ગયા મહિને રશિયાએ જાહેરાત કર્યા બાદ આખા વિશ્વમાં જાણે એક અલગ જ પ્રકારનો વિશ્વાસ ઉભો થતો હોય એ રીતે સહુ દેશોએ રસી વિકવવાના પ્રયોગો વધારે જોર-શોરથી આગળ ધપાવ્યા છે. એકબાજુ જટિલ બંધારણ ધરાવતા કોરોના વાયરસ રોગચાળાનું સંક્રમણ ડગલે ‘ને પગલે વધી રહ્યું છે, જ્યારે બીજી બાજુ, આપણા દેશના વૈજ્ઞાનિકોએ કોરોના સામે રસીની શોધને લઈને નવતર જાહેરાત કરી છે.
એક અભ્યાસ પ્રમાણે, કોરોના રોગચાળાની વૈશ્વિક મહામારી પહેલા વિશ્વની વસ્તીના ફક્ત 5% લોકો જ જિનેટિક્સ વિષે યોગ્ય માહિતી જાણતા હતા.
અને કોરોના રોગચાળાના આવ્યા બાદ વૈજ્ઞાનિકો અને અન્ય લોકો આ અંગે વધુ સારી રીતે વાકેફ થયા છે.
કારણ કે, ચંદ્ર પર કે અવકાશમાં બીજા કોઈ ગ્રહ પર પોતાનું ઘર બનાવવા પ્રયાસ કરતા વિચાર ધરાવતો મનુષ્ય આજે નરી આંખે પણ ના જોઈ શકાય એવડા અતિસૂક્ષ્મ, 200 નેનોમીટરથી પણ ઓછો ઘેરાવ ધરાવતા કોરોના વાયરસ સામે લાચાર બની ગયો છે.
અને આ પાછળનું જવાબદાર કારણ એ કોરોના વાયરસનું બંધારણ છે, જે પ્રોટીન ધરાવતા RNAથી બનેલું છે અને તેમા જટિલ જીનેટિક્સ બંધારણો સંકળાયેલા છે.
ઈકોનોમિક ટાઇમ્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે; ભારતીય વૈજ્ઞાનિકોનુ એક જૂથ, આ વાયરસ અને માનવ વચ્ચેના સકારાત્મક સંઘર્ષને લઈને જીનોમિક વેરિએબિલિટી અને સંભવિત મોલેક્યુલર ચોક્કસ ટાર્ગેટને ઓળખવા અને સમજવા માટે, ભારત સહિત વિશ્વભરના COVID-19 વાયરસના જિનોમિક સિક્વન્સ પર કામ કરી રહ્યું છે.
આ વિકાસને લોકો સમક્ષ લાવતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ અભ્યાસ વિજ્ઞાન અને ઇજનેરી સંશોધન બોર્ડ (SERB) દ્વારા પ્રાયોજિત કરવામાં આવે છે, જે વિજ્ઞાન અને તકનીકી વિભાગ (DST) હેઠળની કાનૂની સંસ્થા છે.
અભ્યાસ હેતુસર, ડો. ઇન્દ્રજીત સહાની આગેવાનીમાં વૈજ્ઞાનિકોએ મશીન લર્નિંગના આધારે વાયરસના અનુક્રમની આગાહી કરવા માટે વેબ-આધારિત COVID-Predictor બનાવ્યું છે.
આ પ્રેડિક્ટર દ્વારા ‘પોઈન્ટ મ્યુટેશન’ અને ‘સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ’ (SNP) ની દ્રષ્ટિએ આનુવંશિક વિવિધતા શોધવા માટે 566 ભારતીય COVID-19 વાયરસના જિનોમનું વિશ્લેષણ કર્યું છે.
આ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે 66 માંથી 57 SNP ભારતીય COVID-19 વાયરસ જિનોમના છ કોડિંગ પ્રદેશોમાં હાજર છે, અને તે બધા જ એકબીજાથી અલગ છે.
વૈજ્ઞાનિકોએ આ અભ્યાસને વધુ વિસ્તૃત કર્યો હતો અને વિશ્વભરના 10,000થી પણ વધુ સિક્વન્સ પર પરીક્ષણ કર્યું હતું. અને તેમાંથી વૈશ્વિક સ્તરે, ભારત સાથે 20620, ભારત સિવાય 18997 અને ફક્ત ભારતમાં 3514 અનોખા મ્યુટેશન પોઈન્ટ્સ શોધી કાઢ્યા છે.
ડૉ. સહા કોલકાતા સ્થિત ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નિકલ ટીચર્સ ટ્રેનિંગ એંડ રિસર્ચ’ના ‘કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ’ વિભાગમાં સહાયક પ્રોફેસર છે.
તેમના નેતૃત્વમાં વૈજ્ઞાનિકોનો અભ્યાસ “ઇન્ફેક્શન, જિનેટિક્સ અને ઇવોલ્યુશન” નામના જર્નલમાં પ્રકાશિત થયો છે.
eછાપું