તમે 5237 અને 8394 આ બે સંખ્યાનો ગુણાકાર કેટલી સેકંડમાં કરી શકો? અને 15378 x 65024 આ ગુણાકાર? 6 અંકવાળી બે રકમનો ગુણાકાર? નોટબુક–પેન્સિલ લઈને કે મોબાઈલમાં કેલ્ક્યુલેટરની એપ્લિકેશન ખોલીને આ ગણત્રી કરીએ તોયે સહેજે 10 સેકંડ તો લાગી જ જાય.
18 જૂન 1980ના રોજ ઈમ્પિરિયલ કોલેજ (લંડન)ના કોમ્પ્યુટર વિભાગે બે 13-અંકી રકમનો ગુણાકાર કરવા એક ભારતીય નારીને પડકાર આપ્યો. આ બંને રકમ 7,686,369,774,870 અને 2,465,099,745,779નો ગુણાકાર (જવાબઃ 18,947,668,177,995,426,462,773,730) પેપર–પેન કે કેલ્ક્યુલેટર વાપર્યા વગર ફક્ત 28 સેકંડમાં કરીને તે ભારતીય મહિલાએ ‘ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ‘માં પોતાનું નામ નોંધાવ્યું – આ મહિલાનું નામ છે શકુંતલા દેવી!
1980ની આ ઘટનાની નોંધ લેતા સ્ટીવન સ્મીથ નામના લેખકે લખ્યું – the result is so far superior to anything previously reported that it can only be described as unbelievable! ખરેખર આવું બનવું અશક્ય જ લાગે પણ છતાં શક્ય બન્યું અને આ જ કારણે શકુંતલા દેવીને ‘માનવ કેલ્ક્યુલેટર‘નું બિરુદ મળેલું. પણ આ પાછળનો ઈતિહાસ જાણીએ.
બ્રિટીશ ભારત વખતે મૈસુર રાજ્યમાં બેંગ્લોરમાં એક જૂનવાણી કન્નડ બ્રાહ્મણ પરિવારમાં 4 નવેમ્બર 1929ના રોજ શકુંતલા દેવીનો જન્મ થયો. બ્રાહ્મણ પરિવાર હોવાથી પૂર્વજો ગોરપદું કરતા પણ શકુંતલાના પિતાએ મંદિરના પૂજારી બનવાની ના પાડી અને એક સરકસમાં વાઘ–સિંહની સાથે કરતબ કરનાર એક જાદૂગર અને લટકતા દોરડા પર ઊભા રહીને લોકોનું મનોરંજન કરવાનું પસંદ કર્યુ.
પોતે જાદૂગર હતો એટલે ગંજી પત્તાની યુક્તિઓ કરતો. એક વખત પોતાના ઘરે આવી કોઈ પત્તાની યુક્તિ કરતી વખતે ખબર પડી કે 3 વર્ષની દીકરી શકુંતલાને આંકડાઓ, રકમો અને સંખ્યાઓ તરત જ યાદ રહી જાય છે. શિક્ષણ વગર પણ શકુંતલા મોટી ગણતરીઓ ચપટી વગાડતા કરી નાખતી. આ વાતનો ફાયદો લેવા તેમના પિતાશ્રી શકુંતલાને રોડ–શોમાં ભાગ લેવડાવતા. લોકો સામે ટચૂકડી શકુંતલા પોતાની આ ક્ષમતા દર્શાવતી અને પિતાને વકરો થતો. ફક્ત છ વર્ષની હતી ત્યારે શકુંતલાએ મૈસુર યુનિવર્સિટીમાં પોતાની અંકગણિતની ક્ષમતા દર્શાવી.
સન 1944માં પિતા સાથે લંડન સ્થળાંતરિત થઈ ગઈ. ત્યાંથી 1950માં યુરોપ ટૂર, 1976માં ન્યુયોર્ક ટૂર અને 1988માં કેલિફોર્નિયા યુનિવર્સિટી (બર્કલી)માં તેની આ કરામતને સમજવા આર્થર જેન્સન નામના પ્રોફેસરે તેને બોલાવી. 1990માં છપાયેલી પોતાની Intelligence નામની જર્નલમાં જેન્સને નોંધ્યું કે 61629875 નું ઘનમૂળ (395) અને 170859375 નું સપ્તમૂળ (15) શકુંતલાએ જેટલી વારમાં ગણી આપ્યું તેટલી વારમાં તે આ બે સંખ્યાઓ પોતાની નોટબુકમાં પણ નહોતો લખી શક્યો.
