ભારતમાં આવી ચુકેલા 5 રફાલ ફાઈટર જેટ્સથી પોતે ડરતું નથી તેમ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા આયેશા ફારૂકીએ દાવો કર્યો છે તે ઉપરાંત તેમણે ભારત પર અનેક આરોપો પણ મુક્યા છે.
ઇસ્લામાબાદ: ભારતના અંબાલા એરબેઝ પર 29 જુલાઈએ ફ્રાન્સથી અત્યાધુનિક 5 રફાલ ફાઈટર જેટ્સ દ્વારા ઉતરાણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાને આ ઘટના પર બે દિવસ બાદ પોતાનું મૌન તોડ્યું છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા આયેશા ફારૂકીએ ભારત પર યુદ્ધ ઉન્માદ ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. ફારૂકીએ એમ પણ જણાવ્યું હતું કે રફાલ ફાઈટર જેટ્સની ડીઝાઇનમાં ભારત ફેરફાર કરીને તેના પર પરમાણુ હથિયાર પણ લાદી શકે છે જે દક્ષિણ એશિયા ક્ષેત્ર માટે ખતરનાક બની શકે છે.
પાકિસ્તાન દ્વારા ભારત પર એવો આરોપ પણ મુકવામાં આવ્યો હતો કે તે દક્ષિણ એશિયામાં શસ્ત્રોની હરીફાઈ શરુ કરી રહ્યું છે. ભારત હિન્દ મહાસાગરમાં તણાવ ઉભો કરવા માંગતું હોવાનું પણ આયેશા ફારૂકીએ ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
ફારૂકીએ ભારત સરકારને બદલે ભાજપ સરકારનું નામ લઈને કહ્યું હતું કે તેમના આવ્યા બાદ સતત દક્ષિણ એશિયા ક્ષેત્રમાં પરિસ્થિતિ બગડી રહી છે. આમ છતાં પાકિસ્તાન ભારતમાં આવી ચુકેલા 5 રફાલ ફાઈટર જેટ્સથી પાકિસ્તાન ડરતું નથી તેમ પણ આયેશા ફારૂકીએ ઉમેર્યું હતું.
અત્રે એ નોંધનીય છે કે ગત વર્ષે પુલવામામાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલામાં ભારતીય જવાનો શહીદ થયા બાદ ભારતીય વાયુસેનાએ બદલા સ્વરૂપે પાકિસ્તાનમાં છેક ખૈબર પખ્તુન્ખવા નજીક આવેલા બાલાકોટ સ્થિત આતંકવાદી કેમ્પ પર મીગ અને મિરાજથી હુમલો કરીને તેને નેસ્તનાબૂદ કરી દીધો હતો અને આ હુમલા બાદ ભારતના તમામ યુદ્ધ વિમાનો સુખરૂપ પરત પણ આવી ગયા હતા.
આમ પાકિસ્તાન ઊંઘતું ઝડપાયું હોવા છતાં તે દાવો કરી રહ્યું છે કે મીગ અને મિરાજથી અનેકગણા શક્તિશાળી એવા રફાલથી ડરતું નથી. પ્રશ્ન એ પણ છે કે પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ અત્યંત કંગાળ થઇ ગઈ છે અને FATF દ્વારા ગ્રે લીસ્ટમાં મુકાયા બાદ તેને કોઈ દેશ ઋણ પણ આપી શકે તેમ નથી તો તે ભારતના રફાલનો જવાબ તેના જેટલા અથવાતો તેનાથી બહેતર ફાઈટર જેટ્સ ખરીદીને આપી શકશે કે કેમ?
eછાપું