ગત સોમવારના રોજ પ્રકાશિત સંશોધન પ્રમાણે હવામાન પરિવર્તનના લીધે ધ્રુવીય રીંછ (Polar Bear) ભૂખે મરી રહ્યું છે, જે અનુમાન કરે છે કે આ સર્વોચ્ચ માંસાહારી જીવનો માનવ જીવનકાળ દરમિયાન સંપૂર્ણપણે નાશ થઈ શકે છે.
વર્ષ 2020માં સર્જાયેલા કોરોના વાયરસ મહારોગની મહામારીના લીધે લોકડાઉનની પરિસ્થિતિમાં માણસો ઘરમાં ભરાયા અને અન્ય પ્રાણીઓને એ પરિસ્થિતિથી મોકળાશ મળી. કોઈ ડર, ચિંતા વગર જંગલી પ્રાણીઓ શહેર વચોવચ ફરતા જોવા મળ્યા. ક્યારેય ના જોવા મળેલા દરિયાઈ જીવો દરિયાકિનારે જોવા મળ્યા. વાતાવરણમાં પ્રદૂષણના આંકડામાં ઘટાડો આવ્યો. અને આ બધું જોઈને માનવગણ ખુશ થઈ ગયો. પર્યાવરણ બચાવી લીધું એવા વિચારો અને સમાચારોથી ગદ ગદ થઈ ગયો.
પરંતુ, છેલ્લા 150 વર્ષોથી ઔદ્યગિકીકરણ અને માનવજાતે કરેલા સામાજિક વિકાસના લીધે પર્યાવરણને થયેલા નુકસાનની ભરપાઈ શું 5 મહિના કરી શકે?
સંપૂર્ણ નકારાત્મક જવાબ આ ઉદાહરણ સાથે સમજાશે. પોલાર રીંછ. સફેદ રંગનું રીંછ. જેનું રહેઠાણ પૃથ્વી પર ઉત્તર ધ્રુવનું આર્કટિક વિસ્તાર છે. આ રીંછનું શરીર તીવ્ર ઠંડા વાતાવરણમાં રહેવા ટેવાયેલું છે. આર્કટિક વિસ્તાર સંપૂર્ણ બરફ આચ્છાદિત પ્રદેશ છે. પોલાર રીંછનો ખોરાક સીલ નામની માછલી છે જે ઠંડા પાણીમાં રહે છે. રીંછ એનો શિકાર બરફ પર રહીને કરે છે.
પૃથ્વી પર વૈશ્વિક સ્તરે અત્યાર સુધી વધેલા પ્રદૂષણની સૌથી મોટી અસર બંને ધ્રુવો પર પડતી હોય છે, જેની પાછળ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. આખા ગ્રહ પર જેટલું તાપમાન પ્રદૂષણના લીધે વધે છે એના કરતાં બમણું તાપમાન ગ્રહના બંને ધ્રુવો પર વધે છે. જેના લીધે બર્ફીલા શિખરો પીગળી રહ્યા છે. સમુદ્રના પાણી ઊંચા આવી રહ્યા છે. પર્યાવરણ તજજ્ઞોએ છેલ્લાં કેટલાંય વર્ષોથી આ નુકસાન અંગે આપણને ચેતવ્યા છે.
આર્કટિક ધ્રુવ પર રહેલો બરફ પીગળવાથી પોલાર રીંછને બરફ પર રહીને સીલ માછલીનો શિકાર કરવામાં તકલીફ પડે છે. તેમનું શરીરનું વજન ઓછું થતું હોવાથી ખોરાક વિના આર્કટિક શિયાળો જીવીત રહેવાની શક્યતાને ઓછી કરે છે.
પર્યાવરણ વિદ સ્ટીવન એમસ્ત્રપનું કહેવું છે કે,
હવે પછીની આ જાતિની પેઢી સખત પીડામાં હશે. માતાઓને પૂરતું પોષણ નહિ મળે તો આખી જનરેશન એમ જ નાશ પામશે. મિલિયન વર્ષના ઇવોલ્યુશનરી ઇતિહાસ દરમિયાન ધ્રુવીય રીંછ જે સામનો કરી રહ્યા છે તે તેમના માટે ખૂબ જ મુશ્કેલ સમય છે. કારણ કે એ જ મુશ્કેલી છે કે તેમનું રહેઠાણ પીગળી રહ્યું છે.”
eછાપું