ઘટસ્ફોટ: નવાઝ શરીફે કારગીલ યુદ્ધ અંગે પોતાના દેશની સેનાને જ ખુલ્લી પાડી!

0
309

દેશમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. એકબાજુ વિશ્વની સર્વોચ સત્તા ગણાતા અમેરિકામાં પણ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી આવી રહી છે. સાથે સાથે પાકિસ્તાનમાં પણ સત્તા પક્ષનો વિરોધ દેશવાસીઓ અને વિપક્ષ પક્ષ કરી રહ્યા છે. તેવામાં પાકિસ્તાની પૂર્વ વડાપ્રધાને જ પાકિસ્તાનની આર્મીને લઈને ગંભીર આરોપ મૂક્યો છે.

નવાઝ શરીફ હાલમાં લંડનમાં છે અને ત્યાંથી જ શરીફે પાકિસ્તાનના સંયુક્ત વિપક્ષ ‘પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ’ની ત્રીજી રેલીને સંબોધન કરી હતી.

નવાઝે કહ્યું છે કે, કારગિલ યુદ્ધમાં સૈન્યને લોજિસ્ટિક્સ અને શસ્ત્રો વિના લડવા મોકલવામાં આવ્યું હતું. અને જ્યારે તેમને આ વિશે માહિતી મળી ત્યારે તેઓ ખૂબ જ દુખી હતા.

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ હવે પોતાના દેશની સેનાની વિરુદ્ધ ખુલ્લેઆમ સામે આવ્યા છે.

ઇમરાન સરકાર અને સૈન્ય પર આરોપ લગાવ્યા બાદ હવે એક રેલીમાં PML-N ના વડા શરીફે પાકિસ્તાન પર કારગિલ યુદ્ધને લગતા અનેક ઘટસ્ફોટ કર્યા છે.

નવાઝ શરીફે કહ્યું છે કે; વર્ષ 1999નું કારગિલ યુદ્ધ પાકિસ્તાની સેના દ્વારા નહીં પરંતુ, કેટલાક સેનાપતિઓ દ્વારા શરૂ કરાયું હતું.

નવાઝ કહે છે કે, તે સમયે સૈન્ય પાસે ન તો હથિયાર હતા ન ખોરાક. આ કારણે સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનનું ખૂબ અપમાન કરવામાં આવ્યું હતું.

વીડિયો કોન્ફરન્સ દ્વારા ક્વેટામાં PDMની રેલીને સંબોધન કરતા નવાઝ શરીફે કહ્યું કે,

કારગિલ યુદ્ધમાં આપણા ઘણા સૈનિકો માર્યા ગયા હતા. આ યુદ્ધમાં હારથી આખી દુનિયા સામે પાકિસ્તાનનું અપમાન થયું હતું. આ યુદ્ધ પાકિસ્તાનની સૈન્ય અથવા સરકાર નહીં પરંતુ કેટલાક સૈન્ય અધિકારીઓ દ્વારા શરુ કરવામાં આવ્યું હતું. તે દેશના સૈન્યના કેટલાક સેનાપતિઓની મનસ્વીતાનું પરિણામ હતું, જેમણે દેશ અને સૈન્યને એવા યુદ્ધમાં ધકેલી દીધું હતું કે, જે યુદ્ધમાંથી કશું મેળવી શકાય  તેમ ન હતું.

નવાઝે કહ્યું કે, જ્યારે મને ખબર પડી કે અમારા સૈનિકોને ભોજન વિના, શસ્ત્રો વિના શિખરો પર મોકલવામાં આવ્યા છે અને તેઓ યુદ્ધમાં મરી ગયા ત્યારે મને ખૂબ જ દુખ થયું હતું. તો સામે પક્ષે આ યુદ્ધથી પાકિસ્તાને તેનાથી કંઈ મેળવ્યું નથી.

નવાઝ શરીફે એમ પણ કહ્યું છે કે, કારગિલ યુદ્ધ પાછળ તે જ જનરલ હતા, જેમણે 12 ઓક્ટોબર, 1999ના રોજ દેશની લોકશાહી સરકારને ઉથલાવી દીધી હતી અને ‘માર્શલ લો’ લાગુ કર્યો. જેથી તે પોતાની ભૂલો છુપાવી શકે અને સજાને ટાળી શકે.

એ સ્પષ્ટ છે કે નવાઝ શરીફનો ઈશારો પૂર્વ પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ તરફ હતો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here