અયોધ્યામાં 1991માં મુરલી મનોહર જોશી સાથે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. કહેવામાં આવે છે કે તેમણે આ સમયે એક પ્રતિજ્ઞા લીધી હતી જે આવનારી 5મી ઓગસ્ટે સાકાર થશે.
અયોધ્યા: કેમેરામેન મહેન્દ્ર ત્રિપાઠી, કે જેઓ રામજન્મભૂમિ નજીક અયોધ્યામાં પોતાનો સ્ટુડિયો ચલાવતા હતા અને VHPના એકમાત્ર ફોટોગ્રાફર હતા. 1991મા જ્યારે રામ મંદિર મૂવમેન્ટ ટોચ પર ચાલી રહેલી તે દરમિયાન અયોધ્યા આવેલા નરેન્દ્ર મોદી અને એ સમયકાળમાં BJP પ્રમુખ મુરલી મનોહર જોશી બંને મહાનુભવો એકસાથે મંચ પર હોય એવી ઐતિહાસિક પળને તેમણે કેમેરામાં કેદ કરી હતી અને આ ફોટોગ્રાફ આજકાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
મહેન્દ્ર ત્રિપાઠીએ એક અગ્રણી ન્યુઝ ચેનલ સાથેના ઇન્ટરવ્યૂમા જણાવ્યું હતું કે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ 1991માં મુરલી મનોહર જોશી સાથે શ્રી રામ જન્મભૂમિ ન્યાસની મુલાકાત લીધી હતી. હું અયોધ્યામાં એકમાત્ર ફોટોગ્રાફર હતો જે VHP માટે કામ કરતો હતો અને મને આ ઐતિહાસિક ફ્રેમ ક્લિક કરવાનો લહાવો મળ્યો હતો.
આ સમયે અન્ય કેટલાક પત્રકારો પણ હાજર હતા અને મુરલી મનોહર જોશીએ મોદીને ગુજરાતના ભાજપના નેતા તરીકે પત્રકારો સમક્ષ રજૂ કર્યા હતા. જ્યારે મેં અને કેટલાક સ્થાનિક પત્રકારોએ મોદીજીને પૂછ્યું કે, તેઓ ક્યારે અયોધ્યા પાછા આવશે, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, જ્યારે રામમંદિરનું નિર્માણ શરૂ થશે ત્યારે હું પાછો આવીશ. અને આમ વડાપ્રધાને પોતાનો શબ્દ પાળ્યો છે.
આમ આજે લગભગ 29 વર્ષ બાદ એ ઘડી નજીક આવી ચૂકી છે જ્યારે તે સમયે માત્ર ‘ગુજરાતના નેતા’ તરીકે ઓળખાણ પામેલા નરેન્દ્ર મોદી આવનારી 5મી ઓગસ્ટે દેશના વડાપ્રધાન તરીકે અયોધ્યામાં આવેલા રામ જન્મભૂમિના સ્થળે બનનારા ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે.
eછાપું