દેશ માટે સ્વતંત્રતા બાદ સહુથી મોટો પ્રોજેક્ટ એટલેકે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેઈન રેલવે પ્રોજેક્ટના કાર્યમાં અપડેટ આવી છે તે મુજબ દક્ષિણ ગુજરાતમાં આ પ્રોજેક્ટ અંગેનું સોઇલ ટેસ્ટિંગ શરુ થઇ ગયું છે.
વડોદરા: અમદાવાદ- મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેઈન પ્રોજેક્ટ અંગે મહત્ત્વની અપડેટ આવી છે અને આ અપડેટ એવી છે કે દક્ષિણ ગુજરાતમાં આ પ્રોજેક્ટ માટે સોઇલ ટેસ્ટિંગ શરુ થઇ ગયું છે. લાર્સન એન્ડ ટુબ્રો (L&T) તેમજ તેના જીયોટેક્નિકલ સબકોન્ટ્રેક્ટર્સ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આ કાર્ય હાલમાં હાથ ધરવામાં આવી રહ્યું છે.
હાલનું સોઇલ ટેસ્ટિંગ અગાઉના સોઇલ ટેસ્ટિંગના પરિણામની ખરાઈ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. કુલ 508.17 કિલોમીટરના સંપૂર્ણ પ્રોજેક્ટના 237.1 કિલોમીટર ગુજરાતમાં પસાર થવાના છે.
અગાઉનું સોઇલ ટેસ્ટિંગ વર્ષ 2017માં થયું હતું અને તેના પરિણામો તમામ પક્ષકારોને પહોંચાડી દેવામાં આવ્યા હતા. હાલનું ટેસ્ટિંગ રેલવે લાઈનની ડિઝાઈન અને તેના પાયાના બાંધકામ માટે મદદરૂપ બનશે.
હાલમાં ચાલી રહેલું સોઇલ ટેસ્ટિંગ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલા ઝરોલી ગામથી વડોદરા સ્ટેશન સુધી થવાનું છે અને આ સમગ્ર માર્ગમાં વાપી, બિલીમોરા, સુરત અને ભરૂચ સ્ટેશનો આવે છે.
ગુજરાતમાં આ સમગ્ર પ્રોજેક્ટની સહુથી લાંબી લાઈન કુલ પ્રોજેક્ટનો 46.66 ટકા હિસ્સો ધરાવશે. હાલમાં ચાલી રહેલા કામકાજમાં સુરત ખાતે એક ડેપોનું બાંધકામ પણ કરવામાં આવશે.
આ ઉપરાંત આ માર્ગમાં 42 રોડ ક્રોસિંગ, 14 નદીઓના ક્રોસિંગ, 6 રેલવે ક્રોસિંગ અને એક ટેકરીમાંથી 350 મીટર લાંબી ટનલનું બાંધકામ પણ થવાનું છે. સમગ્ર પ્રોજેક્ટના બાંધકામના હેતુ માટે કામદારો તેમજ મશીનરી L&T દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યા છે.
મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર કેટલાક રાજકીય કારણોસર આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે અને પ્રોજેક્ટમાં જરૂરી મદદ નથી આપી રહી, આથી એવું જણાઈ રહ્યું છે કે હાલમાં ગુજરાત પુરતું કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે.
તમને ગમશે – ઝલક: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની તસવીરો સામે આવી
eછાપું