બેંકમાં વ્યાજના દર સતત ઘટી રહ્યાં છે અને શેરબજારમાં નાણાં રોકતાં સરેરાશ ભારતીય ગભરાતો હોય છે, તો તેની સમક્ષ કિસાન વિકાસ પત્ર જેવો એક અદભૂત વિકલ્પ પણ ઉભો છે જેના પર એક નજર નાખીશું.
નવી દિલ્હી: આપણે ૨૦૨૧માં પ્રવેશી ચૂક્યા છીએ. હવે સમય છે નાણાકીય ક્ષેત્રે અમુક નિર્ણયો લેવાનો.
ઘણાં ખરા લોકો પોતપોતાની રીતે રોકાણ અને બચત માટેની યોજનાઓ વિશે ચોક્કસપણે વિચારતાં હશે. લાંબાગાળે સારો ફાયદો અપાવે તેવી કોઈ યોજના વિશે જાણવું જરૂરી છે.
પરંપરાગત રોકાણકારો કે જેમને લાંબાગાળાના પ્લાન હોય તેઓ. માટે ઘણી સરકારી નિવેશ યોજનાઓ પ્રવર્તમાન છે. એક જાણીતો વિકલ્પ પોસ્ટ ઓફિસ બચત યોજના છે. આ યોજનાઓ હવે બેન્ક એફ. ડી. કરતાં પણ સારું વળતર આપવા લાગી છે.
કિસાન વિકાસ પત્ર રોકાણ અવધિ તેમજ વ્યાજ દર
૧. એપ્રિલ, ૨૦૨૦ થી રોકાણકારોને ૬.૯ ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજનાં દરે વળતર અપાઈ રહ્યું છે.
૨. કિસાન વિકાસ પત્રમાં રોકેલા તમારાં નાણાં ૧૨૪ મહિને ડબલ થાય એટલે કે કુલ દસ વર્ષ અને ૪ મહિના.
જ્યારે મોટા ભાગની બેંકોમાં વ્યાજનો દર ૬ % જ છે ત્યારે તેની સરખામણીએ કિસાન વિકાસ પત્ર નો દર આકર્ષક લાગે છે.
કિસાન વિકાસ પત્રમાં થતાં રોકાણની રકમ પરની સીમા
ઓછામાં ઓછું રૂ. એક હજારથી શરૂ થતાં આ રોકાણની કોઈ મહત્તમ સીમા બંધાઈ નથી. બસ એટલું જ કે જે રકમ રોકો તે ૧૦૦ના ગુણાંકમાં હોવી જોઈએ.
કિસાન વિકાસ પત્ર કોણ ખરીદી શકે?
૧. કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ
૨. જોઇન્ટ A એકાઉન્ટ (વધુમાં વધુ ૩ વ્યક્તિઓ )
૩. જોઇન્ટ B એકાઉન્ટ ( વધુમાં વધુ ૩ વ્યક્તિઓ)
૪. દસ વર્ષથી ઉપરનું બાળક.
૫. બાળક વતી પુખ્ત વયની વ્યક્તિ રોકાણ કરી શકે.
૬. અસ્થિર મગજની વ્યક્તિ વતી તેની સંભાળ લેનાર વ્યક્તિ.
કિસાન વિકાસ પત્ર એક પાસબુક ના ફોર્મમાં, કોઈ પણ ડિપાર્ટમેન્ટલ પોસ્ટ ઓફિસમાંથી મળી શકે છે. નોમીનેશનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ સર્ટિફિકેટ એક વ્યક્તિથી બીજા વ્યક્તિના નામે તેમજ એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરી શકાય છે.
સર્ટિફિકેટ ઇસ્યુ થાય તેના અઢી વર્ષ પછી તેને વટાવી શકાય છે.
તમને ગમશે: પોસ્ટ ઓફીસ સેવિંગ્સ સ્કીમ્સ એટલે સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાતરા!
eછાપું