આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજધાનીમાં નવા સંસદ ભવનના પ્લાનનું ખાતમુહૂર્ત કરવાના છે. આ નવા સંસદ ભવનની જાહેરાત ગયા વર્ષે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદના સત્રમાં જ કરી હતી. ગત રવિવારે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં ઓમ બિરલાએ જણાવ્યું હતું કે,
સ્વતંત્ર ભારતની સફર આપણે જુના બાંધકામમાં કરી હતી અને જ્યારે આપણે આપણી સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ કરીશું ત્યારે આપણે સંસદના બંને ગૃહોનું કામકાજ નવા સંસદ ભવનમાં આયોજીત કરીશું. આ નવું ભવન એ ફક્ત ઈંટ અને પથ્થરનું જ બાંધકામ નહીં હોય પરંતુ તે 130 કરોડ લોકોના સ્વપ્નની પૂર્તિ હશે.
જો કે હાલમાં જ એક અંતરિમ આદેશમાં સુપ્રિમ કોર્ટે નવા ભવનનું ફક્ત ખાતમુહૂર્ત કરવાની જ મંજૂરી આપી છે અને તેનું બાંધકામ તેના આગલા આદેશ સુધી શરુ કરવાની મનાઈ કરી છે પરંતુ આ ભવનનું બાંધકામ 2022 સુધીમાં પૂર્ણ થઇ જવાનું નક્કી કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ આ નવા સંસદ ભવન વિષે એ તમામ મહત્ત્વની માહિતી જે તમે જાણવા માંગો છો.
નવા સંસદ ભવન પર થનારો કુલ ખર્ચો
આ નવું ભવન કુલ રૂ. 861.90 કરોડના ખર્ચ સાથે બનશે. આ ભવનના નિર્માણ માટે સીધી રીતે લગભગ 2000 લોકો અને આડકતરી રીતે લગભગ 9,000 લોકો જોડાશે. થોડા મહિનાઓ અગાઉ તાતા ગ્રુપને નવા સંસદ ભવન નિર્માણનો કોન્ટ્રેક્ટ એનાયત કરવામાં આવ્યો હતો. અત્રે એ યાદ કરવું ઘટે કે હાલનું ભવન એ દિલ્હીના પ્રખ્યાત લટયન્સ વિસ્તારની જેમ જ એડવર્ડ લટયન્સ દ્વારા બાંધવામાં આવ્યું છે જેમને એ સમયે એક અન્ય બ્રિટીશ એન્જીનીયર હર્બર્ટ બેકરની મદદ મળી હતી.
નવા સંસદ ભવનમાં મળનારી સુવિધાઓ
ભારતીય સંસદનું નવું ભવન આધુનિક તેમજ અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે. અહીં સ્માર્ટ ડિસ્પ્લેઝ હોવા ઉપરાંત સંસદ સભ્યો સરળતાથી મતદાન કરી શકે તે માટે બાયોમેટ્રિક વોટીંગની સુવિધા પણ હશે. સાંસદોને ગૃહમાં થતી ચર્ચાને પોતાની ભાષામાં સમજવા માટે ઓટોમેટીક ટ્રાન્સલેશન સિસ્ટમ સુવિધાનો લાભ પણ મળશે. આ ઉપરાંત અહીં રાખવામાં આવેલા માઇક્રોફોન્સ જે-તે સાંસદની ઈચ્છા અનુસાર રેકોર્ડીંગ પણ કરી શકવા સક્ષમ હશે.
સંસદ ભવનમાં થશે મોટા ફેફારો
નવા ભવનમાં લોકસભામાં 888 બેઠકોની વ્યવસ્થા હશે જ્યારે રાજ્યસભામાં 384 જેટલી બેઠકો હશે. જે ભવિષ્યમાં આ બંને ગૃહો માટે વધી શકનાર બેઠકોની સંખ્યાને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવ્યું છે. દરેક સાંસદને પોતાની અલગ કેબીન મળશે જેમાં તમામ વ્યવસ્થાઓ ડિજીટલ એટલેકે પેપરલેસ હશે. નવા ભવનમાં લોન્જ, કોન્સ્ટીટયુશન હોલ, મલ્ટિપલ કમિટી રૂમ્સ, ડાઈનીંગ એરીયાઝ, લાઈબ્રેરી અને પાર્કિંગની વિશાળ જગ્યા હશે.
આ નવું ભવન હાલના જુના ભવનની બાજુમાં જ બનશે અને બંને ભવનોની વચ્ચે અન્ડરગ્રાઉન્ડ પાસીંગની સુવિધા આપવામાં આવશે જેથી સંસદ સભ્યો તેમજ કર્મચારીઓના આવાગમનમાં સરળતા રહેશે. સમગ્ર બાંધકામ કેન્દ્રના સેન્ટ્રલ વિસ્ટા રીકન્સ્ટ્રકશન પ્લાન હેઠળ બાંધવામાં આવશે. હાલમાં આ વિસ્તારમાં સંસદ ભવન ઉપરાંત રાષ્ટ્રપતિ ભવન, વડાપ્રધાનનું અધિકારીક નિવાસસ્થાન તેમજ ઇન્ડિયા ગેટ સામેલ છે.
eછાપું
તમને ગમશે – અમારાથી કામ નથી થઇ શકતું, અમે થાકી જઈએ છીએ: સંસદ સભ્યો