ચેન્નાઈ સુપર કિંગ્સનો મહત્ત્વનો ખેલાડી સુરેશ રૈના IPL 2020 અધવચ્ચે જ છોડીને ભારત પરત ફર્યો છે. આ અંગે ચાલી રહેલી અટકળો પર ટીમના માલિક એન શ્રીનિવાસને એક ઇન્ટરવ્યુમાં પૂર્ણવિરામ મુક્યું છે.
ચેન્નાઈ: IPL 2020ની શરૂઆત થાય એ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સ એટલેકે CSK વિવાદમાં આવી ગઈ છે. થોડા દિવસો અગાઉ CSKના આધારસ્તંભ ગણાતા સુરેશ રૈના ટીમને અલવિદા કહીને ભારત પરત આવી ગયો હતો.
અગાઉ એવું જાણવા મળ્યું હતું કે કાશ્મીરમાં આતંકવાદીઓએ સુરેશ રૈનાના ફઈ અને ફૂવા પર કરેલા હુમલામાં ફૂવાનું અવસાન થતાં તે ભારત પરત ફર્યો છે. પરંતુ એક જાણીતા મેગેઝીનને CSKના માલિક એન શ્રીનિવાસને આપેલા ઇન્ટરવ્યુમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
શ્રીનિવાસને સુરેશ રૈનાની ટીમ છોડીને જવાની ઘટનાની આકરી ટીકા કરી છે. શ્રીનિવાસનના કહેવા અનુસાર તે જૂની ફિલ્મોના સ્ટાર કલાકારો જેવું બાલીશ વર્તન કરીને ભારત પરત ફર્યો છે.
મળતી માહિતી અનુસાર કોરોનાને ધ્યાનમાં લઈને IPL દ્વારા કડક નિયમો અને અનુશાસન લાગુ કરવામાં આવ્યું છે. આ કારણોસર સુરેશ રૈનાને દુબઈની હોટલમાં જે રૂમ ફાળવવામાં આવ્યો હતો તેનાથી તેને અસંતોષ ઉભો થયો હતો.
સુરેશ રૈનાએ ટીમ મેનેજમેન્ટ પાસે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મળેલા રૂમ જેવો જ બાલ્કનીવાળો રૂમ ફાળવવાની માંગણી કરી હતી કારણકે તેને ફાળવવામાં આવેલા બંધિયાર રૂમમાં તેને ડર લાગી રહ્યો હતો. ટીમ મેનેજમેન્ટ દ્વારા રૈનાની આ માંગણી ફગાવી દેવામાં આવતા તે ગુસ્સે થઈને ભારત પરત ફર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
એક અન્ય કારણ એવું પણ સામે આવી રહ્યું છે કે ટીમના બે ખેલાડીઓ અને કેટલાક સપોર્ટ સ્ટાફના સભ્યોને કોરોના થયો હોવાથી સુરેશ રૈના ચેપ લાગવાના ડરથી ભારત પરત આવ્યો છે. પરંતુ એન શ્રીનિવાસનના તાજા ઇન્ટરવ્યુથી એક અલગ જ ચિત્ર સામે આવી રહ્યું છે.
એન શ્રીનિવાસને સ્પષ્ટ જણાવ્યું છે કે CSKની આખી ટીમ એક પરિવારની જેમ રહેતી હોય છે અને દરેક સિનીયર ખેલાડીઓ જુનિયર ખેલાડીઓ સાથે સરખી રીતે એડજસ્ટ થઇ ગયા છે. જ્યારે સુરેશ રૈના ભારત જઈને TV પર IPL જોશે ત્યારે તેને આ ટુર્નામેન્ટ ન રમવા ઉપરાંત દર સિઝનમાં મળવાપાત્ર રૂ. 11 કરોડનો પગાર ગુમાવવા અંગે જરૂર પસ્તાવો થશે.
eછાપું