ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ પદે ફરીથી ગાંધી પરિવારના સભ્ય આસીન થવા જઈ રહ્યા છે અને એ બીજું કોઈ નથી પરંતુ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી જ છે.
નવી દિલ્હી: મળી રહેલા સમાચાર અનુસાર કોંગ્રેસનું અધ્યક્ષ પદ હજી થોડો વધુ સમય ગાંધી પરિવારના જ કબજામાં રહેવાનું છે. રાહુલ ગાંધી ફરીથી પક્ષના પ્રમુખ બનશે અને તેમણે આ અંગે હા પણ પાડી દીધી છે.
શનિવારે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓની એક બેઠક મળી હતી જેમાં પક્ષના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના પદાધિકારીઓ સહીત રાહુલ ગાંધી પણ ઇટલીથી ઓનલાઈન હાજર રહ્યાં હતા.
આ બેઠક લગભગ પાંચ કલાકથી પણ વધુ સમય ચાલી હતી અને અને તમામ સભ્યોની સર્વસંમત લાગણી હતી કે રાહુલ ગાંધીને ફરીથી પક્ષના પ્રમુખ બનાવવામાં આવે. બેઠકના અંતમાં જાણવા મળ્યા અનુસાર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પક્ષ તેમને જે પણ જવાબદારી સોંપશે તેને તે સ્વીકારવા માટે તૈયાર છે.
રાહુલ ગાંધીને ફરીથી પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા માટે આગ્રહ કરનારા વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનોમાં દિગ્વિજય સિંહ, ગૌરવ ગોગોઈ, કે સુરેશ, અબ્દુલ ખાલીક અને અન્યો હતા. જો કે રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાની માંગ સહુથી પહેલાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કરી હતી.
અત્રે એ નોંધનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની અત્યંત ખરાબ હાર થયા બાદ રાહુલ ગાંધી પોતે અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દેશે તેવી જાહેરાત કરી ચૂક્યા હતા, પરંતુ મહિનાઓ સુધી કોંગ્રેસીઓએ તેમને મનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતાં.
છેવટે, સોનિયા ગાંધીને કાર્યકારી પ્રમુખ બનાવવા પર તમામ સહમત થયા હતા અને હવે ફરીથી લગભગ દોઢેક વર્ષ બાદ રાહુલ ગાંધી પુનઃ કોંગ્રેસ પ્રમુખ બનવા જઈ રહ્યાં છે.
આ સમય દરમ્યાન કોંગ્રેસમાં ધરમૂળથી સુધારા લાવવા માટેની માંગ પણ ગુલામ નબી આઝાદ, કપિલ સિબલ અને શશી થરૂર જેવા વરિષ્ઠ કોંગ્રેસીઓ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તેને કડક હાથે દબાવી દેવામાં આવ્યાં હોય એવું લાગી રહ્યું છે.
તમને ગમશે – આઝાદ: CWCમાં અપોઈન્ટમેન્ટ કાર્ડ ધરાવનારાઓ અમારો વિરોધ કરે છે
eછાપું