જાણો: મોબાઈલ ફોનમાંથી નીકળતાં રેડિયેશનથી બચવાના 12 સરળ ઉપાયો

0
541
Photo Courtesy: moblogon.com

એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી વાતચીત કરવા બાબતે મનુષ્યએ એવી ક્રાંતિ કરી છે કે આજે એ જ ક્રાંતિ કદાચ તેને ભારે પડી રહી છે. મોબાઈલ ફોન એ અત્યારના ટેક્નોલોજી સભર યુગમાં માનવજીવનનો એક અભિન્ન હિસ્સો હોય એમ જરૂરી બની ગયું છે. શાળા હોય કે મોટી કચેરી, ગરીબ હોય કે તવંગર, 2 વર્ષનું બાળક હોય કે 80 વર્ષના વૃદ્ધ, સૌ કોઈને આજે મોબાઈલ વગર ચાલતું નથી.

મોબાઈલ ફોન ઉપયોગી પણ હોય છે, તેમની મદદથી ઘણા કલાકોના અને મહેનતના કામ પળભરમાં આંગળીના ટેરવે થઈ જતાં હોય છે.પરંતુ આ જ મોબાઈલ માનવ શરીરને નુકસાન પણ પહોંચાડી શકે છે.

એક મોબાઈલ બીજા મોબાઈલ સાથે રેડિયોએક્ટિવ તરંગોથી જોડાયેલા હોય છે અને આ તરંગો આપણા સૌની આજુબાજુના વાતાવરણમાં ફરતા રહેતા હોય છે.

આ રેડિયેશનને લીધે બહેરાશ આવવી, યાદશક્તિ ઘટવી, સ્ત્રીઓમાં ગર્ભાશયને નુકસાન, ટયુમર તેમજ કેન્સર જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે.

આ રેડિયેશનની અસરથી બચી પણ શકાય છે.

અને તે માટે નીચે આપેલી આ 12 પદ્ધતિઓ સૌથી સરળ અને ઉપયોગી નીવડે છે જેનાથી મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિયેશનની આપણા સ્વાસ્થ્ય પર પડતી હાનિકારક અસરને ઘણી હદે ઘટાડી શકાશે. તેમજ મોબાઈલનો ઉપયોગ પણ છૂટથી કરવા પર કોઈ રોક મૂકવાની જરૂર નહીં પડે.

  1. કોઈ પણ ફોન ખરીદતા પહેલાં તેના રેડિયેશન લેવલ અંગે જાણકારી મેળવો. તે માટે જે તે ફોનની માર્ગદર્શક પુસ્તિકા, ઇન્ટરનેટ કે તજજ્ઞોની સલાહ લેવી જોઈએ.
  2. ઇયરફોનનો ઉપયોગ કરો. જેથી મોબાઈલ શરીરથી દૂર રહેશે.
  3. શક્ય હોય તો સ્પીકર મોડનો ઉપયોગ કરવો સૌથી વધુ હિતાવહ છે. આમ કરવાથી રેડિયેશનની અસર મગજ સુધી નહીં પહોંચે.
  4. અત્યારે મોટાભાગે ફોનમાં બ્લુટુથની સુવિધા હોય છે, તો એટલું ધ્યાનમાં રાખવું કે, બ્લ્યુટુથને લીધે હળવી માત્રામાં રેડિયેશન સતત ઉત્પન્ન થતું રહે છે અને એટલે જરૂર ન હોય તો ઇયર ફોન કાનથી દૂર રાખવા.
  5. મોબાઈલમાં ટાવર બરાબર ન મળતાં હોય ત્યારે ટાવર પકડવા માટે મોબાઈલ ફોન વધારે માત્રામાં રેડિયેશન બહાર ફેંકે છે. એટલે પૂરા ટાવર પકડાતા હોય ત્યારે જ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ.
  6. મોબાઈલમાંથી નીકળતા રેડિયેશનની અસર ઓછી કરવા રેડિયેશન શિલ્ડનો ઉપયોગ કરવો જોઈએ. જે એન્ટેના કવર કે કીપેડ કવરના રૂપમાં ઘણા મોબાઈલ સ્ટોર પર મળે છે. જે રેડિયેશનની તીવ્રતા ઓછી કરી નાંખે છે.
  7. પુખ્ત વ્યક્તિની સરખામણીમાં બાળકોને મોબાઈલના રેડિયેશન બેવડું નુકસાન પહોંચાડે છે એટલે બાળકોથી મોબાઈલ દૂર રાખવો વધુ હિતાવહ ગણાય છે.
  8. બાળકો લેન્ડલાઇન ફોનનો ઉપયોગ વધારે કરે તેવા પ્રયત્નો કરવા જોઈએ.
  9. વાત કરતી વખતે મોબાઈલને શરીરથી શક્ય એટલો દૂર રાખવો જોઈએ.
  10. મોબાઈલને ખિસ્સામાં, કાનની નજીક કે કમરપટ્ટા પર બાંધી ન રાખવો.
  11. સૂતી વખતે મોબાઈલને શક્ય તેટલો દૂર રાખવો. તકિયા નીચે કે સાવ બાજુમાં મોબાઈલ ન રાખવો. જો મુખ્યમંત્રી,વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનો અડધી રાત્રે ફોન આવવાનો હોય તો બાજુમાં ફોન લઇ સૂઈ જાવ તો એ અલગ વાત છે.
  12. ઘણા અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, તમે ફોન પર કોઈને સામેથી વાત કરવા કોલ કરો કે કોઈને મેસેજ મોકલો તો રેડિયેશનના અસર થવાની શક્યતા વધારે રહે છે. જ્યારે ફોન પર વાત સાંભળતા હોવ કે કોઈનો મેસેજ તમારા ફોન પર આવે તે સ્થિતિમાં રેડિયેશનની અસર ઓછી થાય છે. એટલે જ, આપણા વડવાઓની વાત સાચી છે જે મોબાઈલ ફોનના કિસ્સામાં પણ એટલી જ ઉપયોગી છે કે, “ઓછું બોલો અને વધારે સાંભળો.”

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here