આ વખતની IPLમાં કેમ બે વખત સુપર ઓવર રમાડવી પડી?

0
300

આઈસીસીએ 2019ના વર્લ્ડકપ ફાઇનલ મુકાબલામાં થયેલ ટાઈ થયેલી સુપર ઓવરમાં બાઉન્ડરી રુલ પ્રમાણે વિજેતા ઘોષિત કરતા સમગ્ર ક્રિકેટ જગતે આઈસીસી પર પોતાનો રોષ ઠાલવ્યો હતો. ત્યારબાદ ઝડપભેર નિયમોમાં ફેરફાર લાવવવામાં આવ્યા હતા. નવા નિયમ મુજબ જ્યાં સુધી કોઈ એક સ્પષ્ટ વિજેતા ન બને ત્યાં સુધી સુપર ઓવર જારી રાખવામાં આવશે. ક્રિકેટ પ્રેમીઓને આ નિયમનો પરચો ગયા રવિવારે પંજાબ અને મુંબઈની મેચ દરમિયાન થઇ ગયો હતો.

મુંબઈ એ ટૉસ જીતીને પહેલી બેટિંગ કરતા 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવીને પંજાબને 177 રનનો ટાર્ગેટ આપ્યો. પંજાબે પણ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન કરતા મેચ ટાઈ થઇ હતી. ત્યારબાદ સુપરઓવરમાં પંજાબે પહેલી બેટિંગ કરતા માત્ર 5 રનમાં 2 વિકેટ ગુમાવી દેતા મુંબઈને જીતવા માટે 6 રનનો ટાર્ગેટ આપ્યો. મુંબઈની ટીમ પણ 5 રન જ કરી શકી જેથી ફરી એક વાર સુપરઓવર થઇ હતી. હવે પ્રથમ બેટિંગનો વારો મુંબઇનો હતો. મુંબઈએ 1 વિકેટ ગુમાવીને 11 રન કરીને પંજાબને જીતવા માટે 12 રનનું લક્ષ્યાંક આપ્યું જેને પંજાબે આસાનીથી ચેઝ કરીને મેચ જીતી લીધી. વાંચવામાં આ ભલે  સુરેખ લાગે છે પરંતુ મેચ દરમિયાન આ પરિસ્થિતિ બીલકુલ રોલરકોસ્ટર રાઈડ જેવી હતી.

આજે સુપર ઓવર અને તેના નિયમો વિષે વાત કરીશું.

સુપર ઓવર એટલે શું?

જયારે લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં બંને ટીમનો મેચના આખરી બોલ પછી એક સરખો થઈ જાય ત્યારે વિજેતા નક્કી કરવા માટે સુપર ઓવરનો ઉપયોગ કરવામાં આવે છે. સુપર ઓવરમાં બંને ટીમને 6 લીગલ બોલ રમવા મળે છે, આ 6 બોલમાં જે ટીમનો સ્કોર વધુ થાય તે વિજેતા બને છે. મુખ્ય ઇનિંગમાં જે ટીમની બીજી બેટિંગ હોય (રન ચેઝ કરનાર ટીમ) તે ટીમને સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરવાનો મોકો મળે છે.  મેચ દરમિયાન જો કોઈ ટીમના રીવ્યુ સમાપ્ત થઇ ગયા હોય તો પણ સુપર ઓવર દરમિયાન એક રીવ્યુ મળે છે. અહીંયા યાદ રાખવું જોઈએ કે સુપર ઓવરમાં નવો બોલ મળતો નથી પરંતુ, ફિલ્ડિંગ ટીમના કેપ્ટનને સુપર ઓવર દરમિયાન સ્પેરબોલના બોક્સમાંથી બોલની પસંદગી કરવાનો મોકો મળે છે. જયારે બીજી ટીમનો ફિલ્ડિંગ નો વારો આવે ત્યારે એ ટીમના કેપ્ટ્નને એ જ બોલ વાપરવાની છૂટ મળે છે અથવા જો બોલ બદલવો હોય તો પ્લેઈંગ કન્ડિશનને ધ્યાનમાં રાખવામાં આવે છે.  બોલિંગ ટીમને બોલિંગ કરવા માટે એન્ડ નક્કી કરવાનો હક મળે છે. સુપર ઓવરમાં ફિલ્ડિંગ રિસ્ટ્રિકશન મુખ્ય ઇનિંગની આખરી ઓવર પ્રમાણે રહે છે.

