સત્તાના શિર્ષ સ્થાને પહોંચવા માટે ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરોમાં હોડ લાગી હોય એવું જણાય છે કારણકે શોએબ અખ્તરે હવે પાકિસ્તાની સેનાધ્યક્ષની ચમચાગીરી કરતું નિવેદન આપ્યું છે.
લાહોર: ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તર નિવૃત્ત થયા બાદ તેના વિવાદાસ્પદ નિવેદનો માટે ખાસો એવો ચર્ચામાં રહેતો હોય છે. હાલમાં જ તેણે એક એવું નિવેદન આપ્યું છે જેને કારણે તે ફરીથી ચર્ચામાં આવી ગયો છે.
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ARYને આપેલા એક ઇન્ટરવ્યુમાં શોએબ અખ્તરે જણાવ્યું હતું કે તે ઘાસ ખાવા પણ તૈયાર છે જો પાકિસ્તાની સરકાર પાકિસ્તાનની સેનાનું બજેટ વધારવા માટે તૈયાર હોય તો. શોએબના શબ્દોમાં,
જો અલ્લાહ મને શક્તિ આપે તો હું ઘાસ ખાઈશ પરંતુ દેશની સેનાનું બજેટ જરૂરથી વધારી આપીશ.
શોએબે આગળ જણાવ્યું હતું કે તેને એ સમજણ નથી પડતી કે નાગરિક સરકાર અને સેના સાથે મળીને કામ કેમ ન કરી શકે? શોએબના માનવા અનુસાર જો હાલમાં પાકિસ્તાનના કુલ બજેટના 20% દેશની સેના માટે ફાળવામાં આવતા હોય અને તેના હાથમાં જો સત્તા હોય તો તે પાકિસ્તાન આર્મી ચીફ કમર જાવેદ બાજવા સાથે બેસીને તેને વધારીને 60% કરી આપશે.
શોએબ અખ્તરે ખુલાસો કર્યો હતો કે 1999માં તે પોતાની કેરિયરને દાવ પર લગાવીને સેનામાં જોડાઈને કારગીલ યુદ્ધમાં લડવા માંગતો હતો. શોએબની માન્યતા અનુસાર જો દેશની ચૂંટાયેલી સરકાર અને સેના એકબીજા સાથે સહમત ન થાય તો સરવાળે નુકશાન પાકિસ્તાનનું જ છે.
શોએબ અખ્તરનું આ નિવેદન તેના ભારતમાં IPL કે અન્ય ટુર્નામેન્ટ દરમ્યાન ભારત તરફી આપવામાં આવતા વિવિધ નિવેદનો સાથે મેળ ખાતું નથી તે નોંધનીય છે. પાકિસ્તાનમાં ઉચ્ચ પદે બેસવા માટે પાકિસ્તાની સેનાની ચમચાગીરી કરવી જરૂરી હોય છે જેમાં શાહિદ આફ્રિદી બાદ હવે શોએબ અખ્તર પણ જોડાયો છે.
eછાપું