ગયા મહીને લગભગ ત્રણ અઠવાડિયા સુધી ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન ક્યાં ખોવાઈ ગયા છે તેની કોઈને પણ ખબર ન હતી, પરંતુ હવે ખરી હકીકત સામે આવી છે.
લંડન: ગયા મહીને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન ક્યાં છુપાઈ ગયા છે તેના વિષે ખૂબ અફવાઓ ફેલાઈ હતી. એક અફવા એવી પણ હતી કે કિમ જોંગ ઉન હ્રદયની કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે અને આથી તેઓ સારવાર હેઠળ છે.
તો એક અન્ય અફવા અનુસાર કિમ જોંગ ઉનને કોરોના થયો છે અને તેમની સ્થિતિ અત્યંત ગંભીર છે. કેટલીક ન્યૂઝ સંસ્થાઓએ તો કિમ જોંગ ઉનના અવસાનની પણ અફવા ઉડાવી દીધી હતી.
પરંતુ હવે એક રિપોર્ટ સામે આવ્યો છે જે મુજબ કિમ જોંગ ઉન જાણીજોઈને ત્રણ અઠવાડિયા માટે ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ પાછળનું કારણ એ જણાવવામાં આવી રહ્યું છે કે કિમ જોંગ ઉન સંતાઈ જઈને એ જાણવા માંગતા હતા કે તેમની નજીકના વર્તુળમાં કોણ કોણ દગાખોર છે.
કિમ જોંગ ઉનનું માનવું હતું કે પોતાની ગંભીર બીમારી કે પછી અવસાનના સમાચાર સાંભળીને અંગત વર્તુળના એ લોકોની હરકતો સામે આવી જશે જે તેમના વિરુદ્ધ દગો કરવા માંગતા હશે. કિમ જોંગ ઉનનો આ દાવ સફળ રહ્યો હોવાનું પણ એ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
લંડનમાં ઉત્તર કોરિયાના બ્રિટન ખાતેના નાયબ રાજદૂત થેઈ યોંગ હો જે કિમ જોંગ ઉનના ખાનગી ફંડ્સ મેનેજ કરે છે તેઓ તેમજ અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સ્ટેટ ઓફ ધ યુનિયનમાં ભાગ લેનાર રાજદ્વારી જી સેઓંગ હો કિમ જોંગ ઉન વિરુદ્ધ તેમની કહેવાતી બીમારી દરમ્યાન કાવતરું કરવાની કોશિશ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. જો કે આ બંનેએ કિમ જોંગ ઉનના જાહેરમાં આવ્યા બાદ તેમની માફી માંગી લીધી છે.
કિમ જોંગ ઉન ગયા અઠવાડિયે ઉત્તર કોરિયામાં એક ફર્ટીલાઈઝર ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા માટે ત્રણ અઠવાડિયા બાદ જાહેરમાં આવ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કિમ જોંગ ઉનના જાહેરમાં દેખાવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને તેમને શુભેચ્છા આપી હતી.
eછાપું