સુપ્રિમ કોર્ટ આજે કિસાન આંદોલન તેમજ નવા કૃષિ કાયદા અંગે એક મહત્ત્વનો નિર્ણય આપવાની છે, પરંતુ તે અગાઉ બંને પક્ષો પોતપોતાના મુદ્દે મચક આપવા માટે તૈયાર નથી તેવું જાણવા મળ્યું છે.
નવી દિલ્હી: ગઈકાલે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર વિરુદ્ધ વલણ અપનાવતા તેને ચીમકી આપી હતી કે જો તે નવા કૃષિ કાયદાઓના અમલ પર રોક નહીં લગાવે તો કોર્ટને એમ કરવાની ફરજ પડશે.
તો સામે પક્ષે કિસાન આંદોલનકારીઓને કોર્ટે અન્યત્ર પોતાનું આંદોલન ચલાવવાનું કહ્યું હતું પરંતુ એમ પણ ઉમેર્યું હતું કે કોર્ટ આ બાબતે કોઈજ હસ્તક્ષેપ નહીં કરે.
ગઈકાલની સુનાવણી બાદ મોડી રાત્રે કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી છે જેમાં ત્રણેય નવા કૃષિ કાયદાઓને પરત લેવાની પોતાની અસમર્થતા તેણે વ્યક્ત કરી છે.
કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ ત્રણેય કાયદાઓ ઓછામાં ઓછા બે વર્ષની કવાયદ કર્યા બાદ પસાર કરવામાં આવ્યા છે જેથી તે ઉતાવળીયા હોવાનો ખેડૂત આગેવાનોનો આરોપ નિરર્થક છે.
સરકારે એમ પણ કહ્યું છે કે અગાઉ વિવિધ રાજ્ય સરકારો આ કાયદાઓ અંગે પોતાના વિચારો વ્યક્ત કરવા માટે આળસુ રહી હતી તેને કારણે કાયદાઓને લાવવામાં વાર થઇ છે.
કેન્દ્ર સરકારનું એમ પણ કહેવું છે કે તમામ કાયદાઓ પાછળ ઘણી બધી મહેનત અને નિષ્ણાતોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હોવાથી ખેડૂતોની આ ત્રણેય કાયદાઓ પરત લેવાની માંગ અન્યાયી હોવા ઉપરાંત અસ્વીકાર્ય પણ છે.
તો બીજી તરફ કિસાન આગેવાનોએ જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો કે તેઓ સુપ્રિમ કોર્ટનું સન્માન કરે છે પરંતુ તેઓ જ્યાં સુધી કેન્દ્ર સરકાર ત્રણેય કાયદાઓ પરત નહીં ખેંચે ત્યાં સુધી પોતાનું આંદોલન પરત નહીં ખેંચે એ વાત નક્કી છે.
કિસાન આંદોલનકારીઓનું કહેવું છે કે તેમણે તેમના વકીલો સાથે આ અંગે ચર્ચા કરી છે અને તેમણે વકીલોને જણાવી દીધું છે કે આંદોલન કોઈ કાળે પરત નહીં જ ખેંચાય.
આજે સુપ્રિમ કોર્ટ પોતાનો ચૂકાદો આપવા જઈ રહી છે એવામાં બંને પક્ષોનું વલણ જોતાં એવું લાગે છે કે સુપ્રિમ કોર્ટના ચુકાદા પર જ ત્રણેય કાયદાઓ જેને દેશની સંસદે બહુમતિથી પસાર કર્યા છે તેનું ભાવિ નિર્ભર છે.
તમને ગમશે – ફુલાય પિંજારા: બોરિસ જોહન્સનના રદ્દ થયેલા પ્રવાસને જીત ગણાવતા ખેડૂત નેતાઓ
eછાપું