અફવાઓથી સાવધાન: ગુજરાતમાં કોરોના ટેસ્ટની સંખ્યા નહીં ઘટે

0
308
Photo Courtesy: YouTube

છેલ્લા કેટલાક દિવસોથી આંકડાઓને વ્યવસ્થિતપણે તોડીમરોડીને ગુજરાતની પ્રજામાં કોરોના અંગે રાજ્ય સરકારની તૈયારી વિષે ગભરાટ ફેલાવવાનો વ્યવસ્થિત પ્રયાસ થઇ રહ્યો છે જેને ગુજરાત સરકારે જડમૂળમાંથી નકારી દીધો છે.

Photo Courtesy: YouTube

ગાંધીનગર: છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતી મિડિયાના કેટલાક હિસ્સાઓ દ્વારા કોરોના મહામારી અંગે વ્યવસ્થિતપણે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. વિવિધ પ્રકારની આ અફવાઓમાં એક અફવા એવી પણ છે કે ગુજરાત સરકારે કોરોના સંક્રમિત વ્યક્તિઓને ઓળખી કાઢવા માટે થતા ટેસ્ટની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

ગઈકાલે ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ ઉપરોક્ત અફવાઓને પાયાવિહોણી ગણાવી તેને મૂળમાંથી જ નકારી દીધી છે. જયંતિ રવિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે રાજ્યમાં હાલમાં થઇ રહેલા ટેસ્ટની સંખ્યા ઘટાડવાની ગુજરાત સરકારની કોઈજ યોજના નથી.

જયંતિ રવિએ જણાવ્યું હતું કે,

આપણી પાસે દરરોજ 3000 ટેસ્ટ કરવાની ક્ષમતા છે અને આપણે આ ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરી રહ્યા છીએ. આપણે ભવિષ્યમાં પણ આ જ ક્ષમતાને ધ્યાનમાં લઈને ટેસ્ટ કરતા રહીશું અને આ ક્ષમતાથી ઓછા ટેસ્ટ કરવાની કોઈજ યોજના નથી. અમે દરરોજ રાજ્યના વિવિધ વિસ્તારોને આવરી લેતા 2,500 ટેસ્ટ કરવાની યોજના બનાવી છે અને બાકીના ટેસ્ટ એ લોકો પર કરવામાં આવશે જે હાલમાં ક્વોરંટાઈનમાં છે અને તેમને કોરોનાની અસર થઇ છે કે કેમ એ નક્કી કરવા માટે થશે. ઉપરાંત જે લોકો હાલમાં કોરોનાથી સંક્રમિત છે તેમના પર દર બે દિવસે બે વખત ટેસ્ટ કરવામાં આવે છે એ જોવા માટે કે તેઓ હવે કોરોનાના સંક્રમણમાંથી મુક્ત થઇ ગયા છે કે નહીં.

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતી મિડીયાના કેટલાક હિસ્સાઓમાં ગુજરાતની જનતામાં કોરોના સામેની લડાઈમાં ગુજરાત સરકાર પાછી પડી રહી છે તે પ્રકારની અફવાઓ કોઈ યોજનાબદ્ધ રીતે ફેલાવવામાં આવી રહી છે. શરૂઆતમાં ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત ખાનગી હોસ્પિટલોમાં લેવામાં આવતા ચાર્જ અંગે વિકૃત છબી રજુ કરવામાં આવી હતી અને બે દિવસથી ગુજરાતમાં જરૂર કરતા ટેસ્ટ ઓછા થવા અંગે જયંતિ રવિ દ્વારા આપવામાં આવતા આંકડાઓને તોડીમરોડીને રજૂ કરવામાં આવી રહ્યા છે.

eછાપું તેના વાચકોને અપીલ કરે છે કે તે કોરોના અંગે માત્રને માત્ર સરકારી આંકડાઓ અને માહિતી પર જ વિશ્વાસ કરે. આ માહિતીની સત્યતા તેઓ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિ તેમજ અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા દરરોજ થતી પ્રેસ કોન્ફરન્સ જરૂર જુએ અને તેમાં સમજાવવામાં આવતા તમામ મુદ્દાઓને ધ્યાનથી સમજે જેથી ગુજરાતીઓમાં અફવાઓ દ્વારા ગભરાટ ફેલાવવા ઈચ્છતા તત્વો પર લગામ કસી શકાય.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here