‘આરાધના’ અને ‘એક શ્રીમાન એક શ્રીમતી’ બંને ફિલ્મનો અંત જોઈને શક્તિ સામંત મૂંઝવણમાં પડ્યા કે હવે ‘આરાધના’ શરૂ કરવી કે કેમ? આ વિચાર સાથે સામંત પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યાં તેમને મધુસુદન કાલેલકર (‘જાને અન્જાને’ ફિલ્મના લેખક) અને ગુલશન નંદા (‘સાવન કી ઘટા’ ફિલ્મ જેમના પુસ્તક પરથી બની હતી) મળ્યા. સામંતે બંનેને બધી વાત કરી અને ગુલશન નંદાને કહ્યું કે તમારી પાસે કોઈ વાર્તા હોય તો હું કાલે ને કાલે શૂટીંગ ચાલુ કરવા તૈયાર છું. ગુલશન નંદાએ એક વાર્તા સંભળાવી અને શક્તિ સામંતે તરત જ નક્કી કરી લીધું કે ‘આરાધના’ને બદલે તેઓ ગુલશન નંદાની એ વાર્તા પરથી ફિલ્મ બનાવશે.
ત્યારબાદ મધુસુદન કાલેલકર અને ગુલશન નંદાએ શક્તિ સામંતને કહ્યું કે તેઓ તેમને ‘આરાધના‘ની વાર્તા સંભળાવે. સામંતે ‘આરાધના‘ની વાર્તા સંભળાવી અને એમ પણ કહ્યું કે ફિલ્મનો ક્લાઈમેક્સ ‘એક શ્રીમાન એક શ્રીમતી‘ ફિલ્મના અંત જેવો જ છે. પૂરી વાર્તા સાંભળી પછી કાલેલકર અને ગુલશન નંદાએ સામંત સાથે સાતેક કલાક ચર્ચાવિચારણા કરી અને ફિલ્મની વાર્તામાં ઈન્ટરવલ પછી થોડાં ફેરફાર કરવાનું સૂચવ્યું. ત્યારે એવું નક્કી થયું કે ‘આરાધના‘ની વાર્તા સરસ છે પણ તેમાં બાપ અને દીકરાનો રોલ એક જ કલાકાર કરે. બસ, પછી તો સામંતને 25 વર્ષનો યુવા કલાકાર શોધવાની પણ જરૂર નહોતી. રાજેશ ખન્ના, શર્મિલા ટાગોર, ફરિદા જલાલ અને સુજીત કુમારને લઈને ‘આરાધના‘ ફિલ્મના શ્રીગણેશ થયા. એન્ડ રેસ્ટ ઈઝ હિસ્ટ્રી!
‘આરાધના‘ ફિલ્મની વાર્તા સન 1946ની હોલીવુડ ફિલ્મ To Each His Own સાથે ઘણી ખરી મળતી હતી. ‘આરાધના‘માં રાજેશ ખન્નાનો ડબલ રોલ હતો પરંતુ આ ફિલ્મ પૂરેપૂરી એક સ્ત્રીના બલિદાનની વાર્તા છે. શર્મિલાએ કરેલા રોલમાં વૈવિધ્ય જુઓઃ ‘मेरे सपनों की रानी…’ ગીતની નટખટ વંદના અને વર્ષો જેલમાં રહીને એક પરિપક્વ, શાંત અને સૌમ્ય વંદના – બંને રોલ લાજવાબ બની રહ્યા. શર્મિલા ટાગોરને આ ફિલ્મ માટે ‘બેસ્ટ હીરોઈન‘ નો ફિલ્મફેર એવોર્ડ મળેલો, જે તેનો પહેલો ફિલ્મફેર એવોર્ડ હતો.
(ગયા અઠવાડિયે પૂછેલા પ્રશ્નનો જવાબ છે – શમ્મી કપૂર અને શર્મિલા ટાગોરની ફિલ્મ ‘એન ઈવનીંગ ઈન પૅરિસ‘ જે સદાબહાર ફિલ્મ બની રહી).
