બેસ્ટ સેલિંગ લેખક ચેતન ભગતે જાણીતા ફિલ્મ નિર્માતાએ તેને જાહેરમાં ધમકાવવાની અને આત્મહત્યાની નજીક લઈ જવાનો આરોપ લગાવતા Tweets કર્યા હતા. એક જાણીતા ફિલ્મ ક્રિટિક કે જેણે સ્વર્ગસ્થ સુશાંતસિંહ રાજપૂતના કેરિયરને ડૂબાડવાના પ્રયત્નો કરવાનો પણ તેમણે આરોપ મૂક્યો છે.
મુંબઈ: ગયા મહિને જાણીતા અને કુશળ કલાકાર એવા નવયુવાન સુશાંતસિંહ રાજપૂતના ડિપ્રેશન પ્રેરિત સુસાઈડ દ્વારા થયેલા દુ:ખદ અવસાનના લીધે સમગ્ર ફિલ્મ ઉદ્યોગ માત્ર શોકગ્રસ્ત જ નહીં પરંતુ વિવાદમાં પણ ફસાઈ પડ્યો છે. ક્રિટિક્સ, પત્રકારોને જાણે એક નવીન અવસર મળ્યો હોય એમ આ વિષય પર ચર્ચા કરવા તૂટી પડ્યા છે.
એટલું જ નહીં અન્ય જાણીતા, અગ્રતિમ કલાકારો કે જેઓ પોતે પણ સુશાંતની જેમ ફિલ્મ જગતના મોટા માથાઓના રચાયેલા ગૂઢ સંબંધોના લીધે થતાં અન્યાયનો ભોગ બનેલા છે, તેઓ પણ આ ચર્ચાનો ભાગ બનીને દરરોજ નવા ખુલાસાઓ કરી રહ્યા છે.
સુશાંતસિંહ રાજપૂતની આખરી અને આગામી ફિલ્મ “દિલ બેચારા” આ સપ્તાહમાં રિલીઝ થઈ રહી છે. જેને અનુસંધાનમાં રાખીને નામાંકિત લેખક ચેતન ભગતે મંગળવારે(21 જુલાઇ) સવારે એક ટ્વીટમાં “દિલ બેચારા”નો સંદર્ભ આપ્યો હતો અને ફિલ્મ વિષે સંવેદનાપૂર્વક લખવા “અભદ્ર અને ચુનંદા વિવેચકો” ને વિનંતી કરી હતી.
ભગતે ટ્વિટ કર્યું હતું કે, “સુશાંતની છેલ્લી ફિલ્મ આ અઠવાડિયામાં રિલીઝ થઈ છે. હું અત્યારે અભદ્ર (snob) અને ચુનંદા વિવેચકોને કહેવા માંગુ છું, સંવેદનશીલતાથી લખો. ઓવરસ્માર્ટ ન બનો. કચરો ન લખો. ન્યાયી અને સમજદાર બનો. તમારી ગંદી યુક્તિઓ અજમાવો નહીં. તમે અન્ય પૂરતા લોકોનું જીવન બરબાદ કરી દીધું છે. હવે રોકો. અમે જોઈશું.”
ત્યારબાદ ભગતે એક અજાણ્યા ફિલ્મ ક્રિટિક તરફ પણ આંગળી ચીંધી હતી જેણે સુશાંત રાજપૂતને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે તે સ્વયં મહેનતથી અને આત્મવિશ્વાસથી બનેલા તેમજ નાના શહેરના લોકોને નફરત કરે છે. જેના જવાબમાં જાણીતા ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપરાના પત્ની અને ફિલ્મ ક્રિટિક, અનુપમ ચોપરાએ ટ્વિટ કર્યું કે, આવા કરેલા પ્રવચનોનું મૂલ્ય ઓછું હોય છે.
જેના જવાબમાં ભગતે ટ્વિટ કર્યું કે, “મે’મ, જ્યારે તમારા પતિએ જાહેરમાં મને ધમકાવ્યો, નિર્દયતાથી બધા શ્રેષ્ઠ વાર્તા પુરસ્કારો પોતાના નામે એકઠા કર્યા, મારી વાર્તાનો શ્રેય મને આપવા નકારવાનો પ્રયાસ કર્યો અને મને આત્મહત્યાની નજીક લઈ ગયા, અને તમે બસ જોયું જ, એ વખતે તમારું પ્રવચન ક્યાં હતું?”
Ma’am, when your husband publicly bullied me, shamelessly collected all the best story awards, tried denying me credit for my story and drove me close to suicide, and you just watched, where was your discourse? https://t.co/CeVDT2oq47
— Chetan Bhagat (@chetan_bhagat) July 21, 2020
અહેવાલ મુજબ, ચેતન ભગત ફિલ્મ “3 ઇડિયટ્સ”નો ઉલ્લેખ કરી રહ્યા હતા, જે માટે અભિજાત જોશી અને રાજકુમાર હિરાણીએ વાર્તા અને પટકથા માટે પ્રખ્યાત શ્રેય મેળવ્યો છે. તેઓએ શ્રેષ્ઠ સ્ટોરી માટે બહુવિધ એવોર્ડ પણ મેળવ્યા હતા અને ભગતને ફક્ત અંતિમ ફિલ્મ ક્રેડિટ્સ આપવામાં આવ્યા હતા.
બાદમાં ભગતે પણ ટ્વીટ કર્યું હતું કે 3 ઇડિયટ્સ જે તેમની નવલકથા “ફાઇવ પોઇન્ટ સમવન” પર આધારિત છે અને તેમની વાર્તાએ દરેક ફંક્શનમાં શ્રેષ્ઠ સ્ટોરીનો એવોર્ડ જીત્યો હતો પરંતુ તેમને (ભગતને) કોઈ મળ્યો ન હતો. આ ફિલ્મની રિલીઝ સમયે પણ આ મુદ્દે જબરદસ્ત વિવાદ ઉભો થયો હતો.
eછાપું