કૌભાંડો તો આપણે સાંભળ્યા જોયા છે પરંતુ પાકિસ્તાની વિદેશ સેવાના અધિકારીઓએ ઇન્ડોનેશિયાના જકાર્તામાં એક એવું કૌભાંડ કરી બતાવ્યું છે જેની આપણને કલ્પના પણ ન થાય.
ઇસ્લામાબાદ: દુનિયાભરમાંથી આપણને અસંખ્ય પ્રકારના કૌભાંડોના સમાચાર મળતા રહેતા હોય છે. આમાંથી કેટલાક કૌભાંડોમાં કેટલાક રાષ્ટ્રના સર્વોચ્ચ આગેવાનો પણ સામેલ હોય છે.
પરંતુ પાકિસ્તાનની વિદેશ સેવાના અધિકારીઓએ એક એવું કૌભાંડ કરી બતાવ્યું છે જે કદાચ કોઈને માનવામાં પણ ન આવે. પાકિસ્તાનના રાષ્ટ્રીય જવાબદારી બ્યુરોએ (NAB) પાકિસ્તાની વિદેશ સેવાના અધિકારીઓ વિરુદ્ધ જકાર્તામાં પોતાની જ કચેરીને બરોબાર વેંચી નાખવા અંગેની ફરિયાદ નોંધવા સરકારને કહ્યું છે.
જાણવા મળ્યા અનુસાર કેટલાક પાકિસ્તાની અધિકારીઓએ ઇન્ડોનેશિયાના પાટનગર જકાર્તામાં આવેલી પોતાની જ એલચી કચેરીનો કેટલોક હિસ્સો વેંચી દીધો હતો! NAB દ્વારા આ માટે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવાનું કહેવામાં આવ્યું છે.
સ્વાભાવિક છે કે આ રીતે પોતાના જ દૂતાવાસના હિસ્સાને કોઇપણ પ્રકારની સરકારી મંજૂરી વગર વેંચી દેવામાં આવ્યો હોવાથી પાકિસ્તાન સરકારની તિજોરીને ભારે નુકશાન વેઠવું પડ્યું છે. NAB એ પોતાના રિપોર્ટમાં એ હકીકતની નોંધ પણ કરી છે કે પાકિસ્તાની વિદેશ મંત્રાલયના કેટલાક ઉચ્ચ અધિકારીઓને પણ જકાર્તાના રાજદૂતાવાસના હિસ્સાને વેંચવાની માહિતી હતી તેમ છતાં તેમણે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કોઈ પણ પગલાં લીધા નથી.
NABને આ જ રીતે જાપાનની રાજધાની ટોકિયોમાં પણ અધિકારીઓ દ્વારા પાકિસ્તાની એલચી કચેરીનો કેટલોક હિસ્સો વેંચી દેવાની ફરિયાદ મળી છે.
પાકિસ્તાન સરકારની તિજોરીને નુકશાન પહોંચાડવાના સમાચાર ત્યારે આવ્યા છે જ્યારે પાકિસ્તાનની આર્થિક હાલત અત્યંત કંગાળ થઇ ગઈ છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં હાલમાં કોરોના મહામારીએ જબરદસ્ત ભરડો લીધો છે અને તેને આખા વિશ્વમાં આ મહામારી સામે લડવા આર્થિક મદદ માટે મદદનો હાથ લંબાવવો પડ્યો છે.
eછાપું