હવે ‘આરાધના‘ ફિલ્મના ગીતો અને સંગીતની વાત કરીએ. ફિલ્મમાં સાત ગીત હતા – સાતેય સુપરહીટ! ‘मेरे सपनों की रानी कब आयेगी तु…’, ‘रूप तेरा मस्ताना…’, ‘बागों में बहार है…’, ‘चंदा है तु, मेरा सूरज है तु…’, ‘गुनगुना रहे है भंवरे, खील रही है कली–कली…’, कोरा कागज था, ये मन मेरा…’ અને ‘सफल होगी तेरी आराधना…’ આ ગીતો દ્વારા ફિલ્મનું સંગીત સદાબહાર બન્યું. શક્તિ સામંતને શંકર–જયકિશન પાસે આ ફિલ્મનું સંગીત બનાવડાવવું હતું પણ ફિલ્મનું બજેટ મર્યાદિત હોવાને કારણે તેમણે સચિન દેવ બર્મન પાસે ફિલ્મનું સંગીત બનાવડાવ્યું. મોહમ્મદ રફી ફિલ્મના બે ગીત (‘बागों में बहार है…’, અને ‘गुनगुना रहे है भंवरे…’)નું રેકોર્ડીંગ કરીને ત્રણ મહિનાના વર્લ્ડ ટુર પર હતાં એટલે શક્તિ સામંતે તેમની રાહ જોવાને બદલે કિશોર કુમાર પાસે બાકીના ગીતો ગવડાવ્યા.
સચિનદા સંગીતમાં પર્ફેક્શનીસ્ટ હતાં. ‘मेरे सपनों की रानी…’ ના રેકોર્ડીંગ વખતે સચિનદાએ કોઈ એક વાજિંત્ર ખોટકાઈ ગયું હોવાથી રેકોર્ડીંગ બંધ રાખવાનું નક્કી કર્યું, પરંતુ એ જ સમયે પંચમદાએ પોતે માઉથ ઓર્ગન વગાડીને ફિલ્મનું સંગીત આપ્યું. એ ગીત સાંભળશો તો તેનું શરૂઆતનું સંગીત (જ્યારે શર્મિલા ટાગોર ટ્રેનમાં અને રાજેશ ખન્ના જીપમાં હોય છે) એ હિન્દી ફિલ્મજગતનું એક યાદગાર સંગીત બની રહ્યું. આ જ ગીતનું શૂટીંગ દાર્જીલીંગમાં થયેલું પણ રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર બંનેની તારીખો મળતી ન હોવાથી રાજેશના દ્રશ્યો દાર્જીલીંગમાં શૂટ થયા અને શર્મિલાના દ્રશ્યો મુંબઈમાં ટ્રેનનો સેટ લગાડીને શૂટ કરવામાં આવેલા. (આડવાતઃ આ જ ટ્રેનનો સેટ 2005માં ફિલ્મ ‘પરિણીતા‘માં ‘कस्तो मज़ा है ले लैईमा…’ ગીત માટે વાપરવામાં આવેલો જેમાં શર્મિલાનો પુત્ર સૈફ અલી ખાન હતો.)
આ જ પ્રમાણે ‘रूप तेरा मस्ताना…’ ગીતની પણ એક મજેદાર વાત છે. સચિનદાને આ ગીત એક લોકગીતની ધૂનમાં ગવડાવવું હતું પણ પંચમદાએ એ ગીતને એક શૃંગારિક અને વિષયાસક્ત બનાવ્યું. સોની ચેનલ પર આવતા ‘ધ કપિલ શર્મા શો‘માં કિશોર કુમારના પુત્ર અમિત કુમાર આવેલા ત્યારે તેમણે આ ગીત જૂની અને નવી બંને ટ્યુનમાં ગાઈ બતાવેલું. એક વાત નોંધનીય છે કે આ આખું ગીત કોઈ પણ રીટેક વગર એક જ ટેકમાં શૂટ કરવામાં આવેલું.
ત્રીજું ગીતઃ कोरा कागज था, ये मन मेरा… આ ગીતનું સંગીત પણ પહેલા બીજી કોઈ ધૂનમાં હતું. પંચમદાએ પછી એ જ સંગીત પોતાના હાર્મોનિયમ પર વગાડીને ફાઈનલ કર્યુ. આ ગીતની શરૂઆતમાં પહાડોમાં રાજેશ ખન્નાના જે પડઘા પડે છે, તે કિશોર કુમારના હતા.
