સમગ્ર ભારતમાં 5 ઓગસ્ટથી અનલોક 3 શરુ થવા જઈ રહ્યું છે તેને ધ્યાનમાં લઈને આજે ગુજરાત સરકારે પણ સમગ્ર રાજ્ય માટે કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા હતા.
ગાંધીનગર: ગઈકાલે કેન્દ્ર સરકારે અનલોક-3 માટેની જરૂરી ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. આ અંગે ચર્ચા કરવા આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક હાઈપાવર કમિટીની બેઠક મળી હતી.
આ બેઠકમાં ગુજરાતમાં અનલોક-3માં મળનારી છૂટછાટ અંગે સમગ્ર રાજ્ય માટે કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયો અનુસાર કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ અનુસાર ગુજરાતમાં પણ 1 ઓગસ્ટથી રાત્રી કરફ્યુ સમગ્રપણે ઉઠાવી લેવામાં આવશે.
સમગ્ર રાજ્યમાં દુકાનો તેમજ રેસ્ટોરન્ટ્સ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આ ઉપરાંત ગુજરાતમાં 5 ઓગસ્ટથી કેટલીક શરતોનું પાલન કરવા સાથે યોગ સેન્ટર્સ તેમજ જીમ ફરીથી શરુ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારે ગઈકાલે જાહેર કરેલા SOPsને ગુજરાત પણ અનુસરશે તેમ જણાવવામાં આવ્યું છે.
આ બેઠકમાં ગુજરાત સરકારના મંત્રીઓ કૌશિક પટેલ, સૌરભ પટેલ, પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. આ ઉપરાંત મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંગ તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અગ્રસચિવ મનોજ કુમાર દાસ હાજર રહ્યા હતા.
eછાપું