અદાણી ગ્રુપની કંપની દ્વારા ભારત માટે વ્યુહાત્મક રીતે અત્યંત જરૂરી એવા કોલંબો પોર્ટના વિકાસ માટે તેમજ અન્ય એક મહત્ત્વના પોર્ટ માટે કરાર કર્યો છે અને ત્રીજા મહત્ત્વના પોર્ટ માટે તેના પ્રયાસો ચાલુ કર્યા છે.
મુંબઈ: ભારતના મહત્ત્વના ઔદ્યોગિક ગૃહોમાંથી એક એવા અદાણી ગ્રુપે એક મહત્ત્વનો પ્રોજેક્ટ હાંસલ કર્યો છે. અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) દ્વારા શ્રીલંકામાં બંધ પડેલો ઇસ્ટ કન્ટેનર ટર્મિનલ પ્રોજેક્ટ પરનું કામ ફરીથી શરુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ શ્રીલંકાની રાજધાની અને પોર્ટ સિટી કોલંબોમાં આવેલો છે.
શ્રીલંકામાં સ્થિત અદાણીની પાર્ટનર કંપનીએ પણ નિશ્ચિત કર્યું છે કે આ અંગેનો કરાર જે તેણે શ્રીલંકા પોર્ટ્સ ઓથોરીટી સાથે કર્યો હતો તેને મંજૂરી મળી ગઈ છે. આ પ્રોજેક્ટ ભારત અને શ્રીલંકા સરકાર વચ્ચે થયેલા સહકારના એક ભાગ રૂપે છે.
જો કે આ પ્રોજેક્ટ પર પ્રાથમિક સમજૂતી ગયા વર્ષે જ થઇ ગઈ હતી પરંતુ સ્થાનિક લેબર યુનિયન્સને ભીતિ હતી કે આ પ્રોજેક્ટ દ્વારા તેમના પર વિદેશી કંપની કાબુ કરી લેશે અને આથી તેમણે આ પ્રોજેક્ટ વિરુદ્ધ દેખાવો કર્યા હતા.
કોલંબોના પ્રોજેક્ટ ઉપરાંત APSEZ દ્વારા મ્યાનમારના યાંગુન (રંગુન) પોર્ટના કન્ટેનર ટર્મિનલનો 275 મિલિયન ડોલર્સનો પ્રોજેક્ટ પણ હાંસલ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને APSEZના વિઝીનજામ ખાતે આવી રહેલા ટ્રાન્સ-શિપમેન્ટ હબ માટે અત્યંત મહત્ત્વનો ગણવામાં આવે છે.
આ ઉપરાંત APSEZ બાંગ્લાદેશના ચિત્તાગોંગ પોર્ટના વિકાસ માટેનો પ્રોજેક્ટ મેળવવા માટે પણ પ્રયાસો કરી રહ્યું છે. અત્રે એ નોંધનીય છે કે કોલંબો, યાંગુન તેમજ ચિત્તાગોંગ આ ત્રણેય પોર્ટ્સ ભારત માટે વ્યુહાત્મક રીતે અત્યંત મહત્ત્વના છે અને ભારત સરકાર સતત આ પોર્ટ્સ ચીનના હાથમાં ન આવે તેના પ્રયાસો કરી રહી છે.
eછાપું