“હું ઈચ્છું છું કે હું મધ શિકાર પર જઇ શકું પણ….” ચુંબી મેગેજી નામના એક મધશિકારી પાસે આજે મધ એકત્રિત કરવા માટેનો ટોપલો, દેશી રબર (જે મધને તે ટોપલીમાં સીલ કરી દે), હેલ્મેટ (જે મધમાખીઓથી બચાવવા માટે વપરાય છે), અને ઇચ્છા પણ છે છતાં 83 વર્ષની ઉંમર છે એટલે શરીર સાથ નથી આપતું. તે દિવસો ગયા, જ્યારે ચુંબી ઘનઘોર જંગલોમાં દિવસો સુધી ચાલતા, મધ એકઠું કરવાના અભિયાનો આગળ વધારતા, જંગલી વેલામાંથી સીડીઓ બનાવતા, ખડકોમાં ચોક્કસ જગ્યાએ લટકીને મધ એકત્રિત કરતા. મધમાખીઓના ઝીણા ઝીણા અવાજોની મીઠી ધમકી વચ્ચે પણ તેઓ આ કામ કરવામાં રાજીપો અનુભવતા.
ફેબ્રુઆરી 2020 માં, નવી દિલ્હીમાં યોજાયેલા 10 મા ‘દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટીવલ‘માં ‘ચી–લ્યુપો’ નામની 26 મિનિટની એક દસ્તાવેજી ફિલ્મને ‘બેસ્ટ ડોક્યુમેન્ટ્રી‘નો એવોર્ડ મળ્યો. આ ડોક્યુમેન્ટ્રી અરુણાચલ પ્રદેશના કેઝંગ ડી. થન્ડોક દ્વારા બનાવવામાં આવી છે. તેનો વિષય અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લાના શેરટુકેન સમુદાયમાં વર્ષોથી ચાલી આવતા મધશિકારના રિવાજ પર આધારિત છે. થન્ડોક આ ક્ષેત્રમાં જાણીતા ફિલ્મમેકર છે અને તેમણે ઘણી પ્રાદેશિક ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. તેમણે દૂરદર્શન સાથે પણ કામ કર્યુ છે અને ત્રીસેક જેટલા પ્રાદેશિક વિડીયો પણ બનાવ્યા છે.
આ વર્ષે શરૂઆતમાં પદ્મશ્રી એવોર્ડ મેળવનારા શેરટુકેન સમુદાયના લેખક યશે દોરજી થોંગચી સમજાવે છે કે, “અમારા વિસ્તારમાં, મધમાખી ભાગ્યે જ ઝાડ પર પોતાના પૂડા બનાવે છે. તેમને ખડકાળ પહાડોની બાજુ વધુ પસંદ છે. અને તેમના મધપૂડા વિશાળ હોય છે. બાળકો તરીકે, અમે કામ પર જતાં મધ શિકારીઓને જોતા હતા. તેઓની કારીગરી, તેમની બહાદુરી અને તેઓ તાંબાનાં વાસણોમાં મધ કેવી રીતે એકત્રિત કરશે તે વિચારીને અમને અચરજ થતી.
શેરટુકેન સમુદાય અરુણાચલ પ્રદેશના 12 ગામોમાં કેન્દ્રિત છે અને તેમની કુલ વસ્તી 4,500 હોવાનો અંદાજ છે. આ જિલ્લાના મુખ્ય ગામોના નામ રૂપા, શેરગાંવ અને જીગાંવ છે. આ સમુદાયની બોલીમાં ‘ચી‘ એટલે મધ અને ‘લ્યુપો‘ એટલે શિકારી એવો અર્થ થાય છે. ‘ચી લ્યુપો– શેરટુકેનના મધશિકારીઓ‘ એક એવી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ છે જે મધ એકત્રિત કરનાર આ સમુદાયના જીવનની વિટંબણાઓ વિશે વાત કરે છે. આ સમુદાયના માણસો મધ એકઠું કરવા પર ખૂબ નિર્ભર છે. તેઓ દવાના ઉત્પાદન માટે તેમજ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે.
