પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવેલી એક મહત્ત્વની જાહેરાત અનુસાર અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસની ગતિ વધારવાની મંજૂરી મળી જતાં હવે બંને શહેરો વચ્ચેનું અંતર ઓછું થશે.
અમદાવાદ: અમદાવાદ અને મુંબઈ વચ્ચેની સહુથી પહેલી સુપર ફાસ્ટ ટ્રેન શતાબ્દી એક્સપ્રેસની સ્પિડ હવે વધારવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કારણે અમદાવાદ અને મુંબઈ વચ્ચે પ્રવાસ કરનારા કરોડો પ્રવાસીઓને લાભ થશે.
પશ્ચિમ રેલવે દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર હાલમાં શતાબ્દી એક્સપ્રેસની સ્પિડ 110 કિમી પ્રતિ કલાકની છે જે વધારીને 130 કિમી પ્રતિ કલાકની કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કારણે અમદાવાદ અને મુંબઈ વચ્ચેની રેલયાત્રાનું અંતર લગભગ 45 મિનીટ જેટલું ઓછું થઇ જશે.
આ ઉપરાંત અમદાવાદ અને વડોદરા વચ્ચેનો સેમી-હાઈસ્પિડ કોરીડોરને પણ મંજૂરી આપવામાં આવી છે જે મુંબઈ-દિલ્હી સેમી-હાઈસ્પિડ કોરીડોરનો જ એક હિસ્સો છે. આ કાર્ય સંપૂર્ણ થયા બાદ આ ઉપરોક્ત બંને શહેરો વચ્ચેનું અંતર વધુ ઓછું થઇ શકે છે.
કોર્ટમાં મામલો લંબિત હોવાને કારણે વટવા અને અમદાવાદ વચ્ચેનો ત્રીજો ટ્રેક નાખવાનું કાર્ય હાલમાં ખોરંભે પડી ગયું છે. આ ત્રીજો ટ્રેક અમદાવાદના મણિનગરને વધુ ટ્રેનોના સ્ટોપેજ મળે તેમાં મદદરૂપ થશે.
હાલમાં મુંબઈથી અમદાવાદ આવતી તમામ ટ્રેનોના મુસાફરોની વટવા-મણિનગર વચ્ચે અથવાતો મણિનગર સ્ટેશન બાદ ટ્રેનો ધીમી અથવાતો વારંવાર ઉભી રહેતી હોવાની ફરિયાદ રહેતી હોય છે. ત્રીજો ટ્રેક શરુ થઇ જાય તો પ્રવાસીઓની આ ફરિયાદ પણ દૂર થઇ શકે તેમ છે.
eછાપું