ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોનાની એન્ટ્રી થયા બાદ ગુજરાતની શાળાઓ સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવી હતી તે હવે ફરીથી શરુ થઇ રહી છે પરંતુ તે માટે કેટલીક શરતો પણ મુકવામાં આવી છે.
ગાંધીનગર: ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ થોડા સમય પહેલાં જાહેરાત કરી છે કે સમગ્ર રાજ્યમાં 10 અને 12 ધોરણની શાળાઓ તેમજ PG અને UGનું શિક્ષણ ફરીથી શરુ થવા જઈ રહ્યું છે.
ગત વર્ષે માર્ચ મહિનામાં રાજ્યમાં કોરોનાની એન્ટ્રી થવાની સાથેજ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ત્યારબાદ થોડા સમય બાદ 10 અને 12 ધોરણ સિવાય અન્ય તમામ ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપલાં ધોરણમાં પાસ કરી દેવામાં આવ્યા હતા.
શિક્ષણ મંત્રીની હાલની જાહેરાત અનુસાર આવનારી 11 જાન્યુઆરીથી રાજ્યમાં ઉપરોક્ત બંને ધોરણો તેમજ માધ્યમોમાં શિક્ષણ શરુ થઇ જશે, પરંતુ તે અંગે કેટલીક શરતો પણ મુકવામાં આવી છે.
શાળાઓ શરુ કરવા તેમજ શિક્ષણ આપવા અંગેની શરતો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર SOP પર આધારિત છે જેનું પાલન તમામ શાળાઓએ કરવું જરૂરી છે.
આ તમામ SOPs થોડા દિવસ અગાઉ જ રાજ્યની તમામ શાળાઓને મોકલી આપવામાં આવી છે.
હવે શાળાઓએ PHC સેન્ટર્સનો સંપર્ક કરવાનો રહેશે અને તેની સૂચના અનુસાર જ શાળાઓ શરુ કરી શકાશે.
પોતાના સંતાનને શાળામાં મોકલવું કે નહીં તે અંગે જે તે વાલીની સંમતી જરૂરી રહેશે.
વિદ્યાર્થીનું શાળામાં હાજર રહેવું પણ મરજિયાત બનાવી દેવામાં આવ્યું છે.
શાળાના શિક્ષણ સાથે હાલમાં ચાલી રહેલું ઓનલાઈન શિક્ષણ એક સાથે ચાલશે.
દરેક શાળામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજીયાત રહેશે.
આ ઉપરાંત શાળામાં થર્મલ ગન તેમજ સેનેટાઇઝર્સ રાખવા જરૂરી બનશે.
શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં નહીં આવે.
રાજ્યમાં કોરોનાના કેસો ઓછાં થઇ રહ્યા હોવાને કારણે રાજ્ય સરકારે આ પ્રકારનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.
eછાપું