લગભગ 2.5થી 3 મહિના સુધી દેશના અર્થતંત્રનો અતિ મહત્વનો હિસ્સો ગણાતો રેલવે વિભાગ સંપૂર્ણપણે બંધ રહ્યો હતો. દેશની વસ્તી પ્રમાણે રેલવે એટલે લોકોની અતિશય અવર-જવર અને ભીડ. આ જોતાં સરકારે કડકપણે રેલવેને બંધ કર્યા બાદ, હવે ધીરે ધીરે સ્પેશિયલ ટ્રેન અને ત્યારબાદ સામાન્ય ટ્રેન શરૂ થવા જઈ રહી છે, ત્યારે સરકાર અને રેલવે વિભાગ દ્વારા કોરોના મહામારી સામે જનહિતને ધ્યાનમાં લેતા અગત્યના ફેરફારો કરવામાં આવી રહ્યા છે.
ટ્રેનમાં પેન્ટ્રી કાર એ એક વિશેષ કોચ હોય છે, જેનો ઉપયોગ મુસાફરો માટે ભોજન તૈયાર કરવા અને પીરસવા કરવામાં આવે છે.
પરંતુ કોરોનાવાયરસ રોગચાળાની વચ્ચે આરોગ્યની ચિંતાને કારણે રેલવે દ્વારા ખાસ ટ્રેનોનું સંચાલન ફરી શરૂ કરાયા બાદ પેન્ટ્રી કાર સેવાની સિસ્ટમ બંધ કરવામાં આવી હતી.
રેલવે વિભાગનું કહેવું છે કે, હવે પેન્ટ્રી કારોના સ્થાને ભારતીય રેલ્વે મુખ્ય સ્ટેશનોમાં IRCTC રસોડાઓ સ્થાપિત કરશે જે મુસાફરોને ટ્રેનમાં ખોરાક પૂરો પાડશે.
એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય રેલ્વે હવે પેન્ટ્રી કારોને AC 3 કોચમાં ફેરવવાની યોજના બનાવી રહ્યું છે. કારણ કે, તેણે કોરોનાવાયરસ સંક્રમણના કારણે ટ્રેનોમાં ખાણી-પીણી બંધ કરી દીધી છે.
સંસાધનોનો બગાડ ન થાય તે માટે પણ રેલવે દ્વારા આ પગલું લેવામાં આવી રહ્યું છે.
અહેવાલો અનુસાર, રેલવે 300 ટ્રેનની પેન્ટ્રી કારોને AC ત્રણ કોચમાં ફેરવશે.
પેન્ટ્રી સિસ્ટમ બદલવા માટે રેલ્વે દરેક મોટા સ્ટેશનોમાં કેટરિંગ માટે IRCTC આધારિત કેન્ટીન તૈયાર કરી રહ્યું છે, જેના દ્વારા ટ્રેનોમાં ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
નવી કિચન સિસ્ટમમાં મુસાફરોને ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે.
રેલ્વે દ્વારા લેવામાં આવેલું નવું પગલું વધુ આવક પેદા કરવા અને રેલવેની કેટરિંગ સુવિધાને વધારવાનું સાધન બનશે.
eછાપું