.વી. સેટના વેચાણમાં પણ ભવ્ય ઉછાળો થયો. ‘પોલિટિક્સ આફ્ટર ટેલિવિઝન‘ નામના પુસ્તકમાં અરવિંદ રાજગોપાલે એક રસપ્રસ તારણ આપ્યું કે મહાભારત અને રામાયણ જેવી શ્રેણીએ ભારતમાં ધર્મ અને શ્રધ્ધામાં જબરદસ્ત જુવાળ પેદા કર્યો. મંદિરોની આવક વધી અને ધર્મ એ ધંધો થવા માંડ્યો. સ્વ. ગુલશન કુમારે આ ધાર્મિક બહેતી ગંગામાં પોતાના હાથ પણ ધોયા અને ભક્તિગીતો દ્વારા જબ્બર ધંધો કર્યો. શ્રીકૃષ્ણ અને શ્રીરામ બંને સમાજમાં લોકનાયક, ઉદ્ધારક, અને ગૌરવવંતા ભગવાન તરીકે ઉપસી આવ્યાં. એક નવો વળાંક દેશમાં આકાર પામ્યો. જો કે એ સમય હતો અને આજનો સમય છે – નેતાઓ રામ–કૃષ્ણ જેવા સપનાઓ દેખાડીને રાવણ અને કૌરવો જેવા કર્મો કરતા આવ્યાં છે.
આજે જ્યારે લોકડાઉનના સમયમાં આ બંને શ્રેણીઓ ફરી પ્રસારિત થઈ રહી છે ત્યારે દૂરદર્શનની વેબસાઈટ ક્રેશ થવાના સમાચાર છે અને રેકોર્ડબ્રેક TRP પણ મળે એવી શુભકામના! सम्भवामि युगे युगे ॥