ફિલ્મનું શૂટીંગ પૂરી થયાં પછી જ્યારે પહેલી વાર જોઈ ત્યારે શક્તિ સામંતના મોં માંથી ‘સુપરહીટ‘ શબ્દ સરી પડ્યો અને ફિલ્મના ક્રૂને પણ પડદા પર આ ફિલ્મનો એક અલગ જ જાદુ દેખાયો. એ સમયમાં ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર્સનો ફિલ્મને હીટ કરવામાં એક મોટો ફાળો હતો. ફિલ્મની એકાદ–બે રીલ જોઈને ડિસ્ટ્રીબ્યુટર્સ નક્કી કરી લેતાં કે ફિલ્મને ટેકો આપવો કે નહીં. ઘણીવાર તો ફિલ્મના કેટલાક દ્રશ્યો અને હીરો–હીરોઈન બદલાવવાના દાખલા પણ બનેલા. ‘આરાધના‘ વખતે પણ એવું જ થયું. ફિલ્મ જોયા પછી ડિસ્ટ્રીબ્યુટર્સે શક્તિ સામંતને કહ્યું કે ફિલ્મનું સંગીત ખૂબ જ સરસ પણ એક હીરો હીરોઈનને ‘મા‘ કહીને સંબોધે એ શોભતું નથી. રાજેશ ખન્નાને બદલે બીજા કોઈ હીરોને લઈને દીકરાનો રોલ કરાવીને ફિલ્મને ફરીથી શૂટ કરવા કહ્યું. શક્તિ સામંતે બળજબરીથી ડિસ્ટ્રીબ્યુટર્સને સમજાવ્યા અને ઘીના ઠામમાં ઘી પડી રહ્યું.
‘આરાધના‘ સૌથી પહેલાં દિલ્હીમાં રિલીઝ થઈ અને એક અઠવાડિયા પછી મુંબઈમાં. દિલ્હીના પહેલા શો પછી જ રાજેશ ખન્નાને મળવા લોકો આતુર બન્યા અને જ્યાં સુધી મુંબઈમાં રિલીઝ થઈ ત્યાં સુધી ‘આરાધના‘ સુપરડુપર હીટ જાહેર થઈ ગઈ હતી. જે થિયેટરમાં ‘આરાધના‘ રિલીઝ થયેલી એ થિયેટરોની બહાર અડધા કિલોમીટર લાંબી ટિકિટની લાઈનો લાગતી. ‘આરાધના‘ સતત 3 વર્ષ સુધી થિયેટરમાં ચાલી અને પ્લેટીનમ જ્યુબિલી થઈ. હિન્દી સિનેમામાં બેંગ્લોર–ચેન્નઈ જેવા શહેરોમાં 100 અઠવાડિયા ચાલનારી ‘આરાધના‘ સૌથી પહેલી ફિલ્મ બની.
દેવ આનંદ, રાજ કપૂર અને દિલીપ કુમાર જેવા હીરો વચ્ચે પણ રાજેશ ખન્નાએ એક રોમેન્ટિક હીરો તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી. આનંદ બક્ષીના ગીતો, સચિનદાનું સંગીત, કિશોર કુમારનો અવાજ – આવા મોટા માથાઓ હોવા છતાં રાજેશ ખન્ના માટે આ સીમાચિહ્નરૂપ ફિલ્મ બની રહી. ‘આરાધના‘ને ત્રણ ફિલ્મફેર એવોર્ડ મળ્યાઃ બેસ્ટ ફિલ્મ, બેસ્ટ હીરોઈન (શર્મિલા) અને બેસ્ટ પ્લેબેક સિંગર (કિશોર કુમાર – રૂપ તેરા મસ્તાના).
‘આરાધના‘એ ઘણા લોકોને ફિલ્મોને એક વ્યવસાય તરીકે જોવાની પ્રેરણા આપી. અભિનેતા ટોમ ઑલ્ટરે એક ઈન્ટરવ્યુમાં કબૂલાત કરી હતી કે ‘આરાધના‘માં રાજેશ ખન્નાને જોઈને તેઓ પ્રભાવિત થયા પછી ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (FTII)માં એડમિશન લીધેલું.
