કોરોનાને કારણે લગભગ ત્રણ મહિનાથી બંધ એવા મુંબઈના મનોરંજન ઉદ્યોગમાં ફરીથી પ્રાણ ફૂંકવા અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેટલાક હકારાત્મક સૂચનો આપ્યા છે.
મુંબઈ: કોરોનાની મહામારી ભારતમાં પ્રવેશી ત્યારથી જ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમજ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીને તાળાં વાગી ગયા છે. આ ઉપરાંત દેશભરમાં સિનેમાગૃહો તેમજ મલ્ટીપ્લેક્સ પણ બંધ છે.
સ્વાભાવિક છે કે કોરોનાનો ચેપ ભીડભાડવાળી જગ્યાએ વધુ પ્રસરતો હોવાથી ફિલ્મોનું શુટિંગ અને તેનું પ્રદર્શન બંધ રાખવું પડે તે જરૂરી છે. પરંતુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હવે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી ફરીથી પોતાનું કાર્ય શરુ કરે તેવો સંકેત આપ્યો છે.
મહારાષ્ટ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મનોરંજન ઉદ્યોગ ખાસ કરીને મરાઠી ફિલ્મ ઉદ્યોગના જાણીતા પ્રતિનિધિઓ સાથે ગઈકાલે એક વિડીયો કોન્ફરન્સથી બેઠક કરી હતી. આ બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહીત કોરોનાનો ચેપ ન ફેલાય તેનું ધ્યાન રાખીને મનોરંજન ઉદ્યોગ જો શુટિંગ ફરીથી શરુ કરવા માંગતો હોય તો તેણે તેમની સમક્ષ એક વિસ્તૃત યોજના રજુ કરવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે તેઓ અને તેમની સરકાર ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાઈને રોજગારી મેળવતા નાનામાં નાના વ્યક્તિ સાથે ખભેખભો મેળવીને ઉભા છે. ઉદ્ધવ ઠાકરેએ ફિલ્મ ઉદ્યોગના પ્રતિનિધિઓને સેટ ઉભો કરવામાં થતા ખર્ચમાં વળતર આપવાની તેમની માંગ પર વિચાર કરવાનું પણ આશ્વાસન આપ્યું હતું.
મુખ્યમંત્રીએ શૂટિંગ અને પોસ્ટ પ્રોડક્શનના કાર્યો ફરીથી શરુ થઇ શકે તે માટે તમામ મદદ આપવાનું કહ્યું હતું અને ઉમેર્યું હતું કે આ તમામ પ્રવૃત્તિઓ રેડ ઝોનની બહાર થાય એ આવશ્યક છે. જો કે ઉદ્ધવ ઠાકરેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હાલના સંજોગોમાં મહારાષ્ટ્ર રાજ્યમાં સિનેમાગૃહો ફરીથી શરુ કરવાનો સરકારનો કોઈજ વિચાર નથી.
eછાપું