ટી. એસ. કલ્યાણરમણ એ કલ્યાણ જ્વેલર્સના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર છે, જે 9500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી ભારતવર્ષની સૌથી મોટી જ્વેલરી શોપની શૃંખલા છે.
કલ્યાણરમણનો પરિવાર છેલ્લા 110 વર્ષથી વ્યવસાયમાં છે. તે પહેલાં તેઓ ગામમાં પુરોહિતપદ સંભાળતા પણ તેમના દાદા કલ્યાણરામ ઐય્યરે પુરોહિતપદું છોડીને ઉદ્યોગમાં જંપલાવ્યું. તેઓ લગભગ 1930માં એક કાપડ મિલ શરૂ કરવા માટે તે કુંબાકોનમથી થ્રિસુર ગયા. સરકારે તેમની મિલ કબજે કરી તો તરત જ તેમણે કાપડની દુકાન શરૂ કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ કલ્યાણરામ ઐય્યરના દીકરા સીતારામ ઐય્યર તેમની સાથે આવ્યા. વર્ષો પછી ધીમે ધીમે કલ્યાણરમણ અને તેમના ચાર ભાઈઓ પણ આવ્યા.
કલ્યાણરમણ શાળામાં હતા ત્યારે પણ તેમના પિતા તેમને વેકેશનમાં દુકાન પર લઈ જતા. તે વ્યવસાયમાં તેમની પ્રથમ તાલીમ હતી. જ્યારે તેઓ 12 વર્ષના હતા, ત્યારે તેમના પિતાએ તેમને ગ્રાહકો પાસેથી રોકડ લેવાની ફરજ પાડી. રોક્ડ એકત્રિત કરીને તે ગણતરી કરવામાં કુશળ બન્યા. દરેક સાંજે કામ થાય પછી તેમને બહાર હોટલમાં મસાલા ઢોસા ખાવા લઈ જવાતા, આ લાલચને કારણે કલ્યાણરમણ વધુ મહેનત કરતા.
જેમ જેમ તેઓ નાના–મોટા વ્યવહારો કરતા થયા, તેમના પિતાએ તેમને ખરીદી–વેચાણ અને એકાઉન્ટિંગના તમામ પાસાઓ પર પણ સલાહ આપવી શરૂ કરી. પિતાએ એક મહત્ત્વની સલાહ આપી કે જે ગ્રાહકોને જોઈએ તે જ વસ્તુ સ્ટોક કરવી જોઈએ. તમારી પોતાની પસંદ નહીં પણ ગ્રાહકોની પસંદ હોય તે જ ખરીદવું.
1972 માં, કલ્યાણરમણે બી.કોમ પૂર્ણ કર્યુ અને તેમને કલ્યાણ કાપડ ઉદ્યોગનો હવાલો સોંપાયો. શેરની ક્ષમતા લગભગ 15 લાખ રૂપિયા હતી અને તે સમયે ટર્નઓવર આશરે 25 લાખ રૂપિયા હતું. તેઓ કેરળથી કાપડની સામગ્રી ખરીદવા મુંબઈ જતા. દુકાનનો હવાલો કલ્યાણરમણ સંભાળતા હોવા છતાં, દરરોજ સાંજે, તેમના પિતા આવીને ખરીદી અને વેચાણની તપાસ કરતા. કલ્યાણરમણે મહેનત અને ધગશથી કામ કર્યુ અને પ્રથમ વર્ષના અંત સુધીમાં ટર્નઓવર 30 લાખ રૂપિયા થઈ ગયું.
તેઓએ તેમના સ્ટાફને બધા જ ગ્રાહકો સાથે સૌમ્ય વર્તન કરવાની સૂચના આપી હતી, અને તેનાથી ઘણો ફરક પડ્યો. ગ્રાહકોને તેમના સ્ટોર પર ફરી ફરી આવવાનું ગમતું. 1991 માં, તેમના પિતાએ પાંચેય પુત્રોમાં પોતાનો વ્યવસાય વહેંચી દીધો (તે સમયે કાપડ ઉદ્યોગમાંથી 1.5 કરોડ રૂપિયાનું ટર્નઓવર હતું).
ઘણા ગ્રાહકો કલ્યાણરમણને પૂછતાં કે તમે આટલા સરસ કાપડ રાખો છો તો સાથે ઝવેરાત પણ કેમ નથી રાખતા. એક જ જગ્યાએથી જો બંને મળી જાય તો ગ્રાહકોને બજારમાં ઓછી દોડધામ થાય. ગ્રાહકો એક જ જગ્યાએથી લગ્ન માટે સાડીઓ અને જ્વેલરી ખરીદી શકે તે માટે સન 1993માં, કલ્યાણરમણે એક જ્વેલરી શોપ શરૂ કરવાનું નક્કી કર્યું, તેનું નામ ‘કલ્યાણ જ્વેલર્સ‘ રાખ્યું.