‘આરાધના‘ની અધધધ સફળતા બાદ રાજેશ ખન્નાને ખબર જ ન પડી કઈ રીતે પ્રતિક્રિયા આપવી. દરિયાનું મોજું હવે ઉપરની તરફ વધી રહ્યું હતું. ‘આરાધના‘ જેવી સફળતા આ પહેલા કોઈ હીરોએ ભોગવી નહોતી. રાજેશ ખન્નાની પ્રસિદ્ધીનો એક અજીબ પ્રસંગ પણ બન્યો. પોતાના કાકા કે.કે. તલવારના લગ્નમાં રાજેશ ખન્નાને જવાનું હતું અને મોડું થઈ ગયું. વરઘોડો અડધે રસ્તે પહોંચ્યો ત્યારે રાજેશ ખન્ના જાનમાં જોડાયો. જાનૈયાઓ વરરાજા સાથે નાચતા હતા અને અચાનક રાજેશ ખન્નાને જોઈને વરરાજાને પડતો મૂકી તેની પાસે દોડી ગયા.
***
હવે રાજેશ ખન્નાએ બીજી ફિલ્મો પર ધ્યાન આપવાનું શરૂ કર્યુ. 1969માં બી.આર. ચોપડાના નિર્માણ હેઠળ તેના ભાઈ યશ ચોપડાએ એક રહસ્યમય રોમાંચક ફિલ્મ નિર્દેશ કરી અને નામ આપ્યું – ‘ઈત્તેફાક‘! આમ તો રાજેશને આ ફિલ્મ કરવામાં કોઈ રસ નહોતો પણ પેલી સ્પર્ધાના વિજેતા હોવાને કારણે તે ફિલ્મ કરવા બંધાયેલો હતો.
સાત સુપરહીટ ગીતો વાળી ‘આરાધના‘ પછી એક પણ ગીત વિનાની ‘ઈત્તેફાક‘ એક પ્રાયોગિક ફિલ્મ હતી. તેમાં આખી ફિલ્મમાંથી 90 ટકા ફિલ્મ એક જ ઘરમાં શૂટ થયેલી અને લગભગ દરેક સીનમાં ફક્ત હીરો રાજેશ ખન્ના અને હીરોઈન નંદા જ દેખાયા. આ ફિલ્મમાં જનતાને એક અલગ જ રાજેશ ખન્ના દેખાયો. આ ફિલ્મ માટે યશ ચોપડાને ‘બેસ્ટ નિર્દેશક‘નો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો.
1965ની અમેરિકન ફિલ્મ Signpost to Murder પરથી બનેલી ‘ઈત્તેફાક‘ 30 દિવસમાં પૂરી કરવામાં આવી અને જાહેર કર્યાના ત્રણ જ મહિનામાં થિયેટરોમાં રિલીઝ થઈ. ત્યાં સુધી ‘આરાધના‘ પણ થિયેટરોમાં ચાલુ જ હતી. ‘આરાધના‘ના બે રોલ અને ‘ઈત્તેફાક‘નો એક રોલ એમ રાજેશ ખન્નાના ત્રણ અલગ અલગ રૂપ જોઈને જનતાને તેની એક્ટિંગની કળા અને પહોંચમર્યાદા ખબર પડી. હવે સાબિત થઈ ગયું કે રાજેશ ખન્ના કોઈ પણ રોલ બખૂબી નિભાવી શકે છે.
1969માં જ રાજેશ ખન્નાની હજુ બે ફિલ્મો રિલીઝ થઈ – ‘ડોલી‘ અને ‘બંધન‘. બંને ફિલ્મો પશ્ચિમી સમાજ વિરુદ્ધ ભારતીય મૂલ્યોને દર્શાવનારી હતી. ‘ડોલી‘ની હીરોઈન બબીતા હતી અને ‘બંધન‘ ફિલ્મની હીરોઈન મુમતાઝ હતી. ‘ડોલી‘ ફિલ્મ તેલુગુ ફિલ્મ ‘થેને મનાસુલુ‘ની રિમેક હતી જેમાં ‘सजना साथ निभाना…’, ‘डोली चढ के दुल्हन ससुराल चली…’ જેવા સુમધુર ગીતો હતા. ‘બંધન‘ ફિલ્મ નિર્દેશક નરેન્દ્ર બેદીની પહેલી ફિલ્મ હતી અને તે વખતે બોલીવુડ ગાઈડ કલેક્શનમાં ફિલ્મને પાંચમાંથી પાંચ સ્ટાર મળેલા. રાજેશનો અભિનય બંને ફિલ્મોમાં વખણાયો અને કાકાની ગાડી ચાલી ગઈ.
