ગુજરાત રાજ્યમાં કોરોનાની અસર ઓછી થતાં જ અને લગ્નની સિઝન નજીક આવતા સરકારે લગ્નપ્રસંગે હાજર રહી શકતા લોકોની સંખ્યા ઉપરાંત કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા છે.
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની અસર ધીમીધીમે ઓછી થઇ રહી હોવાનું દેખાઈ રહ્યું છે. અગાઉ જ્યારે કોરોનાની અસર વધુ હતી ત્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ અનુસાર કેટલાક કડક પગલાં લઈને મોટી સંખ્યામાં લોકોના એકઠાં થવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
પરંતુ હવે કોરોનાની અસર ઓછી થતી દેખાતાં ગુજરાત સરકારે લગ્નપ્રસંગે વધુ લોકોની હાજરીને આજે મંજૂરી આપી દીધી છે. ગુજરાત સરકારના તાજા નિર્ણય અનુસાર રાજ્યમાં લગ્નપ્રસંગ દરમ્યાન હવે 100ને બદલે 200 લોકો હાજરી આપી શકશે.
જો કે સરકારના આ નિર્ણયમાં એ બાબતે પણ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે જો લગ્નપ્રસંગ કોઈ ખાનગી અને બંધ હોલમાં રાખવામાં આવે તો હોલની ક્ષમતા કરતા અડધા જ વ્યક્તિને હાજરી રાખવાની મંજૂરી આપવામાં આવશે.
આ ઉપરાંત લગ્નપ્રસંગે સરકારી ગાઈડલાઈન્સ જેવીકે સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝરનો ઉપયોગ તેમજ હેન્ડવોશ અને થર્મલ સ્ક્રિનિંગની જ વ્યવસ્થા રાખવી ફરજીયાત બનશે. એક અન્ય સ્પષ્ટતા અનુસાર જો હોલની ક્ષમતા 400 કે વધુ વ્યક્તિની હશે તો પણ હાજરી તો 200 લોકોની જ માન્ય ગણવામાં આવશે.
ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન્સ જોતાં એ સ્પષ્ટ થાય છે કે હવે રાજ્યમાં લગ્નપ્રસંગે જ નહીં પરંતુ રાજકીય મેળાવડાઓ અને અન્ય સમારંભોને પણ વધુમાં વધુ 200 લોકોની હાજરી સાથે મંજૂરી મળી શકે તેમ છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી કેટરિંગ ઉદ્યોગ તેમજ લગ્નપ્રસંગો સાથે તેમજ અન્ય મેળાવડાઓ સાથે જોડાયેલા ઉદ્યોગો પણ ફરીથી ધમધમતા થઇ જશે.
eછાપું