ભારત પાકિસ્તાન સીમા પર આવેલા ઉરીમાં બને દેશો વચ્ચે સામસામે થતાં ગોળીબારમાં રક્ષણ માટે સરકાર દ્વારા ભારતીય સેનાની મદદથી સ્થાનિક લોકો માટે બંકર બનાવવાની એક અનોખી પહેલ કરવામાં આવી છે.
ભારત પાકિસ્તાન વચ્ચે સરહદી વિસ્તારોમાં સતત યુદ્ધવિરામના ઉલ્લંઘન થતા રહે છે. ગોળીબારી, મોર્ટાર અને અન્ય ભારે નુકશાનકારક શસ્ત્રો સ્થાનિક લોકો માટે અત્યંત જીવલેણ બની રહ્યા છે. આ લોકોના રક્ષણ માટેના પ્રયત્નોમાં સ્થાનિક સરકાર સમયાંતરે જરૂરી પગલા લેતી રહેતી હોય છે. જેમાં લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) નજીક કહેવાતા સરહદી વિસ્તારોમાં આવતા ઉરી અને બુનીયાર જેવા ગામોમાં ભૂગર્ભ બંકરો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સરકારના માર્ગ અને મકાન વહીવટ ખાતાએ આ કામ હસ્તક લઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં 18 જેટલા આવા સુરક્ષિત બંકારો બનાવવાનું નક્કી કર્યું છે. જેમાંથી 6 જેટલા બંકરો બનાવવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે. આ બંકરોમાં 2 રૂમ અને વોશરૂમની સુવિધા હશે. પ્રત્યેક બંકર પાછળ 10 લાખ રૂપિયા જેટલો અંદાજિત ખર્ચ થશે.
આ બંકરો અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા નિવાસીઓ માટે એક સુરક્ષિત રહેઠાણ પૂરું પાડે એ હેતુસર સરકારે કરેલા આ અપ્રતિમ કામને આવકારતા અને વખાણતા સ્થાનિક જિલ્લા બરમુલ્લાના સરપંચ, મંઝૂર અહમદે સરકારનો આભાર વ્યક્ત કરતા કહ્યું છે કે, “આ બહું જ શ્રેષ્ઠ શરુઆત છે પરંતુ આવા બીજા વધારે બંકરો સ્થાનિકોના રહેઠાણો નજીક સત્વરે ઉભા કરવામાં આવે તેની ખાસ જરૂર છે.”
eછાપું