વાકયુદ્ધ: કંગના અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ

0
274

ગઈકાલની દશેરા રેલીમાં કંગના રનૌતનું નામ લીધા વગર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું ત્યારબાદ કંગના તરફથી  આજે જ જવાબ આવવો અપેક્ષિત હતો.

મુંબઈ: અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચેનું શાબ્દિક યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. ગઈકાલે શિવસેનાની પરંપરાગત દશેરા રેલીમાં ઉદ્ધવ ઠાકરે કે કંગના રનૌતનું નામ લીધા વગર મુંબઈને તેના દ્વારા POK કહેવા બદલ તેની આકરી ટીકા કરી હતી.

ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે કેટલાક લોકો (કંગના રનૌત) મુંબઈને ડ્રગ્સનો અડ્ડો કહીને તેને બદનામ કરવાની કોશિશ કરે છે પરંતુ કદાચ તેમને ખબર નથી કે ગાંજો કયા દેશમાં (હિમાચલ પ્રદેશ જે કંગનાનું વતન છે ત્યાં ગાંજાનું ઉત્પાદન થાય છે) ઉગે છે. કંગના રનૌતે આજે ઉદ્ધવ ઠાકરેના ગઈકાલના નિવેદનના જવાબમાં ક્રમબદ્ધ tweets કરી હતી.

કંગનાએ સહુથી પહેલા તો હિમાચલ પ્રદેશના ગુણગાન ગાયા હતા અને અહીં દેશભરમાં સહુથી મોટી સંખ્યામાં મંદિરો હોવાને કારણે તેને દેવભૂમિ પણ કહેવામાં આવે છે તેમ કહ્યું હતું. ત્યારબાદ ઉદ્ધવને ઉદ્દેશીને કંગનાએ કહ્યું હતું કે અહીં ક્રાઈમ રેટ નહીવત છે અને અહીં સફરજન, કીવી, દ્રાક્ષ અને સ્ટ્રોબેરીનું વિપુલમાત્રામાં ઉત્પાદન પણ થાય છે.

કંગનાએ ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે તેમને મુખ્યમંત્રી હોવા અંગે શરમ આવવી જોઈએ કારણકે તેઓ મહારાષ્ટ્રની જનતાનું કામ કરવાને બદલે આવા તુચ્છ ઝઘડામાં રચ્યાપચ્યા રહે છે. કંગનાએ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રીની ખુરશી માટે લાયક ન હોવાનું પણ કહ્યું હતું.

કંગનાએ છેલ્લે ઉદ્ધવ ઠાકરેને સલાહ આપી હતી કે મુખ્યમંત્રીનું પદ તો આજે છે અને કાલે નથી. કાલે તેઓ બહાર પણ થઇ શકે છે અને કોઈ અન્ય તેમની જગ્યાએ રાજ્યનો મુખ્યમંત્રી થશે, આથી તેમણે પોતે રાજ્યના માલિક હોય તેવો વ્યવહાર કરવાથી દૂર રહેવું જોઈએ.

સુશાંત સિંહ રાજપૂત અપમૃત્યુ કેસની તપાસ દરમ્યાન કંગના રનૌતે મહારાષ્ટ્ર સરકાર તેમજ બોલિવુડ વિરુદ્ધ ઘણા આરોપ કર્યા હતા ત્યારબાદ શિવસેના અને તેની વચ્ચે વાકયુદ્ધ સતત ચાલુ રહ્યું છે. થોડા સમય પહેલા જ કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરેને ઉદ્દેશીને એક વિડીયો પણ tweet કર્યો હતો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here