દિલ્હીમાં ચાલી રહેલા કિસાન આંદોલન વચ્ચે થોડા સમય પહેલાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરષોત્તમ રૂપાલા એ આજે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદમાં કૃષિ કાયદાઓ અંગે કેટલાક ખુલાસો કર્યા હતા.
ગાંધીનગર: દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે 19મો દિવસ છે અને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરષોત્તમ રૂપાલાએ ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા આ બીલો વિષે કેટલીક મહત્ત્વની સ્પષ્ટતા કરી હતી.
રૂપાલા એ જણાવ્યું હતું કે ખેડૂતોની ઉત્પાદકતા સાથે આવક જોડવાનો સર્વપ્રથમ પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કર્યો છે. વડાપ્રધાન મોદીના જ સમયમાં ખેડૂતોની જમીનની તબિયતની સંભાળ રાખવા, ખેતીના જોખમોને ઘટાડવા માટે કેન્દ્ર સરકારે અનેક યોજનાઓ બનાવી છે.
પરષોત્તમ રૂપાલા એ આગળ જણાવતા કહ્યું હતું કે ખેડૂતની આવક 2022 સુધીમાં બમણી થાય તે માટે સરકારે જ ખેડૂતોના ખાતાંમાં રકમ નાખવાની શરુ કરી હતી અને અત્યારસુધીમાં આ રકમ 95 હજાર કરોડ થઇ ગઈ છે.
રૂપાલા દ્વારા ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતોના હિતની આ પ્રકારની ચિંતા કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે દેશના ખેડૂતોએ સહેજ પણ શંકા કરવાની જરૂર નથી. રૂપાલાએ સ્પષ્ટ કહ્યું હતું કે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કાયદા હેઠળ ખેડૂત અને ઇન્વેસ્ટર વચ્ચે જે કોઈ પણ કરાર થશે તેમાં જમીન સંબંધી કોઈ વાત જ નથી.
કોન્ટ્રેક્ટમાં જમીન અંગે કોઈ વાત કરવામાં જ નથી આવી જેથી જમીન અંગે કોઈ પણ વિવાદ ઉભી થવાની શક્યતા નાથી. રૂપાલા એ સ્પષ્ટતા કરી હતી કે આ કોન્ટ્રેક્ટ ખેડૂતોના ખેતરમાં ઉત્પન્ન થતી જણસ અને ઇન્વેસ્ટર્સ વચ્ચેનો જ રહેશે.
પુરષોત્તમ રૂપાલાના કહેવા અનુસાર દેશભરના મોટાભાગના ખેડૂતોએ આ નવા કૃષિ કાયદાઓનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે આ કાયદાઓ તેમના માટે લાભકર્તા છે. કૃષિ સુધાર કાયદા દ્વારા ખેડૂતો માટે APMCની હાલની પદ્ધતિ ચાલુ રાખીને નવા વિકલ્પો આપવાના ઉમદા પ્રયાસો મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યા હોવાનું પણ રૂપાલા એ જણાવ્યું હતું.
નવું કૃષિ બીલ અમલમાં આવે એ પહેલા જ તેને પાછું ખેંચવાની માંગ અયોગ્ય છે તેમ તેમણે કહ્યું હતું. કોન્ટ્રેક્ટ ફાર્મિંગ અંગે સૌરાષ્ટ્રનો દાખલો આપતાં પુરષોત્તમ રૂપાલાનું કહેવું હતું કે અહીં 90% ખેતી કોન્ટ્રેક્ટ ફાર્મિંગથી જ થાય છે.
eછાપું
તમને ગમશે: નવા કૃષિ કાયદાઓ અંગે શરદ પવારના બેવડાં ધોરણો સામે આવ્યા!