એક પછી એક કેન્દ્ર સરકારના મંત્રાલયો પોતાને ત્યાં ચીની ઉત્પાદનોના વપરાશ પર પ્રતિબંધ મૂકી રહ્યા છે જેમાં હવે રામ વિલાસ પાસવાનનું મંત્રાલય પણ સામેલ થયું છે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગલવાન વેલી ખાતે 20 ભારતીય સૈનિકો દ્વારા ચીની સૈનિકોના હાથે વીરગતી પ્રાપ્ત કર્યા બાદ થોડા દિવસો અગાઉ 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકીને કૂટનીતિક વિરોધ દર્શાવ્યો હતો. હવે ભારત સરકારના વિવિધ મંત્રાલયો પણ એક પછી એક ચીનના વિરોધમાં સામેલ થઇ રહ્યા છે.
કેન્દ્રીય ઉપભોક્તા, સાર્વજનિક મામલા તેમજ અન્ન અને ખાદ્યાન્ન મંત્રી રામ વિલાસ પાસવાને જણાવ્યું છે કે તેમના મંત્રાલયમાં હવેથી ચીની માલસામાનનો ઉપયોગ કરવામાં આવશે નહીં જે બાબતે એક પરિપત્ર તેમણે જાહેર કરી દીધો છે. આ ઉપરાંત મંત્રાલયમાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ વિદેશી ચીજવસ્તુઓએ ભારતીય માનાંક પર ખરું ઉતરવું પણ મંત્રાલયમાં ફરજીયાત બનાવી દેવામાં આવ્યું છે.
આ મંત્રાલય અંતર્ગત ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) અને કેન્દ્રીય વેરહાઉસીંગ કોર્પોરેશન (CWC) પણ આવે છે. આ તમામ સ્થાનો પર ભવિષ્યમાં કોઇપણ ચીની ઉત્પાદનની ખરીદી કરવામાં નહીં આવે. મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતા GeM પોર્ટલ પર પણ હવેથી એક પણ ચાઇનીઝ ઉત્પાદનને વેંચવામાં નહીં આવે.
આ અગાઉ ભારતીય સેનાએ તેની કેન્ટીનમાંથી ચીની ઉત્પાદનોને દૂર કરી દીધા હતા. કેન્દ્ર સરકારના અન્ય મંત્રાલયો જેવાકે BSNL, હાઈવે તેમજ રેલવેએ ચીની ઉત્પાદનોની ખરીદી પર પ્રતિબંધ મૂકી દીધો છે.
જાણવા મળ્યા અનુસાર આ પ્રતિબંધોથી ચીનને કરોડો રૂપિયાનું નુકશાન થવાની સંભાવનાઓ છે.
eછાપું