ભારતને આવનારા મહિનાથી શરુ કરીને આવતે વર્ષે એપ્રિલ મહિના સુધી 16 બીજા રફેલ ફાઈટર જેટ્સ મળવાના છે જેને કારણે ભારતીય વાયુસેનાની આક્રમક શક્તિ મોટા પ્રમાણમાં વધી જશે.
નવી દિલ્હી: આ વર્ષના મધ્યમાં ભારતીય વાયુસેનાને (IAF) ફ્રાન્સના દસ્સો એવિએશન તરફથી 5 રફાલ ફાઈટર જેટ્સ મળ્યા હતા જેણે અંબાલા એરબેઝ પર ઉતરાણ કર્યું હતું. એક તાજા રિપોર્ટ અનુસાર વર્ષ 2021ના એપ્રિલ સુધીમાં ભારતીય વાયુસેનાને 16 બીજા રફાલ ફાઈટર જેટ્સ મળી જશે.
ઉપરોક્ત 16 રફાલ જેટ્સમાંથી પહેલા 3 ફાઈટર જેટ્સ આ જ વર્ષે 5 નવેમ્બરે ભારત આવી જશે. જાણવા મળ્યા અનુસાર આ ત્રણ ફાઈટર જેટ્સ દસ્સો એવિએશનના એસેમ્બલી પ્લાન્ટ જે ફ્રાન્સના બોર્દેઓમાં આવેલો છે ત્યાંથી સીધા જ ભારત આવી જશે અને તેને રસ્તામાં જ ફ્યુઅલ પૂરું પાડવામાં આવશે. રફેલના પહેલા પાંચ ફાઈટર જેટ્સના જથ્થાને UAEમાં ઉતરાણ કરાવીને ફ્યુઅલ પૂરું પાડવામાં આવ્યું હતું.
ત્યારબાદ ત્રણ વત્તા ત્રણ એમ છ રફેલ આવતા વર્ષે અનુક્રમે જાન્યુઆરી અને માર્ચમાં તેમજ બાકીના સાત એપ્રિલ 2021 સુધીમાં ભારત આવી પહોંચશે. તમામ 16 રફેલ ભારત આવી પહોંચ્યા બાદ વાયુસેનાની ગોલ્ડન એરોઝ સ્કવોડ્રનને જરૂરી એવા તમામ 18 ફાઈટર જેટ્સ મળી જશે.
એવા સમાચાર પણ છે કે ઓછામાં ઓછા ત્રણ રફેલ બંગાળમાં આવેલા હસીમારા એરબેઝ પર સ્થિત કરવામાં આવશે જે ઇસ્ટર્ન ફ્રન્ટનો હિસ્સો છે.
આ વર્ષે LAC પર ઉભા થયેલા તણાવ બાદ રફેલ અહીં નિયમિત સોર્ટી કરી રહ્યાં છે અને આવનારા દિવસોમાં તેની સંખ્યા વધતાં ભારતીય વાયુસેનાની આક્રમક શક્તિમાં જરૂર વધારો થશે.
eછાપું