1977માં સધર્ન મેથોડીસ્ટ યુનિવર્સિટીમાં એક 201-અંકીય સંખ્યાનું 23મું મૂળ શકુંતલા દેવીએ ફક્ત 50 સેકંડમાં કહી દીધેલું. તેમણે આપેલા જવાબનો તાળો મેળવવા તે વખતેના UNIVAC 101 કોમ્પ્યુટરમાં એક વિશેષ પ્રોગ્રામ લખવો પડેલો. BBCના એક ઈન્ટરવ્યુમાં શકુંતલા દેવીને એક પ્રશ્ન પૂછાયેલો જેનો જવાબ પૂછનારના જવાબ કરતા અલગ હતો. પછી ખબર પડી કે પૂછનારની ગણતરી ખોટી હતી અને શકુંતલા દેવીનો જવાબ સાચો હતો.
1965માં શકુંતલા દેવી કલકત્તાના એક IAS ઓફિસર પારિતોષ બેનર્જી સાથે લગ્નગ્રંથિમાં જોડાયા. 14 વર્ષના લગ્નજીવન પછી 1979માં બંનેએ છૂટાછેડા લીધા. તે દરમિયાન તેમને એક પુત્રી પણ થઈ જેનું નામ અનુપમા બેનર્જી છે. છૂટાછેડા લીધા પછી તરત જ તે લંડનથી બેંગ્લોર આવી ગયા. ભારતમાં સમલૈંગિકતા (હોમોસેક્સ્યુઆલિટી) વિશેની પહેલ વહેલું રીસર્ચ અને પુસ્તક શકુંતલા દેવીએ 1977માં લખ્યું. The world of Homosexuals નામના પુસ્તકમાં તેમણે ભારતમાં સમલૈંગિકતા અંગે લોકોના મત અને વિચાર જાણવાનો પ્રયત્ન કર્યો. For straights only નામની એક ડોક્યુમેન્ટ્રીમાં શકુંતલા દેવીએ જાહેર કર્યું કે તેમને સમલૈંગિક લોકો વિશે જાણવાની ઈચ્છા ત્યારે ધરાવી જ્યારે તેણીને ખબર પડી કે તેનો પતિ પારિતોષ સમલૈંગિક છે.
સન 1980માં શકુંતલા દેવીએ ભારતીય રાજકારણમાં જંપલાવ્યું. એક અપક્ષ ઉમેદવાર તરીકે તેમણે લોકસભાની ચૂંટણીમાં બે સીટોથી ચૂંટણી લડી – એક મુંબઈ સાઉથ અને બીજી આંધ્રપ્રદેશના મેડક રાજ્યમાંથી. મેડકમાં તો તેઓ ઈંદિરા ગાંધીની વિરુદ્ધ ઉભાં હતાં . આ સિવાય શકુંતલા દેવી જ્યોતિષવિદ્યાના પણ જાણકાર હતા અને રસોઈકળામાં પણ નિપૂણ હતા. તેમના Puzzels for you, Super Memory, Numbers book વગેરે પુસ્તકો યુવાનોમાં ઘણાં જ પ્રચલિત છે. Figuring: The joy of numbers નામના પુસ્તકમાં તેણીએ પોતાની રકમ અને દાખલા ગણવાની યુક્તિઓ દર્શાવી છે.
એપ્રિલ 2013માં શ્વાસની તકલીફને કારણે તેમને બેંગ્લોરના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને 23 એપ્રિલ 2013ના રોજ 83 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. તેમના અવસાન પછી ‘શકુંતલા દેવી એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ‘ દ્વારા એવું વિધાન આવેલું કે શકુંતલાની ગણતરીની રીતો અને ગણિતને સરળ બનાવવાની યુક્તિઓ આજે મોટાભાગની યુનિવર્સિટીઓ અને કોલેજો વાપરતી નથી. શકુંતલા તો ગણિતના વિષયથી વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા માંગતાહતા .
4 નવેમ્બર 2013ના રોજ શકુંતલા દેવીના 84માં જન્મદિવસે ગૂગલે ડૂડલથી તેમને શ્રધ્ધાંજલી આપી. મે 2019માં વિદ્યા બાલનને લઈને ‘શકુંતલા દેવી‘ના જીવન પર એક ફિલ્મ બનાવવાની જાહેરાત થયેલી. આ ફિલ્મ 2020માં રિલીઝ થશે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી.
સંદર્ભઃ
https://www.bbc.com/news/world-asia-india-22244118
eછાપું