મધનો શિકાર કરવો એ ખૂબ જ મુશ્કેલભર્યુ કામ છે. તેમાં એક અલગ કુશળતા અને કારીગરીની જરૂર છે જે દરેક માણસ પાસે હોતી નથી. પરંતુ હવે વધતા શહેરીકરણ અને આધુનિકીકરણ સાથે, આ પ્રજાતિના ઓછા લોકો મધશિકારી બનવા માટે ઉત્સુક છે અને તેથી જ આ આવડત, કુશળતા ખોવાઈ રહી છે. ‘ચી લ્યુપો‘ ડોક્યુમેન્ટરીમાં, ફિલ્મના નિર્દેશક જંગલોમાં છ મધશિકારીઓની સાથે જીપમાં જાય છે અને તેમના પરીક્ષણો અને વિપત્તિઓને કેમેરામાં કંડારે છે. આ ફિલ્મ આપણને એક એવી મુસાફરીમાં લઈ જાય છે જેમાં એક ખાસ પ્રકારનું મધ એકત્રિત કરવા માટે શિકારીઓને હિંમતથી કામ લેવું પડે છે. આ પ્રકારનું મધ ફક્ત ખડકાળ પર્વતોમાંથી જ મળી આવે છે. આ મધ સ્વાદમાં વિશેષ હોય છે કારણ કે તે ખૂબ મોટી મધમાખીઓના મધપૂડામાંથી કાઢવામાં આવે છે.
આ મધશિકારીઓ તેમની બહાદુરી અને કલાકારી વડે પોતાના જીવનને જોખમમાં મૂકવાની ક્ષમતા ધરાવે છે. આ ડોક્યુમેન્ટ્રી એવા સમુદાયના જીવનને પ્રકાશમાં લાવે છે જે ભાગ્યે જ બહારના વિશ્વમાં જાણીતા છે અને તે લોકો ઝડપથી લુપ્ત થવાની કગાર પર પણ છે. ફિલ્મ પણ એક વિશેષ સુસંગતતા ધરાવે છે કારણ કે ઉત્તરપૂર્વના આવા દૂરના ખૂણામાંથી ખૂબ ઓછા નિર્દેશકો બહાર આવ્યા છે અને સમુદાયમાં પ્રચલિત અસામાન્ય સામાજિક–સાંસ્કૃતિક પદ્ધતિઓનું દસ્તાવેજીકરણ કરવા પ્રયત્નો કર્યા છે. આ ડોક્યુમેન્ટ્રીની પૃષ્ઠભૂમિમાં અરુણાચલ પ્રદેશના પરંપરાગત સંગીત સાથે અંગ્રેજીમાં વર્ણન કરવામાં આવ્યું છે.
37 વર્ષીય ફિલ્મ નિર્માતા આ મધશિકારીઓ સાથે દરિયાની સપાટીથી આશરે 6000 ફૂટ ઊંચા જંગલમાં જાય છે. શૂટીંગ દરમિયાન થંગડોકનાં ચાર ક્રૂ સભ્યો અને મધશિકારીઓ બધાં એક જ બેઝ કેમ્પમાં રોકાય છે. રોજ લગભગ ત્રણ કલાકની મુસાફરી કરીને તેઓ એવી જગ્યાએ પહોંચે જ્યાંથી બીજા બે કલાક ચાલીને મધમાખીના મોટા મધપૂડાઓ ઊભા પર્વત પરના ખડકોથી લટકેલા હોય. મધની લણણી પરંપરાગત રીતે વર્ષમાં બે વાર કરવામાં આવે છે. મધમાખી પહેલી વાર જૂન–જુલાઈમાં જંગલી ફૂલોમાંથી મધ બનાવે છે અને બીજી વાર ઓક્ટોબર–નવેમ્બરમાં બનાવે છે. શિયાળાના સમયમાં કાઢેલું મધ જો મોટા પ્રમાણમાં પીવામાં આવે તો તેની માદક દ્રવ્યો જેવી અસર થઈ શકે છે.
જૂન–જુલાઈ 2018 માં કેટલીક મુસાફરીઓ દરમિયાન આ ડોક્યુમેન્ટ્રીનું શૂટિંગ કર્યું છે. શૂટિંગ કરતી વખતે થંગડોકને ખબર પડી કે મધમાખીઓને ધુમાડા આપીને તેમનું મધ એકઠું કરવું એટલું જ નહીં, પરંતુ વેલામાંથી સીડી, હાથે બનાવેલી ટોપલી અને બીજા જરૂરી સાધનો પણ આ મધશિકારીઓ જ પોતાના હાથે બનાવે છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન, થંગડોકે જોયું કે મધ એકત્ર કરવા માટે મધશિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ટોપલીની અંદર એક પ્રકારનું દેશી રબર લગાડેલું હોય છે. તે ન તો ફેક્ટરીમાં બનાવેલું રબર હોય અને ન તો રબરના ઝાડમાંથી ઉત્પન્ન થયેલું રબર હોય છે. ત્યાંના ઘણા ઘણા લોકો એ પણ નથી જાણતા કે તે રબર કઈ રીતે બને છે.
કુલ છ મધશિકારીઓમાંથી આજે ફક્ત ત્રણ જ સક્રિય છે અને લગભગ બે વર્ષ પછી આ પરંપરા પણ અદૃશ્ય થઈ જશે.
સંદર્ભઃ
eછાપું