કોરોનાને કારણે સામાન્ય વ્યક્તિઓ ઉપરાંત કલાકારો અને રાજનેતાઓ પણ તકલીફ ભોગવી રહ્યા છે. એક તાજા સમાચાર અનુસાર સુરતની મજુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પણ કોરોના ગ્રસિત થયા છે.
સુરત: સુરતની મજુરા બેઠકના ધારાસભ્ય ભાજપાના હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, હર્ષ સંઘવીએ થોડા સમય પહેલા Tweet કરીને આ માહિતી આપી હતી. હર્ષ સંઘવી હાલમાં સારવાર માટે સુરતની હોસ્પિટલમાં દાખલ થયા છે.
હર્ષ સંઘવીએ છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન પોતાના સંપર્કમાં આવેલા તમામને કોરોનાનો ટેસ્ટ કરાવવાની પણ વિનંતી કરી છે. વિધાનસભ્ય હોવાને કારણે હર્ષ સંઘવીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની સંખ્યા મોટી હોઈ શકે છે.
Today I underwent Covid-19 test & it has turned out positive.
I have opted for Hospitalization.
Those who have came in contact with me in last few days are advised to get tested for themselves and take required precautions.— Harsh Sanghavi (@sanghaviharsh) August 27, 2020
આ અગાઉ ભારતીય જનતા પાર્ટીના 15 ધારાસભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને આ તમામ ઘનિષ્ટ સારવાર બાદ સ્વસ્થ થઇ ગયા હતા. સુરતના જ એક અન્ય ધારાસભ્ય પુર્ણેશ મોદીને પણ કોરોના થયો હતો તે ઉપરાંત તેમના પરિવારના સભ્યો તેમજ અંગત મદદનીશ પણ કોરોના ગ્રસિત બન્યા હતા.
અગાઉ ભાજપાના 15 વિધાનસભ્યો ઉપરાંત કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા સહીત 5 વિધાનસભ્યો પણ કોરોના ગ્રસિત થયા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીને તો કોરોના થયા બાદ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો અને અત્યારે પણ તેઓ સારવાર હેઠળ છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કોરોનાની સારવાર લઈને સ્વગૃહે પરત ફરી ચૂક્યા છે. આ ઉપરાંત અનેક નગરપાલિકાઓના નગરસેવકોને પણ કોરોના થયો હોવાના અહેવાલો આવતા રહે છે.
eછાપું