હજુ 1969નું વર્ષ પૂરું નહોતું થયું અને કાકા રાજેશ ખન્નાની પાંચમી ફિલ્મ રાજ ખોસલા નામના દિગ્દર્શક લઈ આવ્યા. ભાઈઓનો પ્રેમ, એક ભાઈની નવી વહુનું ઘરમાં આવવું, ઝઘડા–નિંદા–આક્ષેપો, લોનના હપ્તા, આર્થિક સંકટ, ભાઈઓનું અલગ થવું અને હીરો પર ઘરનો બધો ભાર – રાજેશ ખન્ના આ રોલ નિભાવી ગયો અને ફિલ્મ બની ‘દો રાસ્તે‘. ફિલ્મમાં રાજેશની સાથે બલરાજ સહાની, પ્રેમ ચોપડા, મુમતાઝ, કામિની કૌશલ અને બિંદુ જેવા કલાકારો હોવાથી ફિલ્મ હીટ સાબિત થઈ. ‘छूप गये सारे नजारे..’, ‘ये रेशमी झूल्फें…’, ‘मेरे नसीब में ए दोस्त, तेरा प्यार नहीं…’ જેવા સુમધુર ગીત અને લક્ષ્મીકાંત–પ્યારેલાલના સંગીત સાથે ફિલ્મ ખૂબ ચાલી.
રાજેશ પેલી સ્પર્ધાનો વિજેતા હતો એટલે તરત જ સામાન્ય દર્શકને પોતાનો લાગ્યો. એક જ વર્ષમાં પાંચ લાગલગાટ હીટ ફિલ્મોને કારણે રાજેશ ખન્નાની તો નિકલ પડી. હવે તે ‘સેન્સેશન‘ બની ગયો.
***
1970નું વર્ષ શરૂ થયું અને રાજેશ ખન્ના, વહિદા રહેમાન, ધર્મેન્દ્ર અભિનીત ‘ખામોશી‘ રિલીઝ થઈ. આ ફિલ્મ અસિત સેનની બ્લેક એન્ડ વ્હાઈટ બંગાળી ફિલ્મ ‘દીપ જેલે જાઈ‘ની રીમેક હતી. કલકત્તામાં શૂટ થયેલી આ ફિલ્મમાં વહિદા રહેમાને એક નર્સની ભૂમિકા અને રાજેશ ખન્નાએ દર્દી નંબર 24ની ભૂમિકા ભજવી. ‘वो शाम कुछ अजीब थी…’, ‘तुम पुकार लो…’, ‘हमनें देखी है उन आंखो की महेकती खुश्बु…’ જેવા સુમધુર ગીતો સાથે રાજેશ ખન્ના હવે ‘એક્ટર‘માંથી ‘સ્ટાર‘ બની ગયો હતો.
તે જ વર્ષે ‘ધ ટ્રેન‘ ફિલ્મ આવી જેમાં રાજેશે એક પોલિસ ઈન્સ્પેક્ટરનો રોલ કર્યો. આ ફિલ્મ તેલુગુમાં ‘નીલગીરી એક્સ્પ્રેસ‘, મલયાલમમાં ‘કોચીન એક્સ્પ્રેસ‘ અને કન્નડમાં ‘બેંગ્લોર મેલ‘ નામથી પણ બની હતી. આ ફિલ્મમાં રાજેશની સામે નંદા હીરોઈન તરીકે હતી. ફિલ્મના સહ–નિર્માતા રાજેન્દ્ર કુમારને નંદાએ જ રાજેશ ખન્નાનું નામ સૂચવેલું. હેલેન–નંદા–રાજેશની ત્રિપુટી લોકોને પસંદ આવી. ‘गुलाबी आंखे जो तेरी देखी…’, ‘मेरी जान मैने कहा…’ ગીતો પણ લોકોને ખૂબ ગમ્યા.
