નવા સંસદભવનના નિર્માણ વિરુદ્ધ થયેલી અરજીને હમણાં થોડા સમય અગાઉ સુપ્રિમ કોર્ટે કાઢી નાખી છે પરંતુ આ સાથે સર્વોચ્ચ અદાલતે કેટલીક શરતો પણ લાગુ કરી છે.
નવી દિલ્હી: મોદી સરકારને આજે એક મોટી રાહત સુપ્રિમ કોર્ટ તરફથી મળી છે. સુપ્રિમ કોર્ટના ત્રણ જજોની બેન્ચે 2 વિરુદ્ધ 1ની બહુમતિથી નવા સંસદભવનના નિર્માણ કાર્યને મંજૂરી આપી દીધી છે, પરંતુ સાથે સાથે તે માટે કેટલીક શરતો પણ લાગુ કરી છે.
સેન્ટ્રલ વિસ્ટાના નામે ઓળખાતા આ નિર્માણને સુપ્રિમ કોર્ટે એમ કહીને મંજૂરી આપી છે કે નવા સંસદભવનના નિર્માણ માટેની જમીન હસ્તગત કરવામાં, તેના ઉપયોગ માટે તેમજ પર્યાવરણની મંજૂરી માટે કોઇપણ પ્રકારની ગેરરીતી જોવા મળી નથી.
જો કે સુપ્રિમ કોર્ટે બાંધકામ શરુ કરતાં અગાઉ હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની મંજૂરી લેવા જેવી શરત જરૂર મૂકી છે.
સુપ્રિમ કોર્ટની આ બેન્ચમાં જસ્ટિસ એ એમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી તેમજ જસ્ટિસ સંજીવ ખન્ના સામેલ હતા અને તેમણે કહ્યું હતું કે નવા સંસદભવનના નિર્માણનું કાર્ય શરુ થાય તે અગાઉ પ્રસ્તાવક ઉપરોક્ત કમિટીની મંજૂરી લે.
7 ડિસેમ્બરે સુપ્રિમ કોર્ટે નવા સંસદભવનના ભૂમિપૂજનની સાથેજ તેના બાંધકામ શરુ કરી દેવાના કેન્દ્રના નિર્ણય સામે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો કારણકે આ જમીનના રિ-ડેવલોપમેન્ટનો મુદ્દો તેની નજર હેઠળ હતો.
10 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નવા સંસદભવનનું ભૂમિપૂજન કર્યું હતું. આ સમગ્ર પ્રોજેક્ટ 2022 સુધીમાં પૂર્ણ થઇ જશે જ્યારે દેશ પોતાની સ્વતંત્રતાનાં 75 વર્ષની ઉજવણી કરી રહ્યો હશે.
આ સમગ્ર સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ શું છે અને તેના વિષે તમામ માહિતી આપ અહીં ક્લિક કરીને મેળવી શકશો.
eછાપું