તે સમયે કલ્યાણરમણ પાસે 50 લાખ રુપિયા હતા અને બેંક પાસેથી 25 લાખ રુપિયાની લોન લઈને એકંદરે 75 લાખ રુપિયાનું રોકાણ કર્યુ. તે દિવસોમાં, કેરળની બધી જ્વેલરી શોપ નાની નાની હતી. તેથી, તેમણે મોટા ટેક્સટાઇલ શોરૂમ જેવો એક વિશાળ સ્ટોર ખોલવાનું નક્કી કર્યું. તદુપરાંત, કોઈ પણ દુકાનમાં પુરતો સ્ટોક નહોતો. કલ્યાણ જ્વેલર્સમાં કલ્યાણરમણે એક નવો કિમિયો કર્યો. તેઓ ગ્રાહકને એક ડિઝાઇન બતાવતા અને પછી એક મહિનાના સમયમાં ખરીદનાર માટે કસ્ટમાઇઝ કરીને આપતા. આ સિવાય તેમના સ્ટોરમાં પૂરતી બેઠક ક્ષમતા, સ્વચ્છ શૌચાલયો અને કાર પાર્કિંગ માટે પૂરતી જગ્યા સાથે સંપૂર્ણ વાતાનુકુલિત 4000 ચોરસફૂટની મોટી દુકાન બનાવી. તેમણે ભારતની બહાર આવી દુકાનો જોઈ હતી અને ભારતીય ગ્રાહકોને પણ તેઓ એવો જ અનુભવ આપવા માંગતા હતા.
આ પહેલો શોરુમ તેમણે કેરળમાં થ્રિસુરમાં શરૂ કર્યો. તે દક્ષિણ ભારતનો સૌથી મોટો જ્વેલરી શોરૂમ બન્યો. પ્રથમ વર્ષમાં, તેમનું ટર્નઓવર આશરે 50-60 કરોડ રૂપિયા થયું. પછીના વર્ષે તેઓએ તેમના સંગ્રહમાં ચાંદી, હીરા અને પરંપરાગત ઝવેરાત ઉમેર્યા. પલક્કડ, કોઝિકોડ, કોચી વગેરે જેવા નજીકના શહેરોના ગ્રાહકો થ્રિસુરમાં તેમના શોરૂમમાં આવવા લાગ્યા.
1995 માં તેમનો મોટો દીકરો રાજેશ કલ્યાણરમણ MBA કર્યા પછી ધંધામાં જોડાયો. ત્યારબાદ તેમના વ્યવસાયને વિસ્તૃત કરવાની યોજના બનાવી જેમાં થ્રિસુરની બહાર પોતાનો પહેલો શોરૂમ પલક્કડમાં શરૂ કર્યો. આ શોરૂમની શરૂઆત વખતે તેમનું ટર્નઓવર લગભગ 75-80 કરોડ રૂપિયા હતું. 1997 માં તેમનો બીજો પુત્ર રમેશ કલ્યાણરમણ પણ તેમની સાથે જોડાયો. સન 2000માં, તેઓએ તમિળનાડુના કોઈમ્બતુરમાં શોરૂમ ખોલ્યો. આજે, કલ્યાણ જ્વેલર્સના 70 થી પણ વધુ શોરૂમ છે, 5000 કર્મચારી છે. મોટો દીકરો રાજેશ ખરીદી અને એકાઉન્ટ્સ સંભાળે છે અને નાનો પુત્ર રમેશ વેચાણ અને માર્કેટિંગની સંભાળ રાખે છે.
કલ્યાણ જ્વેલર્સ જમાના સાથે ચાલીને ટેકનોલોજીનો પણ ઘણો ઉપયોગ કરે છે જેમ કે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બધી દુકાન સાથે સંપર્કમાં રહે છે. દરેક રાજ્યોના ગ્રાહકોની પસંદ જુદી હોય એટલે લોકલ કસ્ટમાઈઝેશન પણ કરે છે. ઉદાહરણ તરીકે, દશાવથારમ, મંગા માળા, મુલ્લાપ્પુ માળા જેવી કેરળની કેટલીક પરંપરાગત રચનાઓ છે, જે અન્ય રાજ્યોના લોકો ખરીદતા નથી. કલ્યાણરમણ પાસે 30 કરોડની કિંમતનું સાત સીટવાળું એક પ્રાઈવેટ જેટ વિમાન છે.
કલ્યાણ જ્વેલર્સે પ્રાદેશિક બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે અનેક હસ્તીઓ સાથે ભાગીદારી કરી છે, જેમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન, શાહરૂખ ખાન, ઉત્તર ભારતમાં કેટરિના કૈફ, કેરળમાં મંજુ વોરિયર, આંધ્રપ્રદેશમાં નાગાર્જુન, કર્ણાટકમાં શિવા રાજકુમાર, તમિળનાડુમાં પ્રભુ ગણેશન વગેરે વગેરેનો સમાવેશ થાય છે. રાષ્ટ્રવ્યાપી બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે ઐશ્વર્યા રાય બચ્ચન સાથે તેમણે બે વર્ષનો સોદો પણ કરેલો છે.
ઉદ્યોગપતિ તરીકેની કલ્યાણરમણની યાત્રા 12 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી પણ આજે તેમની ઓળખ ભારત જ નહીં વિશ્વભરમાં પ્રસરી છે.
સંદર્ભઃ
https://en.wikipedia.org/wiki/Kalyan_Jewellers
eછાપું