કોરોનાને લીધે લોકડાઉનમાં લગભગ ત્રણ મહિના ઓફ એર રહ્યા બાદ હજી ગયા અઠવાડિયે જ તારક મહેતા કાં ઉલટા ચશ્માં સિરિયલ પરત આવી છે પરંતુ સિરીયલના કલાકારો સોઢી અને બાવરી પછી અંજલિ ભાભી બનતા નેહા મહેતા પણ દર્શકોને શોક આપવાની તૈયારીમાં હોય એવું લાગે છે.
ગઈકાલે જ ભારતના સૌથી વધુ જોવાયેલા ટીવી શોમાંના એક, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં”ને નાના સ્ક્રીન પર પ્રથમ વખત પ્રસારિત થયાને 12 વર્ષ પૂરા થાય છે. શોમાં જેઠાલાલ તરીકે રોલ ભજવતા દિલીપ જોશી અને મુનમુન દત્તા ઉર્ફે બાબિતાજી સહિતના ઘણા કલાકારોએ આ પ્રસંગે વિશેષ ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા હતા અને પોતાની સિરીયલને એક જબરદસ્ત સફળ ટીવી શો બનાવવા બદલ પ્રેક્ષકો પ્રત્યેનો આભાર વ્યક્ત કર્યો હતો.
તો, એક બાજુ એવી અટકળો પણ ચાલુ થઇ ગઈ છે કે, 12 વર્ષથી શોનો અખંડ હિસ્સો બની ગયેલા અને પાત્ર તારક મહેતાના પત્ની અંજલી મહેતા તરીકે ભાગ ભજવતા નેહા મહેતા ટૂંક સમયમાં શો છોડવાની જાહેરાત કરશે. એક જાણીતી મનોરંજન વેબસાઈટમાં આપેલી માહિતી મુજબ, નેહાએ શો છોડવાનો નિર્ણય લીધો છે અને તેણે નિર્માતાઓને પણ પોતાનો આ નિર્ણય જણાવી દીધો છે.
એક અહેવાલ અનુસાર, અભિનેત્રી હવે અંજલિ મહેતાની ભૂમિકા નિભાવશે નહીં અને લોકડાઉન પરિસ્થિતિ પછી તેનું શૂટિંગ શરૂ થયું ત્યારથી પણ તેણે સેટ પર પાછા ફરવાની પણ જાણ નિર્માતાઓને કરી નથી. શો મૅકર્સે હજી સુધી સમાચારની પુષ્ટિ કરી નથી, જો કે, જ્યારે એક અગ્રણી સાઇટએ નેહાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓ તેમના પ્રશ્નોના જવાબ આપવાથી દૂર રહ્યા હતા.
જુલાઈ, 2008થી જ નેહા શો સાથે સંકળાયેલી છે. તે તારક મહેતાની ડાયેટિશિયન ક્રેઝી પત્ની અંજલિ મહેતાની ભૂમિકા નિભાવી રહી છે અને તેના પાત્રને પણ દર્શકોની ચાહના મળી છે.
eછાપું