2020 વર્ષ જાણે અણધારી આફતો અને અણબનાવો માટે જ આવ્યું હોય એમ લાગે છે. કોરોનાને લીધે સર્જાયેલી તારાજી સાથે સાથે આ વર્ષે અનેક મહાનુભાવોના દુ:ખદ અવસાનના સમાચારથી સતત શોકની લાગણી દેશમાં રહી છે. સોમવારે દેશે એક અમૂલ્ય રત્ન ગણાય એવા ‘ભારતરત્ન’ને હમેંશા માટે વિદાય કહી છે.
31 ઓગસ્ટે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી (જુલાઈ 2012 થી જુલાઈ 2017), ભૂતપૂર્વ નાણાં પ્રધાન (2009 થી 2012), વિદેશી બાબતોના પ્રધાન (2006 થી 2009), સંરક્ષણ પ્રધાન (2004 થી 2006) તથા ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ (2019) એ અંતિમ શ્વાસ લીધા. તેઓ 84 વર્ષના હતા.
પ્રણબ’દાએ આ મહિનાની શરૂઆતમાં, 10 ઓગસ્ટે COVID-19 પરીક્ષણ કરાવ્યું હતું જેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
નવી દિલ્હીની આર્મીની રિસર્ચ અને રેફરલ હોસ્પિટલમાં તેમને લોહી ગંઠાઇ જવાથી મગજની સર્જરી કરાવવા દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં દાખલ થયા બાદ સોમવારે બપોરે લગભગ 21 દિવસની બીમારી સામેની લાંબી લડત બાદ તેમનું નિધન થયું હતું.
પ્રણબ’દા ભારતના 13 મા રાષ્ટ્રપતિ હતા અને તેમણે પદ સંભાળ્યું ત્યાં સુધીમાં, 1970ની શુરૂઆતથી 2000ના અંત સુધીમાં તેમણે કોંગ્રેસના વરિષ્ઠ સભ્ય તરીકેની લાંબી જાહેર જીંદગી જીવી લીધી હતી, જેમાં તેમણે ચાર સરકારોમાં અનેક મહત્ત્વના કેબિનેટ પદ સંભાળ્યા હતા.
સમગ્ર વિશ્વના હજારો વિદેશી દેશો અને નેતાઓએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપી છે.
US સ્ટેટ ડિપાર્ટમેન્ટે સોમવારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ભારતીય ઇતિહાસની વૃત્તાંતોમાં તેમને કાયમ યાદ કરવામાં આવશે.
બ્યૂરો ઓફ સાઉથ એંડ સેંટ્રલ એશિયન અફેર્સ (SCA) એ ટ્વિટ કર્યું હતું કે,
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર અમને ખૂબજ શોક છે. અમે ભારતના લોકોની સાથે છીએ કે, તેઓ માટે એવા મહાન નેતાની ખોટ થઈ છે જે ભારતીય ઇતિહાસના વર્ષોમાં કાયમ યાદ રહેશે.
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી પ્રણવ મુખરજીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ તેમનો શોક મોકલતાં કહ્યું હતું કે,
મુખર્જીએ આપણા દેશો વચ્ચેની વિશેષ સુવિધાવાળી વ્યૂહાત્મક ભાગીદારીના સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.
સૌથી અગત્યની વાત એ છે કે; પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં જન્મેલા મુખર્જી, નવી દિલ્હીના રાજકીય માહોલમાં રહેલા છેલ્લા એવા અગ્રણી બંગાળી ચહેરો હતા. તેઓ બંગાળથી બનેલા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા.
eછાપું