જો શેર એ કંપનીમાં ભાગીદારી છે તો બોન્ડ્સ કે ડીબેન્ચર એ કંપનીને આપેલી લોન છે જેના પર તમને વાર્ષિક દરે વ્યાજ મળે છે.
આ બોન્ડ્સ રીઝર્વ બેંક કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કે સુધરાઈ પણ ઇસ્યુ કરી શકે અથવા મોટી મોટી કંપનીઓ જે શેરબજારમાં લીસ્ટેડ ના હોય કે લીસ્ટેડ હોય તમામ ઇસ્યુ કરી શકે છે. હા બેંકો પણ અને નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ પણ બોન્ડ ઇસ્યુ કરતા હોય છે. આ બોન્ડ્સના વ્યાજના દર બેન્કની ફિક્સ ડીપોઝીટ કરતા સહેજ વધારે હોય છે અને બેન્કની લોન કરતા સહેજ ઓછાં હોય છે. બોન્ડ્સ ધારકને એના પર ત્રિમાસિક કે છમાસિક કે વાર્ષિક વ્યાજ મળતું રહે છે.
બોન્ડ્સ સિક્યોર્ડ કે અનસિક્યોર્ડ હોઈ શકે. સિક્યોર્ડ એટલે કંપની એની સામે પોતાની અકસ્યામત કે પ્રોપર્ટી કે પ્લાન્ટ એન્ડ મશીનરી ગીરવે મૂકી સલામતી આપે છે, હા આ બોન્ડ્સ ને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પણ ગેરેંટી આપી હોય એવું બની શકે. આમ આમાં સલામત બોન્ડ અને અસલામત બંને પ્રકાર છે.
બોન્ડ્સ પર્પેચ્યુઅલ હોઈ શકે એટલેકે કાયમી એની મુદત કંપનીના અસ્ત સાથે થાય અથવા કોઈ ફિક્સ મુદત માટે હોઈ શકે જેમકે દસ વર્ષ માટે કે વીસ વર્ષ મોટાભાગે એ લાંબાગાળાની મુદત માટે હોય છે.
બોન્ડ સામાન્યપણે રૂપિયા પાંચ લાખનો એક કે દસ લાખ રૂપિયાનો એક એમ મોટી રકમના યુનિટમાં હોય છે.
બોન્ડ્સ ડીમેટ ફોર્મમાં હોય છે એટલેકે શેરની જેમ એ પણ ડીમેટ ખાતામાં જમા થઇ શકે અને એની પણ લે વેચ થઇ શકે બોન્ડ્સ શેરબજાર પર લીસ્ટેડ હોય છે અને એના સોદા રોજબરોજ થતા રહે છે.
બોન્ડ્સનું રેટિંગ હોય છે જે રેટિંગ એજન્સીઓ એને રેટિંગ આપે છે જેમકે AAA AA AA+ BBB વગેરે અહી AAA રેટિંગ વધુ સલામતી સૂચવે છે જયારે AA ઓછી સલામતી અને એથી બોન્ડ્સના બજાર ભાવ એના સલામતીના રેટિંગને આધારે બોલતા હોય છે. વળી ભાવમાં વ્યાજ જે ચૂકવવાનું થતું હોય પણ મુદત પાકી ના હોય ત્યાં સુધીના વ્યાજની ગણતરી પણ ભાવમાં થતી હોય છે અને એની ઉપર પ્રીમીયમ કે ડિસ્કાઉન્ટ બોલાતું હોય છે.
તો આ બોન્ડ્સ કોને માટે વધુ ઉપયોગી ?
ખાસ તો જેઓ નિવૃત થતાં હોય અને એમને એક સામટી મોટી રકમ જેમકે ૫૦ લાખ રૂપિયા કે ૧ કરોડ રૂપિયા નિવૃત્તિ વખતે મળતા હોય તો તેઓ એમની આ મોટી રકમમાંથી દસ ટકા કે વિસા ટકા રકમ આવા બોન્ડ્સમાં રોકી વધુ વ્યાજની આવક રળી શકે. જેમને પ્રોપર્ટીમાં રોકાણ કરવામાં રસ ન હોય અથવા પ્રોપર્ટીમાં રોકાણ જેમને જરુરીના હોય તેઓ આવા બોન્ડ્સમાં રોકાણ કરી શકે કારણકે અહી બેન્કની ફિક્સ ડીપોઝીટ કરતાં વધુ વ્યાજ મળે છે એથી વધુ આવક માટે બોન્ડ્સમાં રોકાણ કરી શકાય.
બોન્ડ્સ પણ સહેલાઈથી બજારમાં વેચી રોકડા કરી શકતા હોવાથી જેની પાસે મોટી રકમ હોય અને જે કામચલાઉ રોકાણ કરી વધુ વ્યાજ ઈચ્છતા હોય એમને માટે પણ આ એક કામચલાઉ પાર્કિંગ વ્યવસ્થા છે. બોન્ડ્સના ભાવમાં વધઘટ એના વ્યાજના દરના પ્રમાણમાં અને રેટિંગમાં સલામતીના આધારે જ વધઘટ હોય અને આ વધુ ભાવ આપ્યા પછી પણ બેન્કની ફિક્સ ડીપોઝીટ કરતા વધુ વ્યાજ અહી છૂટે છે એથી મોટી રકમનું રોકાણ અહી વધુ વ્યાજની આવક તમને આપે છે.
આ બોન્ડ્સ લેવા તમારે તમારા શેરદલાલનો સંપર્ક સાધવાનો રહે છે અને એની મારફતે જ સોદા કરવા હિતાવહ છે કારણકે તમે પહેલા પૈસા ચૂકવો છો અને પછી તમારા ડીમેટ ખાતામાં બોન્ડ્સ જમા થાય છે અને વળી એ બજારમાં અજાણ્યા પાસે તમે ખરીદો છો એથી પૈસાની સલામતી માટે તમારા વિશ્વાસુ શેરદલાલ પાસેથી જ ખરીદવું હિતાવહ છે.
અહીં આપવામાં આવેલી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું અહીં આપેલી સલાહને પોતાના તરફથી કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.
eછાપું
તમને ગમશે- શું તમે ક્યારેય ઇન્વેસ્ટર તરીકે કેરિયર બનાવવાનું વિચાર્યું છે?