રાજેશ ખન્ના અને આશા પારેખની જોડીને લઈને તે જ વર્ષે હજી એક સુપરહીટ ફિલ્મ આવી – ‘આન મિલો સજના‘! વિનોદ ખન્ના, રાજેન્દ્ર નાથ, નિરૂપા રોય જેવા દિગ્ગજ કલાકારોવાળી આ ફિલ્મ પણ થિયેટરોમાં ખૂબ ચાલી. ‘अच्छा तो हम चलते है…’ અને શીર્ષક ગીત ‘आन मिलो सजना…’ હંમેશા માટે લોકોના મનમાં ઘર કરી ગયા. ‘આરાધના‘ના લેખક સચિન ભૌમિક અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત ધરાવતી આ ફિલ્મ રાજેશ ખન્નાની હીટ ફિલ્મોના યાદીમાં જોડાઈ ગઈ.
તે સમયે ફિલ્મમાં ડબલ રોલ દર્શકોને ખૂબ ગમતા. ‘રાઝ‘, ‘આરાધના‘ પછી રાજેશ ખન્નાને બે રોલમાં દર્શાવતી ફિલ્મ ‘સચ્ચા જૂઠા‘ આવી. વિનોદ ખન્ના, મુમતાઝ અને રાજેશ ખન્નાએ આ ફિલ્મમાં ‘मेरी प्यारी बहेनिया बनेगी दुल्हनिया…’, ‘यूं ही तुम मुझसे बात करती हो…’, ‘कहे दो कहे दो…’, ‘दिल को देखो, चहेरा ना देखो…’ જેવા સુપરહીટ ગીતોને કારણે ‘સાચ્ચા જૂઠા‘ પણ સુપરહીટ ફિલ્મ રહી. રાજેશ ખન્નાને આ ફિલ્મ માટે બેસ્ટ હીરોનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો.
હજી 1970નું વર્ષ પૂર્ણ થાય તે પહેલાં રાજેશ ખન્નાની એક આલા દરજ્જાની સુપરહીટ ફિલ્મ રિલીઝ થઈ – ‘સફર‘! એક બંગાળી નવલકથા પરથી બનેલી આ ફિલ્મથી રાજેશ ખન્નાએ એક નવો ચીલો ચાતર્યો – મૃત્યુને ઉત્સવ તરીકે મનાવવાનો. ફિલ્મમાં રાજેશ ખન્ના પોતાની બિમારીને કારણે હીરોઈન શર્મિલા ટાગોરને પોતાનાથી દૂર કરી દે છે. ‘સફર‘ના ગીતો કલ્યાણજી–આનંદજીએ સંગીતબદ્ધ કર્યા અને ઈંદિવરના શબ્દો દ્વારા મઢાયેલ ‘जीवन से भरी तेरी आंखें…’, ‘जो तुम को हो पसंद वही बात करेंगे…’, ‘ हम थे जिन के सहारे…’, ‘नदीया चले, चले रे धारा..’ અને ‘जिंदगी का सफर, है ये कैसा सफर…’ જેવા અર્થપૂર્ણ ગીતોની મહેફિલ જામી.
‘સફર‘ રિલીઝ થઈ ત્યારે રાજેશ ખન્ના પોતાની કારકીર્દીની ચરમસીમા પર હતો. લેકિન પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત!
ક્યા જવાબ હૈ આપકા?
‘આરાધના‘ની વાર્તા તો ગુલશન નંદાએ સાંભળી પણ તેમણે પોતે શક્તિ સામંતને સંભળાવેલી પેલી વાર્તાનું શું થયું? એ વાર્તા પછી શક્તિ સામંતે રાજેશ ખન્નાને જ લઈને બીજી એક સુપરહીટ ફિલ્મ આપી. તે ફિલ્મ કઈ? આ ફિલ્મની શરૂઆતમાં એક લગ્નપ્રસંગના દ્રશ્યમાં બેન્ડ–બાજાવાળા ‘મેરે સપનોં કી રાની…’ ગીત વગાડે છે.
ज़िंदगी का सफ़र है ये कैसा सफ़र: ભાગ 1 | ભાગ 2
eછાપું