તાજેતરમાં જ એક ફિલ્મના લીધે અતિ ચર્ચિત બનેલ ચિત્તોડગઢ પોતાની પૌરાણિક કથાઓ અને ઇતિહાસ ખૂબ જ ભભકા સાથે દર્શાવે છે, જે જાણવા અને માણવા જેવુ છે.
ભવ્ય કિલ્લા, મહેલો, સ્તંભો અને સુંદર બાગ-બગીચા માટે પ્રખ્યાત ચિત્તોડગઢ અરવલ્લી પર્વતમાળાના સાંકડા મધ્ય ભાગ પર આવેલું છે. તેની યુદ્ધ તથા શૌર્યકથાઓ, સ્થાપત્યકલા અનેક પ્રવાસીઓને આકર્ષે છે.
કિલ્લાનો ઇતિહાસ
- ઈ.સ.૧૩૦૩માં મહારાણા રતનસિંહની સુંદર પત્ની રાણી પદ્મિનીના રૂપથી આકર્ષાઈને અલ્લાઉદ્દીન ખીલજીએ ચિત્તોડગઢ પર આક્રમણ કર્યું હતું.
- અલ્લાઉદ્દીન ખીલજીનો ઈરાદો ચિત્તોડગઢના લશ્કરી અને રાજકીય બળને ખતમ કરવાનો પણ હતો.
- આક્રમણ દરમિયાન શત્રુઓના હાથે માનભંગ થવાને બદલે ગૌરવભર્યું મૃત્યુ રાણી પદ્મિનીએ પસંદ કર્યું હતું.
- અન્ય હજારો સ્ત્રીઓની સાથે તેણે જૌહર કર્યું હતું. ઈતિહાસમાં આ પ્રકારની ઘટના બીજે ક્યાંય જોવા મળી નથી.
- ઈ.સ. ૧૫૩૩માં ગુજરાતના સુલતાન બહાદુરશાહે ચિત્તોડગઢ પર હુમલો કર્યો હતો. તે સમયે અહીં રાજા વિક્રમજીતનું શાસન હતું.
- ઈ.સ. ૧૫૫૭માં અકબરે અહીંના રાજા ઉદયસિંહને હરાવીને અહી પોતાની હકુમત સ્થાપી હતી.
કિલ્લાનું બાંધકામ અને સ્થાપત્ય
- અહીંનો મધ્યકાલીન કિલ્લો સમુદ્ર-સપાટીથી ૧૮૦ મીટરની ઊંચાઈએ સાતસો એકરના વિસ્તારમાં ફેલાયેલો છે.
- આ કિલ્લો મૌર્યવંશી રાજા ચિંત્રાંગદે બંધાવ્યો હતો.
- આ કિલ્લો ચિત્તોડગઢ શહેરથી ૯૮ કિલોમીટરના અંતરે આવ્યો છે.
- કિલ્લામાં બે પ્રવેશદ્વાર છે.
- કિલ્લાની ઉત્તરેથી દક્ષિણ તરફ ઘણી ઈમારતો છે.
- તેમાં કંભા મહલ, જયમલ પટ્ટાકા મહલ, ભામાશાનું મહાલય, પદ્મિની મહલ, રાણા સંગનું દેવરા ગોરાબાદલનું ગુન્ટીન વગેરે જોવાલાયક છે.
- કિલ્લાનું બાંધકામ, નકશી વગેરે સૌને પ્રભાવિત કરે તેવા છે, રાજપૂતાનાનો આ સૌથી ભવ્ય કિલ્લો છે.
- આ કિલ્લામાં ઘણાં પ્રાકૃતિક સરોવરો, ધોધ, કુંડ, તળાવો અને મંદિરો છે.
જય સ્તંભ
- ઈ.સ. ૧૪૪૦માં માળવા અને ગુજરાત પર વિજય હાંસલ કર્યા બાદ મેવાડના રાજા કુંભાએ આ ઈમારત બંધાવી હતી.
- તે સાડત્રીસ મીટર ઊંચો છે અને તેમાં નવ માળ છે.
કીર્તિ સ્તંભ
- આ સ્તંભ બાવીસ મીટર ઊંચો છે અને તે બારમી સદીમાં જૈન કારીગરોએ બંધાવ્યો હતો.
- જૈન તીર્થંકર આદિનાથની યાદમાં આ સ્તંભ બન્યો છે.
આ સિવાય પ્રતાપ પાર્ક, મીરા પાર્ક, નહેરુ પાર્ક અને ખ્વાજા રોઝ-ગાર્ડન જોવા જેવા સ્થળો છે.
કેવી રીતે પહોંચશો?
- ચિત્તોડગઢ રેલમાર્ગે દેશના બધાં મોટાં શહેરો સાથે જોડાયેલું છે.
- જયપુર, ઈન્દોર, અમદાવાદ વગેરેથી સીધી ટ્રેન ત્યાં જાય છે.
- રાજસ્થાનના તમામ મોટાં શહેરોમાંથી સીધી બસ પણ ચિત્તોડગઢ જાય છે.
અન્ય જરૂરી માહિતી
- ચિત્તોડગઢમાં ખરીદી માટે કોઈ ખાસ બજાર કે ચૌટું નથી.
- જય સ્તંભની પ્રતિકૃતિઓ અહીં મળે છે.
- અહીં રહેવાની સારી સુવિધા છે.
- મુલાકાતનો સાનુકૂળ સમય સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી છે.
eછાપું
તમને ગમશે: સોનેરી શહેર જેસલમેર અને તેની એક યાદગાર મુલાકાત – ભાગ 1