અયોધ્યામાં નવરાત્રી ઉત્સવની ઉજવણી લાખો લોકો યૂટ્યૂબ પર માણી રહ્યા છે

0
369
Photo Courtesy: YouTube

પવિત્ર તહેવારોના દિવસો ઘણા નજીક છે. એમાં પણ નવરાત્રી શરૂ થઈ ગઈ છે. પરંતુ કોરોના બીમારીનો ડર એમનોએમ યથાવત છે. અતિ-ઉત્સાહી લોકો પણ આ વખતે હ્રદય પર પત્થર રાખીને અને પરિસ્થિતિને માન આપીને ઘરમાં જ રહી નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે. આવા સમયમાં DD News ચેનલ દ્વારા અનોખી રીતે લોકોને મદદ કરવામાં આવી છે.

લોકો ઘરમાં રહીને જ નવરાત્રી જેવા ઉત્સવો પાછળનો ઐતિહાસિક મહિમા તેમજ સાંસ્કૃતિક વારસાનો અભિગમ સમજે તે હેતુસર દૂરદર્શને અયોધ્યા શહેર, સરયુ નદીના કાંઠે યોજાતા ભવ્ય ‘રામ-લીલા’નું જીવંત પ્રસારણ ચેનલ મારફતે યૂટ્યૂબ પર પ્રસારિત કર્યું છે.

મહામારીના સમયે પણ આ નવરાત્રીમાં અયોધ્યા શહેર એકદમ સજ્જ છે અને ઉત્સવના મૂડમાં છે.

ભગવાન રામના જીવન પ્રસંગોની નાટકીય રચના તેમજ ભવ્ય ‘રામ-લીલા’ આ વર્ષે અયોધ્યાથી જીવંત યોજાઇ રહી છે.

ઉત્તર પ્રદેશ સરકારના પર્યટન અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી DD National દ્વારા તેનું પ્રસારણ 17 ઓક્ટોબરથી શરૂ થયું હતું.

દૂરદર્શનની યુટ્યુબ ચેનલ પરની પહેલી વિડિઓ પહેલાથી જ એક મિલિયન વ્યૂઝને પાર કરી ગઈ છે.

પ્રસાર ભારતીના CEO શશી એસ. વેમ્પાતીએ ટ્વિટર પર લખ્યું છે કે, ટેલિકાસ્ટ પહેલેથી જ મલ્ટિ-મિલિયન મિનિટની ડિજિટલ વોચિંગને પાર કરી ચૂક્યું છે.

ઉત્તર પ્રદેશના પર્યટન, સાંસ્કૃતિક અને ધાર્મિક બાબતોના પ્રધાન, નીલકંઠ તિવારી અને ઉત્તર પ્રદેશના સાંસદ પ્રવેશ સાહેબસિંહ વર્મા દ્વારા આ કાર્યક્રમનું લાઇવ ટેલિકાસ્ટ પ્રારંભ કરાયું હતું.

તે ટીવી અને યુટ્યુબ બંને પર જોઈ શકાય છે.

રામ લીલા દસ દિવસ ચાલે છે અને ભગવાન રામ દ્વારા દશમા દિવસે રાવણ વધ એટલે કે, ‘વિજય દશમી’ અથવા ‘દશેરા’ પર સમાપ્ત થાય છે.

યુટ્યુબ પર પહેલું એપિસોડ પહેલાથી જ એક મિલિયન(દસ લાખ)ને પાર વ્યૂઝ મેળવી ચૂક્યું છે, જ્યારે બીજા વીડિયોમાં સાત લાખ વ્યૂઝ જોવા મળ્યા છે.

‘રામ-લીલા’નો દરેક એપિસોડ 2 કલાક 45 મિનિટથી વધુ ચાલે છે.

આ વર્ષે ‘રામ-લીલા’માં બોલિવૂડ કલાકારો અસરાની અને વિંદુ દારા સિંગ અનુક્રમે નારદ મુનિ અને ભગવાન હનુમાનની ભૂમિકા ભજવી રહ્યા છે.

ભોજપુરી સુપરસ્ટાર અને ભાજપના વર્તમાન સાંસદ મનોજ તિવારી અને રવિ કિશન બંને અનુક્રમે અંગદ અને ભરતની ભૂમિકા નિભાવી રહ્યા છે.

લોકપ્રિય અભિનેતા રઝા મુરાદ અને શાહબાઝ ખાન પણ મહત્વની ભૂમિકામાં છે.

દૂરદર્શને આ પહેલા લોકડાઉનમાં પણ જૂની રામાયણના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા.

માર્ચ 2020 માં, જ્યારે કોરોનાવાયરસ રોગચાળાને કારણે દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી, ત્યારે દૂરદર્શનએ રામાયણ અને મહાભારત સહિત જૂની ટેલિવિઝન શ્રેણીને જીવંત બનાવવાનો નિર્ણય કર્યો હતો.

રામાયણને ફરીથી ચલાવવાના નિર્ણયથી ચેનલ માટે અણધારી દર્શકો આકર્ષાયા હતા, અને 16મી એપ્રિલના રોજ તેને 7.7 કરોડ લોકો દ્વારા જોવાઈ હતી.

ટેલિકાસ્ટ દરમિયાન સોશિયલ મીડિયા અકાઉન્ટ્સમાં ગમગીની અને રામાયણની ફરીથી શોધની કથાઓ ભરાઈ હતી.

રસપ્રદ વાત એ છે કે, આ સિરીયલને ફરીથી ટેલીકાસ્ટ કરવાથી તમામ વય જૂથોના દર્શકો આકર્ષાયા હતા.

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here