ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો પર મતદાન થવાને હવે માત્ર 15 દિવસનો સમય બાકી રહ્યો છે એવામાં કોંગ્રેસ પક્ષ માટે મોટા અને માઠા સમાચાર આવ્યા છે.
ગાંધીનગર: આવનારી 19 તારીખે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થવાનું છે અને તે પહેલા જ કોંગ્રેસ પક્ષને એક મોટો ધક્કો વાગી ચૂક્યો છે. આજે ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે આજે વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સુપરત કરી દીધા બાદ પોતાનો સેલફોન સ્વીચ ઓફ કરી દીધો હોવાના સમાચાર મળી રહ્યા છે. રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપે ત્રણ અને કોંગ્રેસે બે ઉમેદવારો ઉભા રાખ્યા છે જેથી એક ઉમેદવારની હાર નિશ્ચિત હોવાનું મનાય છે, આવામાં બંને પક્ષો પોતપોતાના ધારાસભ્યોને સાચવવામાં વ્યસ્ત છે.
અક્ષય પટેલ ઉપરાંત કોંગ્રેસ પક્ષના બીજા પાંચ ધારાસભ્યો પણ રાજીનામાં આપવા માટે તૈયાર હોવાનું સામે આવ્યું છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાણાનીએ થોડા સમય પહેલા અક્ષય પટેલના રાજીનામાં પર પોતાની પ્રતિક્રિયા tweet કરીને શાસક પક્ષ પર પોતાના ધારાસભ્યોની ખરીદી કરવાનો આરોપ મૂક્યો હતો.
“”કાળા કામનો સરવાળો: કેકે””
શું હવે “ધમણ” ની કમાણીથી જ
શરૂ કરી દિધી છે..,ધારાસભ્યોને ખરીદવાની દુકાન..?#ગુજરાત_બચાવો_અભિયાન
— Paresh Dhanani (@paresh_dhanani) June 4, 2020
જે વધુ પાંચ ધારાસભ્યો દ્વારા રાજીનામા આપવાની ચર્ચા ચાલી રહી છે તેમાંથી એક એવા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેઓ રાજીનામું આપવાના નથી અને તે કોંગ્રેસ પક્ષમાં જ રહેશે. ગઈકાલે કિરીટ પટેલ સાથે કોંગ્રેસના અન્ય બે ધારાસભ્યો લલિત કગથરા અને લલિત વસોયા મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા પરંતુ બાદમાં તેમણે પોતાની મુલાકાત તેમના વિસ્તારોને લગતા પ્રશ્નોની ચર્ચા પૂરતી જ મર્યાદિત હોવાનું જણાવ્યું હતું.
રાજ્યસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારે જ ગુજરાત કોંગ્રેસમાંથી પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. આ ધારાસભ્યોમાં પ્રદ્યુમ્નસિંહ જાડેજા (અબડાસા), પ્રવીણભાઈ મારુ (ગઢડા), મંગળભાઈ ગાવિત (ડાંગ), જે.વી. કાકડિયા (ધારી) અને સોમાભાઈ પટેલ (લીંબડી) સામેલ હતા.
અપડેટ: અક્ષય પટેલ બાદ કપરાડાથી કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરીએ પણ પોતાના વિધાનસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ચૌધરીએ આ બંનેના રાજીનામાં સ્વીકારી લીધા છે.
eછાપું