સુપર ઓવર પણ ટાઈ થાય તો વિજેતા કેવી રીતે નક્કી થાય?

જો સુપર ઓવર પણ ટાઈ થાય તો ફરીથી અગાઉની સુપર ઓવર પુરી થયાની 5 મિનિટ બાદ ફરીથી સુપર ઓવર રમાડવામાં આવશે.

બીજી સુપર ઓવર વિશેના નિયમો 

પ્રથમ સુપર ઓવરના નિયમોમાં ઉમેરો કરીને બીજી સુપર ઓવરના નિયમો બનાવવામાં આવ્યા છે. પ્રથમ સુપર ઓવરમાં બેટિંગ કરનાર ટીમ બીજી સુપર ઓવરમાં પ્રથમ બોલિંગ કરશે. પ્રથમ સુપર ઓવરમાં જે બોલરે બોલિંગ કરી હોય તે બોલર બીજી સુપર ઓવરમાં બોલિંગ ન કરી શકે. તે પ્રમાણે પ્રથમ સુપરોવરમાં જે બેટ્સમેન આઉટ થઇ ચુક્યો હોય તે બીજી સુપર ઓવરમાં બેટિંગ ન કરી શકે. આ નિયમને કારણે મુંબઈ અને પંજાબની મેચમાં નિકોલસ પૂરન, કે.એલ. રાહુલ, ડી કોક, શમી અને જસપ્રીત બુમરાહ બીજી સુપર ઓવરમાં ભાગ નહોતા લઇ શક્યા.

અત્યાર સુધી આઇપીએલમાં સુપર ઓવરના કેટલા બનાવ બન્યા છે? 

અત્યાર સુધી આઇપીએલમાં 13 વાર સુપર ઓવરના બનાવ બન્યા છે જે નીચે પ્રમાણે છે

2009 આઇપીએલ – રાજસ્થાન રોયલ્સ V/s  કોલકાતા નાઈટ રાઈડર્સ – વિજેતા  રાજસ્થાન રોયલ્સ

2010 આઇપીએલ – કિંગ્સ ઈલેવન પંજાબ   V/s ચેન્નાઇ સુપર કિંગ્સ –  વિજેતા  કિંગ્સ ઈલેવન પંજાબ

2013 આઇપીએલ – સનરાઇઝર્સ  હૈદરાબાદ  V/s  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર –  વિજેતા  સનરાઇઝર્સ  હૈદરાબાદ

2013 આઇપીએલ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર  V/s દિલ્હી ડેરડેવિલ્સ –  વિજેતા  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

2014 આઇપીએલ – રાજસ્થાન રોયલ્સ  V/s  કોલકાતા નાઈટ રાઈડર્સ –  વિજેતા   રાજસ્થાન રોયલ્સ

2015 આઇપીએલ – કિંગ્સ ઇલેવન પંજાબ  V/s  રાજસ્થાન રોયલ્સ –  વિજેતા  કિંગ્સ ઇલેવન પંજાબ

2017 આઇપીએલ –  મુંબઈ ઇન્ડિયન્સ  V/s ગુજરાત લાયન્સ –  વિજેતા  મુંબઈ ઇન્ડિયન્સ

2019 આઇપીએલ – દિલ્હી કેપિટલ્સ  V/s   કોલકાતા નાઈટ રાઈડર્સ –  વિજેતા  દિલ્હી કેપિટલ્સ

2019 આઇપીએલ – મુંબઈ ઇન્ડિયન્સ  V/s   સનરાઇઝર્સ  હૈદરાબાદ –  વિજેતા   મુંબઈ ઇન્ડિયન્સ

2020 આઇપીએલ – દિલ્હી કેપિટલ્સ  V/s  કિંગ્સ ઇલેવન પંજાબ –  વિજેતા  દિલ્હી કેપિટલ્સ

2020 આઇપીએલ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર  V/s  મુંબઈ ઇન્ડિયન્સ –  વિજેતા  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

2020 આઇપીએલ – કોલકાતા નાઈટ રાઈડર્સ  V/s સનરાઇઝર્સ  હૈદરાબાદ –  વિજેતા  કોલકાતા નાઈટ રાઈડર્સ

2020 આઇપીએલ – કિંગ્સ ઈલેવન પંજાબ  V/s મુંબઈ ઇન્ડિયન્સ  વિજેતા કિંગ્સ ઈલેવન પંજાબ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here